ભગવાન દેવનારાયણની પૂજા: રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણના ૧૧૧૧મા અવતરણ મહોત્સવમાં એકઠી થયેલી જનમેદની. અવતરણ મહોત્સવમાં સામેલ થયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેવપૂજા પણ કરી હતી. (પીટીઆઈ )
નવી દિલ્હી: સમાજના દરેક વર્ગના લોકોના સશક્તીકરણને પ્રાધાન્ય અપાય છે એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે વંચિત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
ભિલવાડા જિલ્લા ખાતે ભગવાન શ્રી દેવનારાયણના ૧૧૧૧મા ઉત્સવની ઉજવણીના સમારોહ દરમિયાન મોદીએ ઉપરોકત નિવેદન કર્યું હતું.
છેલ્લાં આઠ-નવ વર્ષથી દેશ ગરીબ અને વંચિત વર્ગના લોકો સહિત સમાજના પ્રત્યેક વર્ગના લોકોનું સશક્તીકરણ કરવાના પ્રયાસ કરી રહ્યો છે.
ગરીબ અને વંચિત વર્ગના લોકોના ઉત્કર્ષને પ્રાથમિકતા આપવાના મંત્ર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.
ભારત માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ સંસ્કૃતિ, એકતા અને સક્ષમતાની અભિવ્યક્તિ છે, એમ તેમણે કહ્યું હતું. દેશની હજારો વર્ષની યાત્રામાં સામાજિક શક્તિએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, એમ તેમણે કહ્યું હતું.
દેશના આ સાંસ્કૃતિક વારસોનો આપણે બધાએ ગર્વ લેવો જોઈએ.
આપણે ગુલામીની માનસિકતામાંથી બહાર આવી જવું જોઈએ અને દેશ પરત્વેની આપણી ફરજ અને જવાબદારીઓને યાદ રાખવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)