લોકસભામાં હોબાળો બંધ થવાનું નામ નથી અને છેલ્લા બે અઠવાડિયાની જેમ સોમવારે પણ લોકસભા પ્રશ્નોત્તરી કલાક અને શૂન્ય કલાકમાં કામ કરવામાં નિષ્ફળ રહી હતી અને કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી સભ્યોની ધમાલને કારણે લોકસભા શરૂ થયાની ગણતરીની મિનિટો પછી 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. સુરતની કોર્ટ દ્વારા 2019ના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. તેના વિરોધમાં શુક્રવારે કોંગ્રેસના સભ્યો લોકસભામાં કાળા વસ્ત્રો પહેરીને આવ્યા હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કાળો ખેસ પહેર્યો હતો. નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારૂક અબ્દુલ્લા કાળો કુર્તા પહેરીને આવ્યા હતા. કેટલાક સભ્યો કાગળો ફાડીને હવામાં ફેંકતા પણ જોવા મળ્યા હતા. સવારે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ સહિત કેટલાક વિરોધ પક્ષોના સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. કોંગ્રેસના કેટલાક સભ્યો પોડિયમ પાસે પ્લેકાર્ડ બતાવી રહ્યા હતા. આ દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, ‘હું સન્માન સાથે ગૃહ ચલાવવા માંગુ છું.’ ત્યારબાદ તેમણે કાર્યવાહી સાંજે 4 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ ટિપ્પણી કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. માનહાનિના કેસમાં દોષી સાબિત થયા બાદ તેમનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર બાયોમાં પોતાને ગેરલાયક સાંસદ ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યા બાદ તેમના ટ્વિટર બાયોમાં ફેરફાર કર્યો છે. કોંગ્રેસ પક્ષના નેતાઓ અને કાર્યકરોએ ગઈકાલે મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે એક દિવસીય સત્યાગ્રહનું આયોજન કર્યું હતું.