ભારતના પડોશી દેશ પાકિસ્તાનની આર્થિક હાલત અત્યંત દયનીય છે. પ્રજા અન્ન માટે ટળવળી રહી છે ત્યારે પાક વડા પ્રધાન એક હાથમાં કટોરો અને એક હાથમાં પરમાણુ શસ્ત્રો સાથે દુનિયાભરના દેશઓ પાસેથી મદદની ગુહાર લગાવી રહ્યા છે અને ચીન અને સાઉદી અરેબિયા જેવા દેશની મદદથી પાકિસ્તાન આ આર્થિક સમસ્યામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવા કટોકટીભર્યા સમયે પાકિસ્તાનના વડા પ્રધાનને ડહાપણ લાધ્યું છે. તેમણે જણાવ્યું છે કે ભારત સાથેના ત્રણ યુદ્ધો પછી પાકિસ્તાને તેનો પાઠ શીખ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે.
શાહબાઝ શરીફે તાજેતરમાં એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત સાથેના યુદ્ધ પછી જ પાકિસ્તાનમાં ગરીબી અને બેરોજગારી આવી છે. તેઓ આ સમસ્યાઓ ઉકેલવા માગે છે. તેઓ દેશમાંથી ગરીબી ખતમ કરી સમૃદ્ધિ લાવવા ઇચ્છે છે, પાકના લોકોને લોકોને સારું શિક્ષણ, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ અને રોજગાર આપવા ઇચ્છે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરતા પાક પીએમ શાહબાઝ શરીફે કહ્યું હતું કે પાકિસ્તાન બોમ્બ અને દારૂગોળો બનાવવામાં સંસાધનોનો ખર્ચ કરવા માગતું નથી. પાકિસ્તાન પડોશી દેશ સાથે શાંતિ ઈચ્છે છે. જોકે, તેમણે કાશ્મીર મુદ્દે ફરી ઝેર ઓકતા જણાવ્યું હતું કે કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘન થઈ રહ્યું છે તે બંધ થવું જોઈએ. પીએમ મોદીને સંદેશ આપતા તેમણે જણાવ્યું હતું કે તેમણે પાકિસ્તાન સાથે વાતચીત માટે આગળ આવવું જોઇએ અને કાશમીર જેવા ગંભીર મુદ્દા પર વાતચીત કરવી જોઇએ.