સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28મી મેના કરવામાં આવશે. પીએમ મોદી સંસદનું ઉદ્ઘાટન બપોરે 12 કલાકે કરવાના છે પરંતુ એ પહેલાં સવારે 7 કલાકથી હવન-પૂજનનો કાર્યક્રમ શરૂ થઈ જશે. સવારે 7.30થી 8.30 સુધી હવન અને પૂજા કરવામાં આવશે. પૂજા માટે પંડાલ ગાંધી મૂર્તિની પાસે બનાવવામાં આવશે. ચાલો જાણીએ કેવી હશે ઉદ્ઘાટન દિવસની સંપૂર્ણ રૂપરેખા…
આ પૂજામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા, રાજ્ય સભાના ડેપ્યુટી ચેરમેન સહિત ઘણા પ્રધાનો હાજર રહેશે. ત્યાર બાદ 8.30થી 9.30ની વચ્ચે લોકસભાની અંદર સેંગોલને સ્થાપિત કરવામાં આવશે. સવારે 9.30 કલાકે પ્રાર્થના કરવામાં આવશે અને એમાં શંકરાચાર્ય સહિત ઘણા મોટા વિદ્વાન પંડિત અને સાધુ સંત હાજર રહેશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ ઉપરાંત આ પ્રસંગે આદિ શિવ અને આદિ શંકરાચાર્યની પણ પૂજા કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે.
સવારે પૂજા અને હવન બાદ બપોરે 12 કલાકથી કાર્યક્રમનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. રાષ્ટ્ર ગાનની સાથે બીજા તબક્કાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ પ્રસંગે બે શોર્ટ ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિનો સંદેશ વાંચવામાં આવશે. રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પણ આ તકે સંબોધન થશે.
આ પ્રસંગે એક સિક્કો અને સ્ટેમ્પ પણ રિલીઝ કરવામાં આવશે. સૌથી અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન થશે અને આ સાથે તેઓ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. એવું કહેવાઈ રહ્યું છે કે લગભગ બપોરે 2થી 2.30 કલાક સુધી કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે.