( અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૧૮૨માંથી ૧૫૬ બેઠકો મેળવ્યા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હવે લોકસભાની તમામ ૨૬ બેઠકો પર જીત મેળવવાની સાથે વિપક્ષી ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થાય તેવી મહેનત કરવા માટે ભાજપના કાર્યકરોને આહવાન કર્યું છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભાજપના જિલ્લા કમલમ કાર્યાલયના ભૂમિપૂજન પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ પાટીલએ કાર્યકરોને સંબોધતા વધુમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાના છીએ પરંતુ વિરોધ પક્ષના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય તે રીતે મહેનત કરવાની છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ચૂંટણીમાં કેવું પરિણામ લાવી શકે તે ૨૦૨૨ વિઘાનસભાની ચૂંટણીમાં સાબિત કરી દીધું છે. હવે આખા દેશ ની નજર વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં છે. ભાજપના કાર્યકરો ફકત રાજકરણ નહીં સાથેસાથે સમાજકરણ અને સેવાકીય પ્રવૃતિ કરે છે તેના કારણે સત્તામાં આવ્યા પછી પણ ભાજપને એન્ટીઇન્કમબન્સી નડતી નથી. ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં જીતનો સૌથી મોટો શ્રેય આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબને આપવો પડે કારણે કે તેમણે ગુજરાત અને દેશમાં જે વિકાસના કામો કર્યા છે તેના કારણે જનતાને ભાજપ પર વિશ્ર્વાસ છે અને આજ વિશ્ર્વાસને કારણે જનતા ભાજપને ચૂંટણીમાં મત આપે છે. ગુજરાત વિઘાનસભાની આ વખતની ચૂંટણીમાં ૨૦ બેઠકો એવી છે કે જે માત્ર પાંચ હજારથી ઓછા જેટલા મતે હાર્યા જો આ બેઠકો પર વધુ મહેનત કરી હોત તો ૧૭૬ બેઠકો આપણે જીતી શક્યા હોત. આ વખતની ચૂંટણીમા ૧૮૨નો લક્ષ્ય દૂર નહતો ભલે ચૂંટણીમાં રેકોર્ડ સર્જયો પણ હજુ સંતોષ રાખવાનો નથી એવી હાકલ તેમણે ભાજપના કાર્યકરોને કરી હતી.
લોકસભાની તમામ ૨૬ બેઠકો પર વિપક્ષી ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થવી જોઇએ: સી.આર. પાટીલ
RELATED ARTICLES