સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ
અનેક નાના-મોટા મહત્ત્વના સ્તંભો પર ઊભી છે આ ફિલ્મી દુનિયા, અનેક નાના-મોટા લોકોએ મળીને તેને બનાવી છે. તેમાં કેટલાક સીધી રીતે સંકળાયેલા છે, જ્યારે અનેક લોકો અપ્રત્યક્ષ રીતે. કેટલાક લોકોનું મહત્ત્વ વધુ છે જ્યારે કેટલાકનું ઓછું, પરંતુ મહત્ત્વહીન કોઈ જ નથી.
લડાઈમાં જેટલા જરૂરી સિપાઈ હોય છે એટલા જ જરૂરી ઘોડા પણ હોય છે… અને એટલા જ જરૂરી હોય છે ઘોડાના પગમાં નાળ ઠોકનારો. તેના વગર તો સિપાઈ અને ઘોડો બંને બેકાર છે.
આ બધા એવા સ્તંભો હોય છે, જેનો કોઈ વિકલ્પ નથી હોતો. આમાંથી એકેય ન હોય તો ફિલ્મની કલ્પના થઈ શકતી નથી.
આવો તો હવે આપણે વાતો કરીએ ફિલ્મી દુનિયાના આવા જ કેટલાક સિપાઈઓની, કેટલાક ઘોડાઓની અને કેટલાક ઘોડાના પગમાં નાળ ઠોંકનારાની. એટલે કે ફિલ્મો સાથે સંકળાયેલા પ્રત્યક્ષ સ્તંભોની.
———-
આર્ટ ફિલ્મ ડિરેક્ટર
આર્ટ ફિલ્મના ડિરેક્ટર તુલસીદાસની સ્વાંત: સુખાય વાતથી પ્રભાવિત થઈને ફક્ત પોતાના સુખ માટે ફિલ્મો બનાવતા હોય છે, બીજાને પૈસે. જ્યારે કોઈ બીજાના પૈસા ડૂબે છે તે તેને દુ:ખ પણ અવશ્ય થતું હશે. તો હવે આ વાતને આવી રીતે પણ કહી શકાય કે આર્ટ ફિલ્મનો ડિરેક્ટર સ્વાંત: સુખાય અને પર: દુખાય માટે ફિલ્મો બનાવે છે.
આર્ટ ફિલ્મોનો ડિરેક્ટર હંમેશા થોડો રિસાયેલો-નારાજ જેવો રહે છે. જેમ કે આખી દુનિયાથી તે નારાજ હોય. દાઢી વધારીને સિગાર ફૂંકતો રહેતો હોય છે. એક વખત મેં એક આર્ટ ફિલ્મના ડિરેક્ટરને પુછી લીધું કે તમને શેની તકલીફ છે? તમે કોનાથી અને કઈ વાતથી નારાજ છો?
તેમણે કહ્યું, ‘સમુદ્રનું પાણી ખારું કેમ છે? આકાશનો રંગ વાદળી કેમ છે? મોતીલાલ અમીર કેમ છે? માંગેલાલ ગરીબ કેમ છે?’ તેમના સવાલો સાંભળીને એક વખત તો મને એવું લાગ્યું કે તે મને સવાલ નથી કરી રહ્યા, પરંતુ મારા પર આરોપ લગાવી રહ્યા છે.
આર્ટ ફિલ્મોના ડિરેક્ટરોને ખુશ રાખવાનો એકમાત્ર રસ્તો છે, તેમની સામે સ્વીકારી લો કે આખી દુનિયા ખોટી છે. ફક્ત તે એકલો જ સાચો છે, બસ.
————–
નવાને તક આપતો નિર્માતા
નવોદિતોને તક આપનારા નિર્માતા બે પ્રકારના હોય છે, એક સામર્થ્યવાન અને બીજો સામર્થ્યહીન. સામર્થ્યવાન એ નિર્માતા હોય છે, જે પોતાના જોરે ફિલ્મ બનાવે છે અને સામર્થ્યહીન એ નિર્માતા છે, જે નવા ચહેરાઓના પૈસાના જોરે પોતાની ફિલ્મ બનાવવા માગે છે. પહેલો હંમેશા સફળ નીવડે છે, જ્યારે બીજો તો પોતે પણ ડૂબે છે અને પોતાની સાથે નવા લોકોને પણ લઈને ડૂબે છે. આવા નિર્માતા કોઈ સ્ટુડિયો કે પછી જૂની ફિલ્મની ઓફિસમાં એક ટેબલ અને ખુરશી લગાવીને, કોઈ છાપામાં જાહેરાતોનો ચારો નાખીને માછલી ફસાવાની રાહ જોઈને બેઠા રહેતા હોય છે. જેવી રીતે ચાંચ આપી છે તો ચણ પણ આપ્યું છે તે જ રીતે ભગવાને જેટલા ઠગ બનાવ્યા છે એટલા બેવકૂફ પણ તો બનાવ્યા છે. (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)