મુંબઈઃ મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડાવાતી સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસની લોકપ્રિયતામાં નિરંતર વધારો થઈ રહ્યો છે ત્યારે આ મહિને મધ્ય રેલવે એટલે મુંબઈ શહેરમાંથી વધુ બે વંદે ભારત એક્સપ્રેસને ચાલુ કરવામાં આવશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
દેશના આર્થિક પાટનગર મુંબઈને જોડતા વધુ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચાલુ કરી શકાય છે અને તેને લીલી ઝંડી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દસમી ફેબ્રુઆરીના આપશે.
રેલવેના અધિકારીએ કહ્યું હતું કે મુંબઈ (સીએસએમટી)થી સાઈગનર શિરડી અને સોલાપુર વચ્ચે આ બંને ટ્રેન દોડાવી શકાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકસાથે બે વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપશે. આધુનિક સેમી હાઈ સ્પીડ ટ્રેનમાં 16 કોચ છે, જ્યારે 1,128 પ્રવાસીની કેપેસિટી છે. મહારાષ્ટ્રમાં અગાઉથી બે વંદે ભારત એક્સપ્રેસ દોડાવાય છે, જેમાં એક ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર અને બીજી નાગપુરથી વિલાસપુર વચ્ચે દોડાવાય છે. સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસની સ્પીડ કલાકના 200 કિલોમીટરની ક્ષમતા ધરાવે છે, પરંતુ રેલવે બોર્ડે કલાકના 160 કિલોમીટરની ઝડપથી દોડાવવાની મંજૂરી આપી છે. પ્રત્યેક એક ટ્રેનની કિંમત 110 કરોડની છે.
મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી આ બંને ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવ્યા પછી અઠવાડિયાના છ દિવસ દોડાવાશે. સીએસએમટીથી સાઈનગર શિરડી વંદે ભારત એક્સપ્રેસ અગાઉ ત્રણ વાગ્યે મુંબઈથી રવાના થશે, જે દાદર, થાણે, કલ્યાણ, ઈગતપુરી, નાશિક રોડ અને મનમાડથી શિરડી પહોંચશે. આ ઉપરાંત, સોલાપુર-સીએસએમટી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સોલાપુરથી બપોરે ત્રણ વાગ્યે સીએસએમટી માટે રવાના થશે. સોલાપુરથી કુર્ડવાડી, દૌંડ, પુણે, લોનાવલા, કર્જત, કલ્યાણ, થાણે અને દાદરથી સીએસએમટી પહોંચશે. કહેવાય છે કે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 75 વંદે ભારત એક્સપ્રેસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં જેટલી વંદે ભારત એક્સપ્રેસ દોડાવવામાં આવતી હતી તેના 16 કોચ હતા. હવે આઠ કોચની ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે, જેથી પ્રોડક્શન વધે અને ઓછા અંતરવાળા મોટો શહેરોને એકબીજા વચ્ચે કનેક્ટ કરી શકાય. અલબત્ત, આઠ કોચની મિનિ વંદે ભારત દોડાવવામાં આવે તો સર્વિસ વધારે દોડાવી શકાય, એમ અધિકારીએ દાવો કર્યો હતો.