આરજેડી નેતા તેજસ્વી યાદવના બિહારના મુખ્યમંત્રી બનવાને લઈને મહાગઠબંધનમાં તણાવ ચાલુ છે. જ્યાં આરજેડી નેતાઓ તેજસ્વી યાદવને જલ્દી મુખ્ય પ્રધાન બનાવવાની માંગ કરી રહ્યા છે. જ્યારે આ મામલે JDUનો અભિપ્રાય અલગ છે. આ દરમિયાન તેજસ્વી યાદવે કહ્યું છે કે તેમને કોઈ ઉતાવળ નથી. મહાગઠબંધનનો હેતુ 2024માં ભાજપને સત્તા પરથી હટાવવાનો છે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે મહાગઠબંધનમાં કોઈ સમસ્યા નથી. અમારો ટાર્ગેટ 2024માં કેન્દ્રમાં ભાજપને સત્તા પરથી હટાવવાનો છે. અત્યારે નીતીશ કુમારના નેતૃત્વમાં મહાગઠબંધનની સરકાર ચાલી રહી છે. મને કોઈ ઉતાવળ નથી. નીતીશ કુમાર ગયા વર્ષે ભાજપથી અલગ થઈને મહાગઠબંધનમાં જોડાયા હતા. તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં તેમની સક્રિયતા વધારી છે, ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે નીતીશ કુમાર બિહારમાં મહાગઠબંધનની બાગડોર તેજસ્વીને સોંપીને દિલ્હીની રાજનીતિમાં પોતાની વગ વધારી શકે છે. નીતીશકુમારે પોતે પણ ભૂતકાળમાં આનો સંકેત આપ્યો હતો. નીતીશ કુમારે હાલમાં જ વિધાનમંડળની બેઠકમાં કહ્યું હતું કે 2025માં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ મહાગઠબંધનનું નેતૃત્વ કરશે. તેમણે મહાગઠબંધનને આગળ લઈ જવાનું છે. RJD પાસે 80 MLA છે અને નીતીશ કુમાર પાસે 43 MLA છે. તેના આધારે આરજેડીના નેતાઓ તેજસ્વીને સીએમની ખુરશી પર બેસાડવાની માંગ કરી રહ્યા છે. આરજેડી નેતાઓ સતત માંગ કરી રહ્યા છે કે નીતિશ કુમારે મુખ્ય પ્રધાનની ખુરશી તેજસ્વી યાદવને સોંપવી જોઈએ અને દિલ્હી પ્રયાણ કરવું જોઈએ.