Tue May 26 2026

Logo

શાહરુખ ખાન પાસેથી તેના પુત્રને છોડવા કોઈ લાંચ લીધી નથી: સમીર વાનખેડે...

2 months ago
Author: Yogesh C Patel
Article Image

થાણે: ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ક્રુઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવ્યા પછી તેને છોડવા માટે શાહરુખ પાસેથી ક્યારેય લાંચ માગી નથી અને લીધી પણ નથી, એવું નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ સોમવારે બૉમ્બે હાઈ કોર્ટમાં જણાવ્યું હતું.

સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા મે, 2023માં ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસ (આઈઆરએસ)ના અધિકારી વાનખેડે વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ નોંધેલા એફઆઈઆરને રદ કરવા માટે કરેલી અરજી પર વાનખેડેના વકીલ આબાદ પોંડાએ દલીલ કરી હતી.

ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ સુમન શ્યામની ખંડપીઠને પોંડાએ જણાવ્યું હતું કે વાનખેડેએ ક્યારેય શાહરુખ ખાન પાસેથી લાંચ માગી નથી અને લીધી પણ નથી.
સીબીઆઈના એફઆઈઆર અનુસાર શાહરુખ ખાનના પુત્રને ડ્રગ્સના કેસમાં ક્લીન ચિટ આપવા માટે વાનખેડે અને આ કેસના અન્ય આરોપીઓએ શાહરુખ પાસેથી પચીસ કરોડ રૂપિયાની કથિત માગણી કરી હતી.

જોકે પોંડાએ સોમવારે કોર્ટમાં જણાવ્યું હતું કે વાનખેડેએ લાંચ માગી કે સ્વીકારી હોવાના કોઈ પુરાવા સીબીઆઈ પાસે નથી.એનસીબીને ક્રુઝ શિપ કોર્ડેલિયા પર યોજાયેલી પાર્ટીમાં કથિત ડ્રગ્સના ઉપયોગની માહિતી એનસીબીને મળી હતી. માહિતીને આધારે એનસીબીએ સર્ચ હાથ ધરી આર્યન ખાન સહિત અન્ય કેટલાકની ધરપકડ કરી હતી.

અરજી પરની સુનાવણી સોમવારે અધૂરી રહી હોવાથી વધુ સુનાવણી મંગળવારે હાથ ધરાશે, એવું કોર્ટે જણાવ્યું હતું.સીબીઆઈએ એનસીબીની ફરિયાદને આધારે વાનખેડે અને અન્યો વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી કાયદા તેમ જ ભારતીય દંડ સંહિતાની ગુનાહિત કાવતરું અને ખંડણી માટે ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

કોર્ડેલિયા ક્રુઝ શિપ પર કથિત ડ્રગ્સના કેસમાં બીજી ઑક્ટોબર, 2021ના રોજ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આ કેસમાં એનસીબી દ્વારા 14 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, પરંતુ આર્યન ખાનને ક્લીન ચિટ આપવામાં આવી હતી. (પીટીઆઈ)