કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. જયરામ રમેશે કહ્યું કે, આ એક વ્યક્તિનો ઘમંડ અને આત્મપ્રચારની લાલસા છે જેણે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને બંધારણીય વિશેષાધિકારથી વંચિત કરી દીધા છે. પીએમ પર કટાક્ષ કરતા તેમણે મોદીને ‘ઇનોગ્રેટ’ ગણાવ્યા છે.
આજે ગુરુવારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું, “ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાંચીમાં ઝારખંડ હાઈકોર્ટ સંકુલમાં દેશના સૌથી મોટા ન્યાયિક સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ અહંકાર અને સ્વ-પ્રોત્સાહન માટેની એક વ્યક્તિની ઈચ્છા છે જેને કારણે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પાસેથી 28 મેના રોજ નવી દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો બંધારણીય વિશેષાધિકાર છીનવી લેવામાં આવ્યો.”
જયરામ રમેશે બે મહાનનું શાસકોના નામનો ઉલ્લેખ કરતા લખ્યું કે અશોક ધ ગ્રેટ, અકબર ધ ગ્રેટ અને મોદી ધ ઈનોગ્રેટ.
નોંધનીય છે કે, કોંગ્રેસ, NCP, TMC અને આમ આદમી પાર્ટી સહિત દેશની 19 રાજકીય પાર્ટીઓએ રાષ્ટ્રપતિ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન કરવાના વિરોધમાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ પક્ષોએ સંયુક્ત નિવેદન જારી કરીને તેની જાણકારી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોકશાહીની આત્માને સંસદમાંથી હાંકી કાઢવામાં આવી છે. આવી સ્થિતિમાં, અમને આ ઇમારતની કોઈ કિંમત દેખાતી નથી. અમે નિરંકુશ વડાપ્રધાન અને તેમની સરકાર સામે લડતા રહીશું.
વિપક્ષે કહ્યું, અમે આ મહત્વપૂર્ણ અવસર પર અમે અમારા મતભેદોને ઉકેલવા માટે તૈયાર છીએ. પરંતુ જે રીતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંપૂર્ણપણે બાયપાસ કરીને વડાપ્રધાન પાસે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તે માત્ર ઉચ્ચ હોદ્દાનું અપમાન જ નહીં પરંતુ લોકશાહી પર સીધો હુમલો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ભારતમાં માત્ર રાજ્યના વડા જ નથી, પરંતુ તે સંસદનો અભિન્ન અંગ પણ છે. તે સંસદને બોલાવે છે, અટકાવે છે અને સંબોધન કરે છે. ટૂંકમાં, રાષ્ટ્રપતિ વિના સંસદ ચાલી શકતી નથી.