Homeઉત્સવકોમી એખલાસના પ્રણેતા નેતાજી બોઝ

કોમી એખલાસના પ્રણેતા નેતાજી બોઝ

*પશ્ર્ચિમ બંગાળ જીતવાના વ્યૂહ
*સુભાષચંદ્રનું અનોખું વ્યક્તિત્વ
*અસ્થિકુંભનો ડીએનએ ટેસ્ટ નહીં

કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ

પશ્ર્ચિમ બંગાળની ગત વિધાનસભા ચૂંટણીમાં બબ્બેવાર મુખ્યમંત્રી રહેલાં મમતા બેનરજીને પરાસ્ત કરવા કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ઉધામા માર્યા છતાં તૃણમૂલ કૉંગ્રેસનાં સુપ્રીમો ત્રીજી વખત વધુ ભારે બહુમતીથી સરકાર બનાવી શકયાં. આવી રહેલી લોક સભાની ચૂંટણી જીતી કેન્દ્રમાં ફરી સત્તારૂઢ થવા ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કૉંગ્રેસના જ નહીં, માર્ક્સવાદી નેતાઓને પણ પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે. જોકે છેલ્લી વિધાનસભા ચૂંટણી પછી પ્રવાહ પલટાયો છે, પરંતુ મમતાદીદીના સાંસદ ભત્રીજાને માથે જેલવાસની તલવાર લટકતી થઇ ત્યારથી દીદી થોડાં ઢીલાં પડ્યાં છે. ભાજપના પૂર્વ અવતાર જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુકરજીની ભોમકા પર ભગવો ફરકાવવા માટે હિંદુત્વનું કાર્ડ ખેલવામાં પણ ઝાઝી પાછી પાની કરાતી નથી. અત્યારે તો માહોલ એવો રચાયો છે કે જાણે આવતીકાલે જ ચૂંટણી છે. જોકે હજુ લોકસભા ચૂંટણી આડે એકાદ વર્ષ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહપ્રધાન અમિત શાહ સહિતના કેન્દ્રના મહત્ત્વના પ્રધાનો તથા ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના નેતાઓ અત્યારે પશ્ર્ચિમ બંગાળ જીતવા જંગે ચડ્યા છે. હમણાં નેતાજી સુભાષચંદ્ર બોઝ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને ઉજવણીઓની બોલબાલા છે. એમની સંસદસંકુલમાં ભવ્ય પ્રતિમા હતી, પણ વડા પ્રધાન મોદીએ નવી પ્રતિમા સ્થાપિત કરાવીને એમને પોતીકા લેખાવવાની ભરચક કોશિશ કરી છે. પશ્ર્ચિમ બંગાળમાં ૪૨ લોકસભા બેઠકોમાંથી ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને ૧૮ બેઠકો મળી હતી. એમાંથી કેન્દ્રીય મંત્રી રહેલા બાબુલ સુપ્રિયોએ ભાજપમાંથી રાજીનામું આપીને તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા. એમની બેઠક પર ભાજપની વાજપેયી સરકારમાં મંત્રી રહેલા મોટા ગજાના નેતા કૉંગ્રેસમાંથી તૃણમૂલમાં આવ્યા અને આસાનસોલની આ બેઠકની પેટાચૂંટણી જીત્યા હતા.અત્યારે ભાજપ કને ૧૭ બેઠકો છે. તૃણમૂલ પાસે ૨૩ બેઠકો છે. મમતા વિપક્ષી મોરચામાં ના જોડાય એ માટે કેન્દ્ર સરકારના શાસકો પ્રયત્નશીલ છે.
પરાક્રમ દિવસની ઉજવણી
દેશનાયક તરીકે કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે જે મહાન ભારતીય સપૂતને નવાજ્યા હતા એ નેતાજી સુભાષચંદ્ર બોઝ (૨૩ જાન્યુઆરી ૧૮૯૭. કટક – ૧૮ ઓગસ્ટ ૧૯૪૫. તાઈપેઈ)ના જન્મદિવસ ૨૩ જાન્યુઆરીને દર વર્ષે ‘પરાક્રમ દિવસ’ તરીકે મનાવવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે. વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ દિવસની ઉજવણી માટે ખાસ કોલકાતા ગયા હતા. પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ એ દિવસે ભવ્ય કૂચનું આયોજન કરીને ‘દેશનાયક દિવસ’ મનાવ્યો હતો. નેતાજીની ૧૨૫મી જન્મજયંતી વર્ષની ઉજવણીનો સંકલ્પ ભારત સરકાર અને પશ્ર્ચિમ બંગાળ સરકારે કર્યો હતો. નેતાજીના આવા પ્રસંગોની ઉજવણી નિમિત્તે પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણીમાં રાજકીય લાભ મેળવવાની રાજકીય પક્ષોની હોંશ હોય એ પણ સ્વાભાવિક છે. સામાન્ય રીતે ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા’ તેમ જ ‘ચલો દિલ્હી’ કે પછી ‘જય હિંદ’ના તેમના નારા સાથે જ લશ્કરી પોશાકમાં સજ્જ નેતાજીની તસવીર બાળપણમાં સૌને પ્રભાવિત કરતી હતી, પણ જયારે રાજકીય અન્યાય અને વિસરાયેલા નાયકોને ન્યાય તોળવાને નામે વર્તમાનમાં રાજકીય દ્વંદ્વ ખેલાય ત્યારે ઇતિહાસની શી વલે થાય એ પણ જોવું રહ્યું. વાસ્તવમાં વર્તમાન સમયમાં આઝાદીના લડવૈયા એવા એક નેતાને બીજા નેતા સામે મૂકવાની ગણતરી સાથેની કવાયતો ચાલે છે ત્યારે આપણે તથ્યોનું નીરક્ષીર કરવું અનિવાર્ય થાય છે.
નેતાજી ગાંધીજીની પસંદ
નેતાજી બોઝ ઇન્ડિયન સિવિલ સર્વિસ (આઇસીએસ)માં ચોથા ક્રમે આવ્યા હતા, પણ અંગ્રેજ સરકારની સેવા કરવાને બદલે એ સેવામાંથી રાજીનામું આપીને દેશસેવા કાજે ૧૬ જુલાઈ ૧૯૨૧ના રોજ સ્વદેશ પરત ફર્યા. એ જ દિવસે મુંબઈમાં મહાત્મા ગાંધીને મણિભવનમાં મળવા ગયા હતા. એમણે તેમને કોલકાતામાં ચિત્તરંજન દાસ ‘દેશબંધુ’ને મળવાની સલાહ આપી. દેશબંધુ સાથે જોડાઈને કોલકાતાના મુખ્ય વહીવટી અધિકારી બન્યા અને કૉંગ્રેસમાં પંડિત નેહેરૂના સમાજવાદી વિચારોની જેમ જ ડાબેરી ઝોકના નેતા બન્યા. ક્યારેક ગાંધીજીની નેતાગીરીને નિષ્ફળ ગણાવવાનું યુરોપમાં બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ સાથે ૧૯૩૩માં સંયુક્ત નિવેદન કરનારા સુભાષને મહાત્મા ગાંધીએ જ ૧૯૩૮ માટે કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા, એ વાત રખે ભૂલાય. સુરત પાસેના હરિપુરામાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત નેહેરૂ સહિતના તમામ કોંગ્રેસી નેતાઓએ સુભાષનાં ઓવારણાં લઈને તેમના અધ્યક્ષપદે વિઠ્ઠલભાઈ નગરમાં કૉંગ્રેસનું અધિવેશન સંપન્ન કર્યું હતું. આ સઘળા આયોજનને સફળ બનાવવામાં સરદાર પટેલનું સવિશેષ યોગદાન હતું. ફરીને ૧૯૩૯ માટે કૉંગ્રેસ અધ્યક્ષપદ માટેની ચૂંટણી નેતાજી ના લડે એવા ગાંધીજીના અને સરદાર પટેલ સહિતના નેતાઓના આગ્રહને અવગણીને સુભાષે અધ્યક્ષ બનવા ઉમેદવારી કરી. મૌલાના આઝાદ એમની સામે ચૂંટણી લડવામાં પાણીમાં બેઠા ત્યારે મહાત્મા ગાંધીના પ્રતિનિધિ તરીકે ડો. પટ્ટાભિ સીતારામૈયા લડ્યા અને હાર્યા. ગાંધીજીએ એને પોતાની વ્યક્તિગત હાર લેખાવી, પરંતુ એ વેળા ‘હું બીજાઓનો વિશ્ર્વાસ સંપાદિત કરી શકું, પણ ‘દેશના મહાનતમ વ્યક્તિ’ (મહાત્મા ગાંધી)નો વિશ્વાસ ના પામી શકું તો એ ટ્રેજેડી ગણાય’, એવું નેતાજીએ કહ્યું હતું.
મહાત્માને રાષ્ટ્રપિતા કહ્યા
સમયાંતરે નેતાજી કૉંગ્રેસથી વિમુખ થયા. અલગ ડાબેરી પક્ષ ફોરવર્ડ બ્લોક પણ સ્થાપ્યો. જર્મની ગયા. ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવવાના પ્રયાસો આદર્યા. તાનાશાહ હિટલરની મદદ લેવામાં કે જાપાનની મદદ લેવામાં એમને કશું ખોટું લાગ્યું નહોતું. જર્મનીથી ફેબ્રુઆરી ૧૯૪૩માં પોતાના અનન્ય મુસ્લિમ સાથી આબિદ હસન સફરાણી સાથે સબમરીનમાં પ્રવાસ ખેડવાનું પરાક્રમ આદરીને એ વાયા જાપાન સિંગાપુર પહોંચ્યા. ઓગસ્ટ ૧૯૪૩માં જ એમને સિંગાપુરમાં આઝાદ હિંદ ફોજના સરસેનાપતિનો હોદ્દો સંભાળ્યો. જાપાન અને બ્રિટિશ વિરૂદ્ધના અન્ય દેશોના સહયોગથી એમણે ભારતમાંથી અંગ્રેજોને ખદેડવા માટે રંગૂન-બર્માથી જંગ આદર્યો. ઇશાન ભારત તથા આંદામાન નિકોબાર સુધી વિજય કૂચ આદરી. જે મહાત્મા ગાંધી સાથે મતભેદ હતા એ જ મહાત્માને ૬ જુલાઈ ૧૯૪૪ના રોજ રંગૂનથી કરેલા રેડિયો પ્રસારણમાં ‘ફાધર ઓફ અવર નેશન’ (રાષ્ટ્રપિતા) તરીકે સૌપ્રથમવાર સંબોધન કરીને દિલ્હીમાં વાઇસરોય હાઉસ પર ત્રિરંગો ફરકાવવાના સંકલ્પને પરિપૂર્ણ કરવા આશીર્વાદ માંગ્યા હતા. કમનસીબે ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ નેતાજીનું તાઈપેઈ ખાતે વિમાન
દુર્ઘટનામાં અવસાન થયું. એ વેળા એમની સાથે એમના અત્યંત વિશ્ર્વાસુ સાથી અને એડીસી કર્નલ હબીબુર રહમાન ખાન હતા. એ પછી નેતાજી જીવતા હોવાની માન્યતાઓ ખૂબ પ્રચલિત રહી, પરંતુ જાન પર ખેલનારો અને અનેકવાર જેલવાસ તથા નજરકેદ ભોગવનાર આવો નરબંકો ક્યાંય છૂપાઈને રહે એ માન્યામાં આવતું નથી.
કોમી એખલાસના પ્રણેતા
આઝાદી પછી પંડિત નહેરૂ અને સરદાર પટેલે મહાત્માની વાતને કાન દેવાનું બંધ કર્યું હતું ત્યારે બાપુને તેમનો આ ‘બળવાખોર પુત્ર’ (સુભાષ) જરૂર યાદ આવતો હતો. નેતાજીના પરિવારમાં ઓસ્ટ્રીયન મૂળનાં પત્ની એમિલી અને દીકરી અનિતાની કાળજી સરદાર પટેલ અને પંડિત નહેરૂએ મળીને લીધાના પત્રવ્યવહાર છતાં નહેરૂને ભાંડવાની નીતિરીતિ ચાલતી રહી છે. અનિતા તો હવે પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત છે અને જર્મનીમાં જ રહે છે. સમયાંતરે બોઝ પરિવાર સાથે કોલકાતા આવીને રહે પણ છે. નેતાજીના મોટા ભાઈ સરતચન્દ્ર બોઝના પરિવારજનો અત્યારે તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપમાં વહેંચાઇ ગયાં છે. પશ્ર્ચિમ બંગાળમાં ગમે તે પક્ષ જીતે, પણ નેતાજી બોઝ તો સૌ ભારતવાસીઓના હોવાની અનુભૂતિ સદાય રહેશે. વડા પ્રધાન મોદીને નેતાજીના નિવાસનો પરિચય કરાવનાર સુગત બોઝ. એ સરતના દીકરા શિશિરના પુત્ર. સુગત ઓક્સફર્ડમાં પ્રાધ્યાપક છે અને તૃણમૂલના લોકસભાના સભ્ય રહ્યા છે. નેતાજી કાયમ હિંદુ, મુસ્લિમ અને શીખ એકતામાં માનતા અને વ્યવહારમાં આણતા રહ્યા. સમાજમાં ક્યારેય કોઈ કોમ સામે ઘૃણાભાવ જન્માવવાનું એમના સ્વભાવમાં નહોતું. એમના અત્યંત વિશ્ર્વાસુ સાથીઓ હંમેશાં મુસ્લિમો જ રહ્યાનું એમનાં પ્રત્યેક મિશનના સાથીઓ કે દાતાઓ જોતાં અવશ્ય લાગે છે.
ધોરાજી અને રાંદેરના સાથીઓ
નેતાજી સુભાષચંદ્ર બોઝનો નાતો છેક મહાત્મા ગાંધી, વિઠ્ઠલભાઈ પટેલ, સરદાર પટેલ જ નહીં, બીજા પણ અનેક ગુજરાતીઓ સાથે રહ્યો છે. વિદેશમાં સરદારસિંહ રાણા સાથેના નેતાજીના સંબંધો પણ હજુ વણખેડાયેલા જ છે. મહાત્મા ગાંધીની જેમ જ નેતાજી હિંદુ-મુસ્લિમ-શીખ એકતાના પ્રણેતા જ નહોતા, એમના અનન્ય સાથીઓ અને મદદકર્તાઓમાં પણ તમામ ધર્મના લોકો હતા. નેતાજીનું નામ લઈને હિંદુ વિરૂદ્ધ મુસ્લિમનું રાજકારણ ખેલાવાનો પ્રયાસ કરનાર એ વાત વિસરી જાય છે કે નેતાજીની આઝાદ હિંદ બૅંક સ્થાપવા માટે ૧૯૪૪માં એક કરોડ રૂપિયાના ભંડોળનું દાન કરનાર મૂળ ધોરાજીના મુસ્લિમ અગ્રણી અને બર્માનિવાસી મેમણ અબ્દુલ હબીબ યુસુફ મારફણી હતા. કમનસીબી તો જુઓ કે દેશભરમાં જ નહીં, દુનિયાભરમાં નેતાજીની ૧૨૫મી જન્મજયંતી મનાવવાની એક બાજુ વડા પ્રધાન મોદી ઘોષણા કરે, પણ બીજી બાજુ ગુજરાત સરકાર ધોરાજીમાં આ મહાન દાતાના નામે રોડનું નામકરણ કરવા માટે અંજુમન-એ-ઇસ્લામ મેમણ જમાત, ધોરાજીના પ્રમુખ હાજી અફરોઝભાઈ લકડકુટ્ટા અને પત્રકાર નયન એચ. કુહાડિયાની ૨૪ નવેમ્બર ૨૦૨૦ની અરજી અંગે કોઈ પગલાં હજુ લેતી નહીં હોવાનું જણાવાય છે. વાત આટલે અટકતી નથી. સુરતના ગુલામ હુસૈન મુસ્તાક રાંદેરી તો નેતાજીના લશ્કરમાં ભરતી અધિકારી તરીકે કાર્યરત રહ્યા છે. નેતાજીના અંતિમ દિવસ સુધી એમની સાથે અત્યંત નિષ્ઠાવાન સાથી તરીકે મુસ્લિમો જ હતા. એ કોલકાતાથી ૧૯૪૧માં અલોપ થઈને પેશાવરમાં પ્રગટ થયા અને જર્મની પહોંચ્યા ત્યાં લગી અને ત્યાં પણ મુસ્લિમો, હિંદુ અને શીખ એમના માટે જાન ન્યોછાવર કરવા તૈયાર હતા. આવા મહાન રાષ્ટ્રપુરુષનો અસ્થિકુંભ હજુ જાપાનના બૌદ્ધ મંદિરમાં છે. એમનાં પુત્રી અનિતાએ વારંવાર માંગણી કર્યા છતાં એનો ડીએનએ ટેસ્ટ કરાવવા માટે હજુ ભારત સરકાર તૈયાર થતી નથી એ વિધિની વિટંબણા જ કહેવી પડે. નેતાજી ૧૯૪૫ની વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા નહોતા એવું માનનારાઓ આ ટેસ્ટ ના થાય એવી કોશિશમાં છે.‘’
ઈ-મેઈલ: વફશિમયતફશલળફશહ.ભજ્ઞળ (લખ્યા તારીખ : ૧૪ જાન્યુઆરી, ૨૦૨૩)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular