વૃદ્ધ માતા-પિતાને તરછોડશો તો પગાર કપાશે! આ રાજ્યની સરકાર લાવી રહી છે નવો કાયદો

હૈદરાબાદ: આધુનિક યુગમાં જીવન ખુબજ સ્પર્ધાત્મક બની રહ્યું છે, ભાગદોડમાં લોકોને પોતાના માતાપિતા માટે પણ સમય નથી મળી રહ્યો, જેને કારણે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે. એવામાં તેલંગાણા સરકાર એક મહત્વનો કાયદો લાવવા જઈ રહી છે. માતાપિતાને તરછોડતા સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મુકવામાં આવશે.
મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ સોમવારે જણાવ્યું હતું કે કેટલાક સિનીયર સિરીઝન્સને તેમના બાળકો દ્વારા અવગણવામાં આવી રહી છે. રાજ્ય સરકાર આગામી બજેટ સત્રમાં એક એવો કાયદો રજૂ કરશે, જે હેઠળ માતાપિતાને તરછોડતા સરકારી કર્મચારીના પગારમાંથી 10-15 ટકા કાપ મુકવામાં આવશે, આ નાણા તેના માતાપિતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
વરિષ્ઠ નાગરિકો માટે રેડ્ડી સરકાર ગંભીર:
રેવંત રેડ્ડીએ એ પણ જણાવ્યું કે રાજ્ય સરકાર વરિષ્ઠ નાગરિકો માટે ડે કેર સેન્ટર ‘પ્રણામ’ બનાવી રહી છે. વૃદ્ધ માતા-પિતાની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ કહ્યું, “જેઓ પોતાના માતા-પિતાની સંભાળ નથી રાખતા,તે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નથી નિભાવી રહ્યા. આપણા વડીલો ગૌરવ સાથે જીવન જીવી શકે એ માટે આ માનવતાવાદી પગલા ભરવામાં આવી રહ્યા છે.”
ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મહત્વની જાહેરાત:
મુખ્ય પ્રધાન રેડ્ડીએ ટ્રાન્સજેન્ડર સમુદાય માટે પણ મહત્વની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેમની સરકાર ટ્રાન્સજેન્ડર સમુદાયને વધુ પ્રતિનિધિત્વ આપશે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક કો-ઓપ્શન સભ્ય પદ ટ્રાન્સજેન્ડર સભ્ય માટે અનામત હશે.
રેડ્ડીએ જણાવ્યું કે અગામી વિધાનસભા બજેટ સેશન દરમિયાન તેમની સરકાર રાજ્યના તમામ નાગરિકોને તબીબી સારવાર પૂરી પાડવા માટે એક હેલ્થ પોલીસીની જાહેરાત કરશે.
રેડ્ડીએ કે તેમનો ઉદ્દેશ્ય એક ન્યાયી તેલંગાણા બનાવવાનો છે, જ્યાં કોઈ પાછળ ન રહે.
આ પણ વાંચો…CM રેવંત રેડ્ડીની મુંબઈ મુલાકાત સફળ: તેલંગાણામાં સલમાન ખાને કર્યું 10,000 કરોડનું જંગી રોકાણ



