ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી બની જીવલેણઃ દેશમાં એક જ દિવસમાં ચાર લોકોના મોત

નવી દિલ્હીઃ ઉત્તરાયણના દિવસે ચાઈનીઝ દોરીથી ભારતમાં ઓછામાં ઓછા ચારના મોત થયા છે. દેશના વિવિધ ભાગો 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. પ્રતિબંધિત ‘ચાઇનીઝ માંઝા’ લોકો માટે ઘાતક બની રહી છે. ચાઈનીઝ દોરીના કારણે ઇન્દોરમાં 45 વર્ષીય વ્યક્તિ રઘુબીર ધાકડનું ગળું કપાઈ જતા મોત થયું હતું. તે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે દોરીથી તેનું ગળું કપાઈ ગયું હતું.
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં આજે ઓછામાં ઓછા બે મૃત્યુ થયા હતા. શહેરમાં ચાઈનીઝ માંઝાના કારણે ગળુ કપાઈ જતા એક શિક્ષકનું મૃત્યુ થયું હતું. પતંગની દોરીએ બાઇક ચલાવતા એક યુવાનનું મોત થયું હતું.
આપણ વાચો: ઉતરાયણ પર્વ પૂર્વે પોલીસ એક્શનમાં: રાપરમાંથી રૂ. 60 હજારની ચાઈનીઝ દોરી ઝડપાઈ…
દક્ષિણમાં કર્ણાટકના બિદરમાં 48 વર્ષીય વ્યક્તિના ગળામાં ઘાતક દોરી ફસાઈ ગઈ હતી. તેની ઓળખ સંજુકુમાર હોસમણી તરીકે થઈ હતી. જે પોતાની મોટરસાયકલ લઈને મકર સંક્રાંતિ માટે હોસ્ટેલથી ઘરે પોતાની પુત્રીને લાવવા માટે હુમનાબાદ જઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરીથી તેના ગળામાં ઊંડો ઘા થયો હતો. એમ્બ્યુલન્સ આવે તે પહેલાં તેનું મોત થયું હતું. તેણે અંતિમ શ્વાસ લેતા અગાઉ પોતાની પુત્રીને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો.
ચાઈનીઝ દોરીના જોખમોને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે સોમવારે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી અને ભાર મૂક્યો કે માતાપિતાની દેખરેખમાં બાળકોએ પતંગો ઉડાવવા જોઈએ.
આપણ વાચો: ઉત્તરાયણ પહેલા માંડવીમાં કાતિલ ચાઈનીઝ દોરીથી બે લોકો ઘવાયા
જસ્ટિસ વિજય કુમાર શુક્લા અને જસ્ટિસ આલોક અવસ્થીની બનેલી બેન્ચે રાજ્ય સરકારને ચાઇનીઝ માંઝા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્દેશ આપ્યો હતો અને ઉમેર્યું હતું કે જો કોઈ સગીર પ્રતિબંધિત દોરીનો ઉપયોગ કરીને પતંગ ઉડાડતો જોવા મળે છે તો તેના વાલીઓને કાયદેસર રીતે જવાબદાર ઠેરવી શકાય છે.
કોર્ટે ઉમેર્યું હતું કે પ્રતિબંધ પછી પણ ચાઈનીઝ દોરી વેચનારા અથવા તેનો ઉપયોગ કરનારાઓને ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1) હેઠળ બેદરકારીથી મૃત્યુનું કારણ બનવા બદલ કાર્યવાહી કરી શકાય છે. બેન્ચે 2025ની શરૂઆતમાં દોરીથી થતા મૃત્યુ અને અકસ્માતોની સુઓમોટો નોંધ લીધી હતી.



