એક ગામમાં એક ખૂબ મહાન અને જ્ઞાની ઋષિ રહેતા હતા. ગામના લોકો આ ઋષિને ખૂબ જ માન-પાન આપતા હતા અને જ્યારે પણ ગામના લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા કે મુશ્કેલી આવે તો તેઓ ઋષિ પાસે આવતા પોતાની સમસ્યાનું સમાધાન મેળવવાનો પ્રયાસ કરતાં હતા. ગામવાસીઓ ઋષિથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા.
એકવાર એક વ્યક્તિ એક ઋષિ પાસે પોતાની સમસ્યા લઈને આવી અને તેણે ઋષિને પૂછ્યું કે ગુરુજી મારો એક સવાલ છે, જે મારે તમને પૂછવો છે. જેના જવાબમાં ઋષિએ કહ્યું, તારો પ્રશ્ન શું છે એ નિઃસંકોચ થઈને પૂછ. વ્યક્તિએ પૂછ્યું કે હું કેવી રીતે ખુશ રહી શકું, મારી ખુશીનું રહસ્ય શું છે? વ્યક્તિના આ સવાલના જવાબમાં ઋષિએ જણાવ્યું કે આ સવાલનો જવાબ મેળવવા માટે તારે મારી સાથે જંગલમાં આવવું પડશે.
વ્યક્તિ ઋષિ સાથે સહમત થઈ જાય છે અને સુખનું રહસ્ય જાણવા માટે ઋષિ સાથે જંગલમાં જવા નીકળી પડે છે. બંને જણ જંગલમાં જાય છે. જંગલમાં આગળ વધતા વધતા રસ્તમાં અચાનક જ એક મોટો પથ્થર આવે છે અને ઋષિ વ્યક્તિને તે પથ્થર પોતાની સાથે લઈ લેવા જણાવે છે. વ્યક્તિ પણ ઋષિને કોઈ પણ પ્રકારનો સવાલ પૂછ્યા વિના તેમના આદેશનું પાલન કરે છે અને તેના હાથમાં પથ્થર ઉપાડે છે.
થોડા સમય પછી તે વ્યક્તિ તે ભારે પથ્થર ઉપાડવાને કારણે દુઃખાવાનો અનુભવ કરે છે. પરંતુ વ્યક્તિ દુઃખાવો સહન કરીને પણ પથ્થર સાથે લઈને ચાલવાનું રાખે છે. પરંતુ થોડું આગળ વધતા જ તેને અસહ્ય પીડા થવા લાગે છે ત્યારે તેઓ ઋષિને કહે છે કે ગુરુજી હવે આ વજનદાર પથ્થર ઉપાડવાને કારણે મને હાથમાં દુઃખાવો થાય છે અને થાકી પણ ગયો છું.
વ્યક્તિની આ સમસ્યા સાંભળીને ઋષિએ જણાવ્યું કે જે રીતે તમે આ ભારે પથ્થરને 10 મિનિટ સુધી રાખ્યો હતો અને તેને કારણે તમને દુઃખાવો થવા લાગ્યો. જો આ પથ્થર હજી થોડો વધુ સમય સુધી તમે હજી લઈને ચાલ્યા હોત તો તમને હજી વધુ દુઃખાવો થયો હોત. એ જ રીતે, જ્યાં સુધી તું તારી જાત પર દુ:ખનો બોજ લાદતો રહીશ ત્યાં સુધી તને સુખની અનુભૂતિ નહીં થાય અને જીવનમાં નિરાશા જ આવશે. આપણી ખુશી એ વાત પર નિર્ભર કરે છે કે આપણે કેટલા સમય સુધી આપણી જાત પર દુઃખોનો બોજ નાખીએ છીએ.
મોરલ ઓફ ધ સ્ટોરી: જો તમારે પણ તમારા જીવનમાં સુખી રહેવું હોય તો ક્યારેય દુ:ખને તમારા પર હાવી ન થવા દો. દુઃખ એક ભારે પથ્થર જેવું છે જે આપણને વેદના અને દુઃખાવો જ આપવાનું કામ કરે છે.