મોરબીના ઝૂલતા પુલની હોનારતમાં ઓરેવા ગ્રુપના એમ ડી જયસુખ પટેલની આગોતરા જામીન અંગેની અરજીની સુનાવણી કોર્ટ પહેલી ફેબ્રુઆરીએ કરશે. અગાઉ આજે સુનાવણી થવાની હતી, પરંતુ હવે પહેલી ફ્રેબ્રુઆરીના સુનાવણી કરવામાં આવશે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેને લઈને આજે આગોતરા જામીન અરજી પર મોરબીની સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી. આ સુનવણીમાં પોલીસ દ્વારા મુદ્દત માંગવામાં આવતા તેને ધ્યાને લઈ કોર્ટે આગામી સુનવણી પહેલી તારીખ પર રાખી છે. મૃતકોના પરિવાર વતી એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાએ જામીન અરજીની સુનવણી સમયે પોતાને સાંભળવા માટે અરજી કરી હતી. કોર્ટે અરજી મંજુર કરી આગામી સુનવણીમાં તેમને તક આપવામાં આવશે, તેમ પણ જણાવ્યું હતુ.
મોરબી ઝૂલતો પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતો પુલનું રીનોવેશન કરવામાં આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. જે બનાવ મામલે મૃતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. જોકે ઝૂલતો પુલ દુર્ઘટના મામલે થયેલી ફરિયાદમાં તેમનું નામ આરોપી તરીકે મુકવામાં આવ્યું નહતું.
મોરબી માટે તારીખ 30 ઓક્ટોબરને રવિવારનો દિવસ ગોઝારો બની ગયો હતો, જેમાં ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા, એમાં 50થી વધુ બાળકો સહિત 135 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના મામલે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે હોનારત બની ગયાના પાંચ દિવસ પછી ચીફ ઓફિસરને માત્ર સસ્પેન્ડ જ કરાયા હોવાથી આ કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.
મોરબી પુલ દુર્ઘટનાઃ જયસુખ પટેલની જામીન અંગે પહેલી ફેબ્રુઆરીએ સુનાવણી થશે
RELATED ARTICLES