Homeટોપ ન્યૂઝમહારાષ્ટ્રને ‘સમૃદ્ધિ મહામાર્ગ’ પર મૂકતા મોદી

મહારાષ્ટ્રને ‘સમૃદ્ધિ મહામાર્ગ’ પર મૂકતા મોદી

₹ ૭૫,૦૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

મેટ્રો ટ્રેન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં નાગપુર મેટ્રો પ્રોજેક્ટના પહેલા તબક્કાનું લોકાર્પણ કર્યું હતું અને બીજા તબક્કાની શિલારોપણ વિધિ કરી હતી. (એજન્સી)

નાગપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મહારાષ્ટ્ર, ખાસ કરીને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના મતવિસ્તાર નાગપુરમાં કુલ રૂ. ૭૫,૦૦૦ કરોડના વિવિધ વિકાસકાર્યનું લોકાર્પણ કરીને રાજ્યને ‘સમૃદ્ધિ મહામાર્ગ’ પર મૂક્યું હતું.
સમૃદ્ધિ મહામાર્ગ અથવા નાગપુર-મુંબઈ સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસવે પ્રોજેક્ટ સમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું છે. આશરે રૂ.૫૫,૦૦૦ કરોડના ખર્ચે બનેલો ૭૦૧ કિલોમીટરનો એક્સપ્રેસવે ભારતના સૌથી લાંબા એક્સપ્રેસવે પૈકીનો એક છે. તે મહારાષ્ટ્રના ૧૦ જિલ્લા અને અમરાવતી, ઔરંગાબાદ અને નાસિકના અગ્રણી શહેરી વિસ્તારોમાંથી પસાર થાય છે.
મોદીએ જણાવ્યું હતું કે શૉર્ટકટથી કોઈ દેશ ચાલી નથી શકતો. દેશની પ્રગતિ માટે સ્થાયી વિકાસ અને સ્થાયી સમાધાન સાથે કામ કરવા ઉપરાંત દીર્ઘદૃષ્ટિ ખૂબ જરૂરી છે.
મોદીએ કહ્યું હતું કે પહેલી ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે ભારત તેનો લાભ નહોતું ઊઠાવી શક્યું. બીજી અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં પણ આપણે પાછળ રહી ગયા હતા, પરંતુ આજે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો સમય છે ત્યારે દેશ એ તક ગુમાવી શકે એમ નથી અને ભારત આ તકનો લાભ ઊઠાવશે, એમ તેમણે કહ્યું હતું.
છેલ્લાં આઠ વર્ષમાં આપણે વિચાર અને અભિગમ બંને બદલ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે સબ કા સાથ, સબ કા વિશ્ર્વાસ, સબ કા વિકાસ અને સબ કા પ્રયાસ પર જોર આપી રહ્યા છીએ.
હું જ્યારે સબ કા પ્રયાસ કહું છું ત્યારે તેમાં તમામ દેશવાસીઓ અને રાજ્યો સામેલ છે. નાના-મોટા બધાનું સામર્થ્ય વધશે ત્યારે જ દેશ વિકસિત બનશે, એમ તેમણે કહ્યું હતું.
વિકસિત રાષ્ટ્રના વિરાટ સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.
સામૂહિક તાકાત જ વિકસિત ભારતના નિર્માણનો માર્ગ છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણનો મંત્ર છે રાષ્ટ્રના વિકાસ માટે રાજ્યનો વિકાસ.
શૉર્ટકટથી કોઈ દેશ ચાલી નથી શકતો એમ જણાવી તેમણે આક્ષેપ કર્યો હતો કે અમુક પક્ષો શૉર્ટકટનું રાજકારણ અપનાવીને દેશના અર્થતંત્રનો નાશ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
શૉર્ટકટના રાજકારણથી દેશનો વિકાસ થઈ શકે નહીં એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અગાઉ કરદાતાઓના રૂપિયા ભ્રષ્ટાચાર અને વૉટબૅન્કના રાજકારણમાં વપરાઈ જતા હતા.
અમારી સરકાર દેશને અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ આપવાની સાથે સાથે દેશના અધ્યાત્મિક વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશ ભગવાનની પ્રાર્થના કરીને તમામ સારા કામની શરૂઆત કરવામાં આવે છે. ટેકરી પરના ગણપતિ બાપ્પાને હું પ્રણામ કરું છું, એમ તેમણે કહ્યું હતું.
વિશ્ર્વના ૩૦ કરતાં પણ વધુ દેશે આયુર્વેદના પરંપરાગત સારવાર પદ્ધતિ તરીકે સ્વીકાર કર્યો છે તેનાથી હું આનંદ અનુભવી રહ્યો છું અને આપણે દેશની આયુર્વેદિક પદ્ધતિને વધુ દેશોમાં માન્યતા મળે તે માટેના પ્રયાસ કરી તેનો વ્યાપ વધારવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
દેશમાં નેશનલ આયુષ કોન્સોર્ટિયમની સ્થાપના કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લીધી હતી. તેમણે નાગપુરમાં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી, નાગપુર મેટ્રોના તબક્કા-૧નું લોકાર્પણ કર્યું હતું અને ગોવામાં મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
મહારાષ્ટ્રમાં મોદીએ રૂ. ૭૫,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદૃ્ઘાટન કર્યું હતું એમ વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું. મોદીએ નાગપુર મેટ્રો ફેઝ-૨નો શિલાન્યાસ કર્યો હતો. નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું અને શહેરમાં આવેલી એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. વિદર્ભ શહેરમાં એક જાહેર સમારંભમાં વડા પ્રધાને રૂ.૧૫૦૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટનું લોકાર્પણ અને ઉદૃ્ઘાટન કર્યું હતું.
ત્યાં તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વન હેલ્થ (એનઆઇઓ) અને નાગ નદી પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (સીઆઇપીઇટી) અને સેન્ટર ફોર રિસર્ચ, મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ ઑફ હિમોગ્લોબિનોપેથીનું ઉદૃ્ઘાટન પણ તેમણે કર્યું હતું. પછીથી ગોવામાં વડા પ્રધાને વિશ્ર્વ આયુર્વેદ કૉંગ્રેસના સમાપન સમારોહને સંબોધિત કરીને ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું ઉદૃ્ઘાટન પણ કર્યું હતું.
પીએમઓએ જણાવ્યું હતું કે
આ એક્સપ્રેસવે નજીકના ૧૪ અન્ય જિલ્લાઓની કનેક્ટિવિટી સુધારવામાં પણ મદદ કરશે. આમ વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના પ્રદેશો સહિત રાજ્યના લગભગ ૨૪ જિલ્લાઓના વિકાસમાં મદદ કરશે. નાગપુર મેટ્રોનો તબક્કો-૧ રૂ. ૮૬૫૦ કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે જ્યારે તેના તબક્કા-૨નો ખર્ચ રૂ. ૬૭૦૦ કરોડથી વધુ થશે. પીએમઓએ નોંધ્યું હતું કે મોદીએ જુલાઈ ૨૦૧૭માં નાગપુરમાં એઈમ્સનો શિલાન્યાસ કર્યો હતો અને તેને રૂ. ૧૫૭૫ કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવી છે.
ગોવામાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનો ખર્ચ આશરે રૂ. ૨૮૭૦ કરોડ છે અને એરપોર્ટનો પહેલો તબક્કો વાર્ષિક આશરે ૪૪ લાખ મુસાફરો (એમપીપીએ)ની ક્ષમતા ધરાવશે જેને ૩.૩ કરોડ મુસાફરની ક્ષમતા સુધી વિસ્તારી શકાશે. (પીટીઆઇ)
————-
નાગપુરથી પુણે છ કલાકમાં પહોંચી શકાશે: ગડકરી
નાગપુર: માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ વિભાગના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ અમે ઔરંગાબાદથી પુણે સુધીનો હાઈવે બનાવી રહ્યા છીએ અને જલદી જ તેનો શુભાંરભ થશે, જેને કારણે નાગપુરથી પુણે માત્ર છ કલાકમાં પહોંચી શકાશે. મહારાષ્ટ્રમાં અમે બીજા છ એક્સપ્રેસ હાઈવે પણ બનાવી રહ્યા છીએ.

——-
જર્મની કરતાં સારો હાઈવે બનશે: શિંદે
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ’ જર્મનીના ઑટોબાન હાઈવે કરતાં સારો પુરવાર થશે. આ રાજમાર્ગ ૧૦ જિલ્લા અને રાજ્યના અમરાવતી, ઔરંગાબાદ અને નાસિકના મુખ્ય શહેરી વિસ્તારમાંથી પસાર થાય છે. મહારાષ્ટ્રમાં જી-૨૦ની બેઠકની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ભારતની જી-૨૦ની અધ્યક્ષતાનું મહત્ત્વ અમે સમજીએ છીએ. શિંદેએ નરેન્દ્ર મોદીનું પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular