(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારા મોડક સાગરબંધમાં અનેક પ્રકારના સમારકામ કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. નાશિકના ડેમ સેફ્ટી ઑર્ગેનાઈઝેશનના અહેવાલમાં બંધના સમારકામને લઈને અમુક ભલામણ કરવામાં આવી હતી, તે મુજબ રંગકામથી લઈને અનેક પ્રકારના સમારકામ કરવામાં આવવાનાં છે. તે માટે લગભગ ૩ કરોડ ૭૧ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર, તુલસી જેવા સાત બંધમાંથી મુંબઈને દરરોજ ૩,૯૫૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. મોડક સાગર એ મુંબઈને પાણીપુરવઠો કરનારાં જળાશયોમાંનું એક મહત્ત્વનું જળાશય છે. મોડકમાંથી દરરોજ ૪૫૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. અપર અને મધ્ય વૈતરણા બંધમાંથી છોડવામાં આવતાં પાણીને પણ મોડક સાગરમાં સંઘરવામાં આવે છે.
સાતેય જળાશય પર બાંધવામાં આવેલા બંધની વખતોવખત સમારકામની આવશ્યકતા હોય છે. ડેમ સેફ્ટી ઑર્ગેનાઈઝેશન, નાશિક તરફથી ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ બંધનું નિરીક્ષણ કરીને બંધમાં આવશ્યક રહેલાં સમારકામ અને દેખરેખનો સવિસ્તાર અહેવાલ મુંબઈ મહાનગરપાલિકાને વખતોવખત રજૂ કરવામાં આવ્યો હોય છે. આ અહેવાલમાં સમારકામની ભલામણ કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ બંધની ભીંતની બહાર અને અંદરની તરફ કલર કરવામાં આવવાનો છે. બંધના બહારના ભાગમાં શેવાળ ફૂટી નીકળી છે. ઠેર ઠેર ફૂગ લાગી ગઈ છે. ઝાડ અને ઘાસ ઊગી નીકળ્યા છે. દીવાલ પર અનેક ઠેકાણે રંગ ધોવાઈ ગયો છે. બંધની ભીંતને નુકસાન થયું છે. બંધની દીવાલનું રંગકામ, પોલાદી થાંભલાઓને કાટ લાગે નહીં તે માટે રંગવામાં આવવાના છે. પથ્થરની ભીંતનું સમારકામ, બંધ તરફ જનારા રસ્તાનાં સમારકામ જેવાં પણ કામ કરવામાં આવવાના છે. તે માટે પાલિકા ૩.૭૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
મોડક સાગર બંધની લંબાઈ ૫૭૦ મીટર હોઈ તેની ઊંચાઈ ૮૨ મીટર છે. આ બંધને ૧૨.૧૯ મીટર અને ૭.૯૨ મીટર લંબાઈના આકારના ઓટોમેટિક પૂર નિયંત્રણ દરવાજા છે. તેમાંથી પ્રતિ સેકેન્ડે બે લાખ ઘનમીટર પાણીનો નિકાલ થાય છે.