Homeધર્મતેજ" મન મસ્ત હુઆ તબ ક્યા બોલે પછી શબ્દોનો કોઈ અર્થ રહેતો...

” મન મસ્ત હુઆ તબ ક્યા બોલે પછી શબ્દોનો કોઈ અર્થ રહેતો નથી

કુદરતના કોઈ પણ તત્ત્વો એક બીજા સાથે સરખામણી કરતા નથી. માણસ જ પોતાને બીજા સાથે માપે તોળે છે

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

ધન, પદ અને પ્રતિષ્ઠા મળી જશે તો
પણ બીજી ઘણી ચીજો છે જેમાં
આપણે પાછળ રહેવાના છીએ
ભગવાન મહાવીરને જ્યારે પરમજ્ઞાન થયું ત્યારે તેઓ આંતરિક ચેતનામાં ઊતરી ગયા હતા અને મૌન ધારણ કર્યું હતું. જ્ઞાન થયા પછી બોલવાનું રહેતું નથી. પછી શબ્દોનો કોઈ અર્થ રહેતો નથી. આવા સમયે મહાત્માઓ બોલતા નથી. બોલે તો પણ આપણી સમજમાં આવતું નથી. એટલા માટે તેઓ ચૂપ રહેવાનું પસંદ કરે છે. જિજ્ઞાસુ હોય તેવો સ્વયં આવા સંતોના જીવનમાંથી અર્થપૂર્ણ હોય તેવું શોધી લે છે. અને જેમને જાણવામાં તેમજ સમજવામાં રસ નથી અને જેમની આંખો જોઈ શકે તેમ નથી અને જેમના કાન સાંભળી શકે તેમ નથી તેમને કાંઈ પણ કહો તેનો કોઈ અર્થ નથી. કહીએ તો પણ તેઓ પોતાની રીતે રંગો પૂરી લેશે. મન સ્થિર ન હોય ત્યાં સુધી સાચું બોલી શકાતું નથી. અને સાચું સાંભળી શકાતું નથી. ચિત્તમાં જે હોય છે તે બહાર નીકળે છે. બોલવામાં થતો બફાટ હકીકતમાં એ ભૂલ જીભની નથી. જીભને ગમે તેટલી કાબૂમાં રાખો, ગમે તેવો દ્રઢ સંકલ્પ કરો પણ અંદર જે સળવળતું હોય છે તે પ્રગટ થયા વગર રહેતું નથી. અંદરનો વલોપાત જીભ દ્વારા બહાર નીકળે છે.
મહાપુરુષોના બોલવામાં અને આપણા બોલવામાં ફરક રહેલો છે. તેઓ જરૂર પૂરતું બોલે છે અને આપણે જે કાંઈ મનમાં આવે તે બોલ્યા કરીએ છીએ. માણસ બોલવા માટેના વિષયો શોધી કાઢે છે. બોલવા કરતાં સાંભળવાનું વધુ મહત્ત્વ છે. સૌ કોઈ બોલે છે સાંભળવાવાળા બહુ ઓછા છે. માણસ પોતાના સુખ અને દુ:ખની, કિસ્મતની, બહાદુરીની, બુદ્ધિની આવડતની વાત વારંવાર દોહરાવ્યા કરે છે. આમાં બીજા પર પ્રભાવ પાડવાનો અને પોતે કંઈક વિશેષ છે એવું પ્રદર્શિત કરવાનો આશય હોય છે. માણસ પોતાના વિશે જ્યારે વાત કરે છે ત્યારે જાણ્યે અજાણ્યે અહંકાર ડોકિયા કરતો હોય છે. આપણે જ્યારે આપણી વાત કરતા હોઈએ ત્યારે મોટાભાગે બીજાને માટે તેનો કોઈ અર્થ હોતો નથી. આમ છતાં લોકો કાન માંડીને સાંભળતા હોય એવું આપણને લાગે છે. હકીકતમાં જે લોકો બોલી શકતા નથી તેઓ સાંભળે છે. પણ તેમને આમાં કાંઈ રસ હોતો નથી. બાકીના લોકો બોલવાનો મોકો શોધી રહ્યા હોય છે. તેમને સાંભળવા કરતાં તમારી વાતનો જવાબ આપવામાં વધુ ઈંતજાર હોય છે. આવા વાર્તાલાપમાં સૌ કોઈ બોલવા ઉત્સુક હોય છે. કેટલાક માણસોને બોલતા તો આવડતું નથી પણ ચૂપ રહેતા પણ આવડતું નથી. આ ઘણું મુશ્કેલ છે. અસ્વસ્થ ચિત્ત સાથે ચૂપ રહેવાનું અને સ્વસ્થ ચિત્ત હોય ત્યારે બોલવાનું કઠિન છે. મન શાંત થઈ જાય ત્યારે બોલવાનું રહેતું નથી.
ઓશોએ કબીર વાણીમાં કબીરનાં પદોને ટાંકીને આ વાતને યથાર્થ રીતે સમજાવી છે…
“મન મસ્ત હુઆ તબ ક્યા બોલે
હીરા પાયો ગાંઠ ગઠિયાયો
બાર બાર બાકો ક્યોં ખોલે
હલકીથી તબ ચડી તરાજૂ
પૂરી ભઈ તબ ક્યું બોલે
સુરત કલારી ભઈ મતવાલી
મદવા પી ગઈ બિન તોલે
હંસા પાયે માન સરોવર
તાલ તલૈયા ક્યો ડોલે
તેરા સાહેબ હૈં ઘર માંહી
બાર નૈના ક્યો ખોલે
કહે કબીર સુનો ભાઈ સાધો
સાહબ મિલ ગયે તિલ ઓલે
“મન મસ્ત હુઆ તબ ક્યા બોલે પ્રેમ, જ્ઞાન અને આનંદની મસ્તી હોય પછી કશું બોલવાનું રહેતું નથી. માણસ દુ:ખી હોય ત્યારે બોલતો રહે છે. દુ:ખની વાત અને વ્યથા એક યા બીજા સ્વરૂપે બહાર નીકળતી રહે છે. માણસ પૂરેપૂરો સ્વસ્થ હોય ત્યારે તેને શરીરનો ખ્યાલ રહેતો નથી. તેની તમામ ક્રિયાઓ સ્વાભાવિક બની જાય છે. માથું દુખે છે ત્યારે માથાનો ખ્યાલ આવે છે. પગમાં કાંટો વાગે ત્યારે પગનો ખ્યાલ આવે છે. જોડો બરાબર પગમાં આવી જાય તો ખબર પડતી નથી, પરંતુ એ ડંખે ત્યારે પગનો ખ્યાલ આવે છે. જે સ્વાભાવિક હોય છે તે આનંદ જનક હોય છે અને જે અસ્વાભાવિક હોય છે તે દુ:ખદાયક બને છે. માણસ જ્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ બની જાય છે ત્યારે શરીર અને આત્મા શાંત બને છે. વિવાદના સ્થાને સંવાદ સર્જાય છે. માણસ અંતરમાં ઊતરે તો તેને બહાર કશું શોધવાનું રહેતું નથી. અત્યંત દુ:ખ આવે ત્યારે ગળે ડૂમો બાઝી જાય છે. શબ્દો બહાર નીકળી શકતા નથી. અત્યંત આનંદમાં ભાવવિભોર બની જવાય ત્યારે શબ્દો આંસુ બનીને સરકી પડે છે. આનંદ વ્યક્ત કરવા માટે ભાષાની, શબ્દોની જરૂર પડતી નથી. જે કંઈ કહેવાનું હોય તે ભાવ દ્વારા પ્રગટ થઈ જાય છે.
” હીરો પાયો ગાંઠ ગઠિયાયો બાર બાર બાકો ક્યોં ખોલે હીરો મળી ગયો. ગાંઠમાં બાંધી લીધો પછી તેને વારંવાર શા માટે ખોલવો. જિંદગીમાં માણસને જે કાંઈ મળી જાય છે તેને વારંવાર તપાસ્યા કરે છે. ભાવિમાં ભરોસો અને વિશ્ર્વાસ નથી. આ ચાલ્યું તો નહીં જાય ને એવો ડર છે. તેને સાચવી રાખે છે. કંજૂસ માણસ જેમ વારંવાર તિજોરી ખોલીને જોઈ લે અને તૃપ્તિ અનુભવે તેવી આ વાત છે. મેળવવા જેવું બધું મળી ગયું હોય પણ માણસને સંતોષ નથી. સુખ આવે ત્યારે માણસ તેની અડોઅડ ઉભો રહી જાય છે. સુખથી પણ થોડું અંતર રાખવું જરૂરી છે. કારણ કે એ ચાલ્યું જાય તો પણ તેનું દુ:ખ ઓછું રહેશે.
“હલકીથી તબ ચઢી તરાજૂ ભઈ તબ ક્યું તોલે ત્રાજવાનું પલ્લું હળવું હોય છે ત્યારે તે ઉપર રહે છે જેવું ભારે થવા લાગે છે ત્યારે નીચે નમે છે અને જ્યારે પૂરું ભરાઈ જાય છે ત્યારે જમીનને અડી જાય છે. પછી તોળવાનું બાકી રહેતું નથી. આપણી જિંદગી પણ ત્રાજવાના પલ્લા જેવી છે. કાંઈક મેળવીએ ત્યારે નીચા નમીએ તો સારા લાગીએ. વૃક્ષ જ્યારે ફળોથી લચી જાય છે ત્યારે નીચે નમે છે, પરંતુ અહંકારયુક્ત માણસો ભાર વધે છે ત્યારે નીચે નમતા નથી અને પોતાના ભારથી તૂટી પડે છે. માણસ એક એક પગથિયું માંડીને સફળતાની સીડી પર ચડે છે અને ટોચ પર પહોંચ્યાં પછી જો અહંકાર અને અભિમાન આવી જાય તો ગબડી પડતાં વાર લાગતી નથી. ધન, સત્તા અને સંપત્તિને જીરવતા આવડવું જોઈએ. થોડા પૈસા થાય અને જે લોકો કૂદકા મારવા લાગે છે તેમને ક્યારે ગોથું ખાઈ ગયા તેની ખબર રહેતી નથી.
એક રીતે જોઈએ તો આપણે જિંદગીમાં તોળવાનું અને માપવાનું કામ કરીએ છીએ. તોળવાનું એટલે બીજાની સાથે સરખામણી કરવાનું. મોટે ભાગે લોકો પોતાને જે કાંઈ મળ્યું છે તેમાં રાજી નથી. સૌની નજર બીજા તરફ છે. શ્રીમંત ગરીબની સરખામણીમાં અમીર છે પણ અતિ શ્રીમંત માણસોની સરખામણીમાં તે પણ ગરીબ જેવો જ છે. અહીં શેરના માટે સવાશેર પડેલા છે. કોની સાથે સરખામણી કરીશું ? આપણે દશની આગળ હોઈશું તો બીજા દશ આપણી આગળ હશે. ધન, પદ અને પ્રતિષ્ઠા મેળવી લેશો તો પણ બીજી હજારો ચીજો છે. કોઈને કોઈ બાબતમાં આપણે પાછળ રહેવાના જ છીએ.
એક ઝેન ફકીરને કોઈએ પૂછ્યું તમારા જીવનમાં આટલો આનંદ કેમ છે. તેણે કહ્યું હું જે કાંઈ છું તેમાં રાજી છું. તમે જે કાંઈ છો તેમાં રાજી નથી એટલે દુ:ખી છો. કુદરતનાં તમામ તત્ત્વો સૂર્ય, ચંદ્ર, તારા, પર્વતો, વૃક્ષો અને પશુ પંખીઓ એકબીજાની સાથે સરખામણી કરતા નથી. માણસ જ એક એવું પ્રાણી છે જે બીજાની સાથે પોતાને તોળીને, માપીને દુ:ખી થાય છે.
“સુરત કલારી ભઈ મતવારી મદવા પી ગઈ બિન તોલે જીવન આનંદ અને ઉત્સવ છે એમાં રસને જોખીજોખીને પીવાનો નથી. આ મધુશાલા છે. જેટલું પી શકાય તેટલો રસ માણી લેવાનો છે. ચિંતા અને દુ:ખના બોજા હેઠળ દબાઈને માણસ જીવનનો આનંદ માણી શકતો નથી. જાણીતા શાયર મરીઝના શબ્દોમાં કહીએ તો “જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ, એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે.
“હંસા પાયે માન સરોવર તાલ તલૈયા ક્યો ડોલે હંસને માન સરોવર મળી જાય પછી એ તુચ્છ વસ્તુ પાછળ શા માટે ભટકે ? માણસને એવી સંપદા મળી જાય પછી કોઈ વસ્તુ પાછળ ભટકવાનું રહે નહીં. કોઈ અપેક્ષા અને તૃષ્ણા રહે નહીં.અને કાંઈ છોડવાનું પણ રહે નહીં. આ સંપદા છે શ્રદ્ધા, વિશ્ર્વાસ અને પ્રભુનું સાનિધ્ય. માણસ જાગૃત બની જાય તો પરમાત્માનું દ્વાર નજીક જ છે.
“તેરા સાહબ હૈં ઘર માંહી બહાર નૈના ક્યો ખોલે જે સંપદા ભીતરમાં છે તેની આપણે બહાર શોધ ચલાવી રહ્યા છીએ. અંતરમાં ડોકિયું કરવાની કોઈને ફુરસદ નથી. માનવ જાતના ઇતિહાસમાં આધ્યાત્મિકતાના શિખર પર પહોંચેલી જે થોડી ઘણી સ્ત્રીઓ છે તેમાં રાબિયાનું નામ મશહૂર છે. એક દિવસ લોકોએ જોયું કે રાબિયા શેરીમાં કશુંક શોધી રહી છે. કોઈએ પૂછ્યું રાબિયા શું ખોવાઈ ગયું છે. તેણે કહ્યું સોય ખોવાઈ ગઈ છે. એકઠા થયેલા બધા લોકોએ સોય શોધી કાઢવામાં તેને સાથ આપ્યો. ખૂબ મથામણ કરી પણ સોય મળી નહીં. એટલે કોઈએ પૂછ્યું રાબિયા સોય ચોક્કસ કઈ જગ્યાએ ખોવાઈ ગઈ છે તે કહે તો તેને શોધી શકાય. રાબિયાએ કહ્યું સોય ઘરની અંદર ખોવાઈ ગઈ છે. બધા હસવા લાગ્યા. એક જણે કહ્યું રાબિયા તું પાગલ થઈ ગઈ છો. સોય ઘરની અંદર ખોવાઈ ગઈ છે અને તું બહાર શોધે છે. તેણે કહ્યું તમે જે પ્રમાણે કરી રહ્યા છો તે પ્રમાણે હું કરી રહી છું. તમે જે કંઈ શોધો છો તે અંદર છે. છતાં તમે બહાર શોધી રહ્યા છો. સુખ તો તમારી અંદર છે અને તમે તેને ધન, દોલત, સત્તા અને સંપત્તિમાં શોધી રહ્યા છો. આપણે આવ્યા ત્યારે આ બધું સાથે લઈને આવ્યા નહોતા અને જઈશું ત્યારે પણ આ બધું સાથે લઈ જવાના નથી. જે કંઈ પામીશું તે પ્રેમ અને આનંદ દ્વારા જ મેળવી શકીશું.
“કહે કબીર સુનો ભાઈ સાધો, સાહબ મિલ ગયે તિલ ઓલે નાની એવી આંખથી આપણે સૂર્ય, ચંદ્ર, તારા, પર્વતો બધું જોઈ શકીએ છીએ. નાનો એવો તલ એટલે કે આપણો અહંકાર આપણી આંખની આડસ બની ગયો છે. એટલે આપણને સાચું કશું દેખાતું નથી. કામ, ક્રોધ, માન, માયા અને લોભના તલો આપણી આંખની આડસ બનીને બેસી ગયા છે. એટલે માણસ માણસની આંખમાં સમાતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -