Homeદેશ વિદેશવિજ્ઞાનની મદદથી દેશને સ્વાવલંબી બનાવોે: મોદી

વિજ્ઞાનની મદદથી દેશને સ્વાવલંબી બનાવોે: મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦૮મી ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસને સંબોધતાં જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી મહિલાઓનું સશક્તીકરણ થવું જોઈએ. વિજ્ઞાન દેશની પ્રગતિમાં મોટું યોગદાન આપી શકે છે અને તેના દ્વારા ભારત વિશ્ર્વમાં અગ્રણી બનશે. વિજ્ઞાનની મદદથી દેશને સ્વાવલંબી બનાવવો જોઈએ.
ઈન્ડિયન સાયન્સ કૉંગ્રેસ (આઈએસસી-૨૦૨૩)ની થીમ ‘મહિલા સશક્તીકરણ સાથે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી’ રાખવામાં આવી છે.’
મોદીએ કહ્યું હતું કે આ વખતે ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસની થીમ પણ એક એવો વિષય છે, જેની દુનિયાભરમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ટકાઉ વિકાસ સાથે જ વિશ્ર્વનું ભવિષ્ય સુરક્ષિત હોવાને કારણે જ તેને મહિલા સશક્તીકરણ સાથે જોડવામાં આવી છે.
આ વાર્ષિક બેઠકમાં મહિલા સશક્તીકરણ, ટકાઉ વિકાસ અને તે મેળવવામાં વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભૂમિકાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
મોદીએ કહ્યું હતું કે આજે દેશની વિચારસરણી માત્ર એ જ નથી કે વિજ્ઞાન દ્વારા મહિલાઓનું સશક્તીકરણ થવું જોઈએ, પરંતુ વિજ્ઞાનને પણ મહિલાઓની ભાગીદારીથી સશક્ત બનાવવું જોઈએ.
વિજ્ઞાન અને સંશોધનને નવી ગતિ આપવી એ જ અમારો ઉદ્દેશ છે એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે આગામી પચીસ વર્ષમાં ભારત જે ઊંચાઈ સર કરશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હશે.
વિજ્ઞાનને જ્યારે જુસ્સાપૂર્વક દેશસેવાના સંકલ્પ સાથે જોડવામાં આવે છે ત્યારે અભૂતપૂર્વ પરિણામો મળે છે. આજનું ભારત આ અભિગમ સાથે જ આગળ વધી રહ્યું છે. આ જ કારણે ભારત વિજ્ઞાનના ક્ષેત્રમાં ઝડપથી વિશ્ર્વના અગ્રણી દેશોમાંનો એક બની રહ્યો છે.
ભારતને જી-૨૦ના અધ્યક્ષપદની જવાબદારી મળી છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જી-૨૦ના મુખ્ય વિષયોમાં પણ મહિલાઓની આગેવાનીમાં વિકાસનો મુદ્દો પણ પ્રાથમિકતા છે.
છેલ્લાં આઠ વર્ષ દરમિયાન ભારતે વહીવટથી લઈને સમાજ અને અર્થવ્યવસ્થા સહિતનાં ક્ષેત્રમાં અસાધારણ કામ કર્યું છે, જેની આજે ચર્ચા થઈ રહી છે.
છેલ્લાં આઠ વર્ષ દરમિયાન ઍક્સ્ટ્રા મોરલ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટમાં મહિલાઓની ભાગીદારી બમણી થઈ ગઈ છે. મહિલાઓની આ ભાગીદારી એ વાતનું પ્રમાણ છે કે સમાજ અને વિજ્ઞાન પણ આગળ વધી રહ્યા છે.
મોદીએ કહ્યું હતું કે વિજ્ઞાનના પ્રયાસ મોટી સફળતામાં ત્યારે જ પરિવર્તિત થઈ શકે છે, જ્યારે તે લૅબ (પ્રયોગશાળા)માંથી નીકળીને લૅન્ડ (જમીન) સુધી પહોંચે.
જ્યારે તેનો પ્રભાવ ગ્લોબલથી લઈને ગ્રાસરૂટ સુધી હોય ત્યારે તેનો વિસ્તાર જર્નલ્સથી લઈને જમીન સુધી થાય છે અને તેના કારણે થતું પરિવર્તન રિસર્ચ (સંશોધન) મારફતે રિયલ લાઈફ (વાસ્તવિક જીવન)માં જોવા મળે, એમ તેમણે કહ્યું હતું.
દેશની જરૂરિયાતોની પૂર્તિ માટે ભારતમાં વિજ્ઞાનનો વિકાસ દેશના વૈજ્ઞાનિક સમુદાયની મૂળ પ્રેરણા હોવી જોઈએ, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ભારતનું વિજ્ઞાન દેશને આત્મનિર્ભર બનાવનારું હોવું જોઈએ.
સંબોધન દરમિયાન મોદીએ ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ, મહિલાઓની ભાગીદારી, ભારતના સ્ટાર્ટ-અપ રૅન્કિંગ અને ટેક્નોલોજીના ફાયદા વિશે પણ વાત કરી હતી.
વડા પ્રધાનના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે એસટીઈએમ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મૅથ્સ)નું શિક્ષણ સંબંધિત ક્ષેત્રમાં તેમ જ આર્થિક ભાગીદારીમાં મહિલાઓને સમાન તક પૂરી પાડવાના વિકલ્પો શોધવાના પ્રયાસોની સાથે સાથે શિક્ષણ, ટેક્નોલોજી અને ઉદ્યોગ જેવા ટોચના ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા જેવી બાબતો પર ચર્ચાવિચારણા કરવામાં આવશે.
વિજ્ઞાન અને ટૅક્નોલોજી ક્ષેત્રમાં મહિલાઓનાં યોગદાનને પ્રદર્શિત કરવા એક વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં વિખ્યાત મહિલા વિજ્ઞાનીઓનું પ્રવચન પણ હશે.
બજેટમાં જે વચનો આપવામાં આવ્યાં હતાં તે પૂરાં કરવામાં આવ્યાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે દેશના નાગરિકોને એ અંગે જાણકારી આપવા નાણાં ખાતાએ ઝુંબેશ શરૂ કરી છે.
વિજ્ઞાન પરત્વે રુચિ ધરાવતાં બાળકોને પ્રોત્સાહિત કરવા આઈએસસીના ધોરણે બાળ વિજ્ઞાન કૉંગ્રેસનું પણ આયોજન કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular