મુંબઈ: કેન્દ્ર અને રાજ્ય સરકાર કો-ઓર્ડિનેશનથી કામ કરી રહી છે. રાજ્ય સરકાર ઉદ્યોગને વધારવા માટે યોગ્ય અને સકારાત્મક નિર્ણય લઇ રહી છે. ઉદ્યોગપતિઓને વિશ્વાસ બેસતાં મહારાષ્ટ્ર રાજ્યમાં રોકાણ વધવાની શરૂઆત થવા લાગી છે. વિદેશી રોકાણ લાવવા માટે મહારાષ્ટ્ર ‘ફેવરેટ ડેસ્ટિેનશન’ થઇ ગયુ છે, એવું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રી એન્ડ એગ્રિકલ્ચર (એમએસીસીઆઈએ) આયોજિત મહારાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય વેપાર ફેરના ઉદ્ઘાટન પ્રસંગે શિંદેએ જણાવ્યું હતું. આ સમયે ઉદ્યોગપ્રધાન ઉદય સામંત, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ રાઘવેન્દ્ર અને અન્ય મહાનુભવો હાજર હતા.
શિંદે જણાવ્યું હતું કે રાજ્યમાં ઉદ્યોગ એ રાજ્યની તાકાત છે. દાવોસ ખાતે થયેલી ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલમાં હાજર રહેલા વિશ્ર્વના અનેક ઉદ્યોગપતિઓએ મહારાષ્ટ્રની ચેમ્બરમાં મુલાકાત લીધી હતી. અનેક ઉદ્યોગપતિઓએ રાજ્યમાં રોકાણ કરવા માટે ઉત્સુકતા દાખવી હતી. આ પરિષદમાં અંદાજે રૂ. ૧.૩૭ લાખ કરોડના સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. આ કરાર માત્ર મુંબઈ, પુણે, નાશિકમાં નહીં પણ મરાઠવાડા, વિદર્ભની નિર્જન વિસ્તારને પ્રગતિ તરફ લઇ જશે. જમીનની વહેંચણી અને અન્ય સુવિધાની પરિપૂર્ણતા વિભાગ મારફત કરવામાં આવશે, એવું શિંદેએ જણાવ્યું હતું.
બોક્સ…
વિશ્વના સૌથી મોટા મેગ્નેટિક મહારાષ્ટ્ર કાઉન્સિલનું ઓક્ટોબરમાં આયોજન થશે: સામંત
રાજ્યમાં ઉદ્યોગપતિઓને સમય પર ઈન્સેન્ટિવ અને સબસિડી આપવામાં આવી રહી હોવાનું કહીને ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રૂ. ૨૩૦૦ કરોડનું ઈન્સેન્ટિવ આપવામાં આવ્યું છે. માત્ર ૩૦ જ દિવસમાં ઉદ્યોગોને લગતી તમામ પરવાનગી મળી ગઇ છે. આનો અધિકાર ઉદ્યોગ વિભાગના કમિશનરને આપવામાં આવ્યો હોવાથી પરવાનગી મેળવવામાં મુશ્કેલી પડતી નથી. ઉદ્યોગોને આગળ લાવવા માટે મહારાષ્ટ્ર રાજ્ય છે. આથી જ રાજ્ય સરકાર વિશ્ર્વની સૌથી મોટી મેગ્નેટિક મહારાષ્ટ્ર પરિષદનું ઓક્ટોબર મહિનામાં આયોજન કરશે, એવું પણ તેમણે જણાવ્યું હતું. આ ઉફરાંત મહારાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય વેપાર પ્રદર્શન ૧૭થી ૨૬મી ફેબ્રુઆરી દરમિયાન બીકેસી ખાતે આયોજિત કરવામાં આવ્યું હોવાની પણ તેમણે માહિતી આપી હતી