આ વિવાદ ઘણો જૂનો છે. 1960માં ભાષાઓના આધાર પર રાજ્યોનું પુનર્ગઠન પછી આ વિવાદ શરૂ થયો હતો. બેલગાંવને લઇને મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો સરહદ વિવાદ તાજેતરમાં બંને રાજ્યોના સત્તાધારી પક્ષોના નિવેદનોને કારણે ફરી એક વાર ચર્ચામાં છે અને છેલ્લા 6 દાયકાથી ચાલી રહેલ મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો સીમા વિવાદ ફરી એકવાર વધી રહ્યો છે.
કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ તાજેતરમાં એક નિવેદન કરીને મહારાષ્ટ્રના 40 ગામોનો દાવો કર્યો હતો, ત્યારથી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કર્ણાટકના મુખ્ય પ્રધાન બોમાઈ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઇ ગયું છે. ફડણવીસે એમ પણ કહ્યું છે કે મહારાષ્ટ્રનું કોઈ ગામ ક્યાંય નહીં જાય. જોકે, સરહદ વિવાદનો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. એમ માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ આ અંગે ટૂંક સમયમાં સુનાવણી કરી શકે છે. બોમાઈએ તાજેતરમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવવા માટે તેમણે વરિષ્ઠ વકીલોની મજબૂત કાનૂની ટીમ બનાવી છે. મહારાષ્ટ્ર સરકારે પેન્ડિંગ કોર્ટ કેસના સંબંધમાં રાજ્યની કાનૂની ટીમ સાથે સંકલન કરવા ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઈને નોડલ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.
1960ના દાયકામાં વિવાદ શરૂ થયો હતો જ્યારે ભાષાઓના આધારે રાજ્યોની પુનઃરચના કરવામાં આવી હતી. ભાષાના આધારે મહારાષ્ટ્ર બેલગાંવ પર દાવો કરે છે. બેલગાંવ સ્વતંત્રતા સમયે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. મહારાષ્ટ્ર પણ 80 મરાઠી-ભાષી ગામો પર દાવો કરે છે જે હાલમાં કર્ણાટકનો ભાગ છે. 1966માં કેન્દ્ર સરકારે બેલગાંવ વિવાદ અંગે મહાજન કમિશનની રચના કરી હતી. ત્યારે રાજ્ય સરકારે આ કમિશન સમક્ષ 865 ગામો પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. મહાજન કમિશને તેમના અહેવાલમાં સૂચવ્યું હતું કે 264 ગામો તથા બેલગાંવ મહારાષ્ટ્રમાં અને 247 ગામ કર્ણાટકમાં રહેવા જોઈએ.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ અઠવાડિયે 19 સભ્યોની સમિતિની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. આ બેઠકનો હેતુ સુપ્રીમ કોર્ટમાંથી કેસની વહેલી સુનાવણી માટેની અપીલ પર રણનીતિ નક્કી કરવાનો હતો. રાજ્ય સરકારે મહારાષ્ટ્ર અને કર્ણાટક સરહદ વિવાદ દરમિયાન હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મુખ્ય પ્રધાન રાહત ફંડ, પેન્શન, આરોગ્ય વીમો જેવી સુવિધાઓ આપવાની જાહેરાત કરી હતી.