મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે મુંબઈએ બીજી ક્વોલિફાયર મેચમાં સ્થાન મેળવ્યું છે. હવે શુક્રવારે મુંબઈનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે આઠ વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ 16.3 ઓવરમાં માત્ર 101 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ગ્રીને સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી નવીન ઉલ હકે ચાર અને યશ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપી હતી. લખનઉ તરફથી બીજી ઇનિંગમાં માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. મુંબઈના આકાશ મધવાલે પાંચ વિકેટ લીધી હતી.
આ મેચમાં હાર સાથે લખનઉનું પ્લેઓફમાં પ્રથમ જીત મેળવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આ ટીમ ગયા વર્ષે પણ એલિમિનેટર મેચ રમી હતી અને હારી ગઈ હતી. 183 રનના ટાર્ગેટનો પીછો કરતા લખનઉએ એક તબક્કે 2 વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા હતા. આ પછી ટીમ 101 રનમાં સમેટાઈ ગઈ હતી. 32 રનની અંદર ટીમે તેની 8 વિકેટ ગુમાવી દીધી હતી.
માર્કસ સ્ટોઇનિસે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા. ઓપનર કાયલ મેયર્સ 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. પ્રેરક માંકડ 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કૃણાલ પંડ્યા પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 8 રન બનાવીને આઉટ થયો હતો. આયુષ બદોની એક રન બનાવી આઉટ થયો હતો. નિકોલસ પૂરન ખાતું પણ ખોલી શક્યો ન હતો. દીપક હુડ્ડાએ 13 બોલમાં 15 રન બનાવ્યા હતા. કૃષ્ણપ્પા ગૌતમ 2 રન બનાવીને આઉટ થયો હતો.
એલિમિનેટર મેચમાં હાર બાદ લખનઉ ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો. તેણે મેચ બાદ કહ્યું કે આ મેચમાં એક સમયે અમે ઘણી સારી સ્થિતિમાં હતા. પરંતુ અચાનક અમારા માટે બધુ ઝડપથી બદલાઈ ગયું. અમારે વધુ સારી રમત બતાવવી જોઈતી હતી. હું આ હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું.