શા માટે તમારે સાચા પ્રેમની આશા ન છોડવી જોઈએ આપણા માટે પ્રેમ શા માટે મહત્ત્વપૂર્ણ છે તે જાણો
કવર સ્ટોરી -ગુરુ પંડ્યા
પ્રેમ એ એક અદ્ભુત લાગણી છે. જે બે અલગ-અલગ વ્યક્તિને એકબીજાથી નજીક લાવે છે, પરંતુ પ્રેમ દરેક માટે એકસમાન હોતો નથી. કેટલાક લોકો પ્રેમમાં સફળ થાય છે અને સુંદર યાદગાર ક્ષણો સાથે જીવન વિતાવે છે, જ્યારે કેટલાક લોકો પ્રેમની ખરાબ યાદોંને યાદ કરીને તેને છોડી દેવાનું નક્કી કરે છે. કોઈ વ્યક્તિને પ્રેમ કરવો સહેલો છે, પરંતુ તેની સાથેના સંબંધમાં ઉતાર-ચઢાવને ધીરજથી સંભાળવો અને જોડે રહેવું એ વધારે મુશ્કેલ છે. કેટલાક લોકોમાં ધીરજનો અભાવ હોય છે. જેના કારણે તેઓ સંબંધ પર પૂર્ણ વિરામ લગાવવાને વધુ સારું માને છે. દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા જ હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વર્ષો જૂના સંબંધોને ખતમ કરી દેવા જોઈએ. આશા ગુમાવવાને બદલે વ્યક્તિએ નવા જોશ સાથે આગળ વધવું જોઈએ અને સંબંધને સમાપ્ત કરતાં પહેલાં એક વાર વિચારવું જોઈએ.
પ્રેમ છોડી દેવાનો અર્થ શું?
જીવનમાં ઘણી વખત આવા ન ગમતા અનુભવોનો સામનો કરવો પડે છે, જેના પછી વ્યક્તિ નિરાશાવાદી અને એકલતા અનુભવવા લાગે છે. ભલે તમે સોશિયલ મીડિયા અને લોકોથી છુટકારો મેળવો, પરંતુ ક્યારેકને ક્યારેક તો તમારે સચ્ચાઇનો સામનો કરવો જ પડે છે. એ સાચું છે કે માત્ર પ્રેમ જ વ્યક્તિને દુ:ખ પહોંચાડે છે, પરંતુ એ પણ સાચું છે કે માત્ર પ્રેમ જ બધું ઠીક પણ કરી શકે છે. સંબંધ બચાવવા માટે, સત્યને સ્વીકારો અને આશા ગુમાવ્યા વિના આગળ વધો.
દરેક અનુભવ એક સરખા નથી હોતા
દરેક સંબંધ કે અનુભવ સરખા નથી હોતા. હાર્ટબ્રેક બાદ ઘણા લોકો સંબંધોમાંથી વિશ્ર્વાસ ગુમાવી દે છે, પરંતુ એનો અર્થ એ નથી કે દરેક સંબંધ અને અનુભવ એક સરખા હોય છે. તમારે ભવિષ્યમાં પણ આવી પીડા અનુભવવી પડી શકે છે, પરંતુ તે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ અનુભવો તમને વધારે મજબૂત બનાવશે અને તમને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે.
આ યોગ્ય સમય છે
શું તમે ક્યારેય તમારી જાતને પૂછ્યું છે કે શું તમે ખરેખર પ્રેમ માટે તૈયાર છો? કોઈપણ સંબંધમાં પ્રવેશતાં પહેલાં વિચાર કરો કે તમે તમારી આખી જિંદગી તેની સાથે રહી શકશો કે નહીં. પ્રેમ વ્યક્ત કરવા અને આગળ વધવા માટે યોગ્ય સમય જણાવવા માટે કોઈ ઘડિયાળ નથી. તેથી જ્યારે તમે આત્મવિશ્ર્વાસ અનુભવો છો, ત્યારે જ નવો સંબંધ બાંધવા માટે તૈયાર રહો. તમારે ફક્ત ધીરજ રાખવાની અને આતુરતાથી કોઈની રાહ જોવાની છે. જોકે સાથે-સાથે તમારે એ પણ યાદ રાખવાની જરૂર છે કે ફરીથી પ્રેમમાં વિશ્ર્વાસ કરવા માટે એક સાચો સંબંધ જરૂરી છે.
પ્રેમ તમને ખુશ રહેવાનું શીખવે છે
વ્યક્તિ અન્ય પાસેથી પ્રેમ મેળવીને અને અન્યને પ્રેમ આપીને ખુશ થાય છે. આનાથી વ્યક્તિને એકલતાનો અનુભવ થતો નથી અને વ્યક્તિ જીવન જીવવાનો આનંદ માણે છે. જ્યારે તમે પ્રેમને તરછોડી દો છો, ત્યારે આ બધી અદ્ભુત લાગણીઓ દૂર થઈ જાય છે. એટલા માટે પ્રેમ છોડતાં પહેલાં વિચારજો.
પ્રેમ કરવાની રીત અલગ હોઈ શકે છે
દરેકની પ્રેમ કરવાની રીત અલગ-અલગ હોય છે. કોઈને સ્પર્શ કરીને પ્રેમ દર્શાવવો ગમે છે, તો કોઈ મદદ કરીને પ્રેમ દર્શાવે છે. એ જરૂરી નથી કે સામેની વ્યક્તિ તમને જેવો પ્રેમ કરે તેવો જ પ્રેમ એ ચાહે છે. તેનો અર્થ એ નથી કે તે તમને પ્રેમ કરતો નથી. નિરાશ ન થાઓ, સામેની વ્યક્તિના પ્રેમને સમજો અને આગળ વધો.
કારણસર ભેગા થાઓ
દરેકની સાથે પ્રેમ થતો નથી. સાથે રહેવા અને મળવા પાછળ કોઇ ચોક્કસ ખાસ કારણ છે. સંબંધને અકબંધ રાખવા માટે એકબીજાના સકારાત્મક ગુણોને નિખારો અને નકારાત્મક પાસાઓ દૂર કરવા માટે પ્રયત્ન કરો. કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી, દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખામી કે ઊણપ હોય જ છે. પ્રેમનો ત્યાગ કરવાને બદલે, સંબંધમાં અધૂરી અપેક્ષાઓનો સામનો કેવી રીતે કરવો તે શોધો.
કોઈને પ્રેમ કરવો સહેલું છે પણ તેની સાથે એટલા જ ઊંડા સંબંધો જાળવી રાખવા અને તમારા સંબંધને વધારે મજબૂત બનાવવો થોડો અઘરો છે, પણ સંબંધ તોડવો સહેલો છે. જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલાં આ બધી બાબતોનો વિચાર કરવો પણ જરૂરી છે.