Ahmedabad: અષાઢી બીજાને આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે ભક્તો ભગવાન જગન્નાથની નગરયાત્રાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. કોરોનાને કારણે બે વર્ષ ભક્તો વગર નીકળેલી રથયાત્રા બાદ આ વર્ષે ભક્તો સાથે રથયાત્રા નીકળવા જઈ રહી છે, જેને લઈને ઉત્સાહનો માહોલ છે.
આ વર્ષે પરંપરાગત રૂટ પરથી જ રથયાત્રા નીકળશે તેવુ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે. ત્યારે કોરોના કેસમાં ઉછાળો આવતા દર્શન માટે પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. સાથે જ રથયાત્રાનો 1.5 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રથયાત્રામાં જોડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આજે રથયાત્રાના ત્રણ દિવસ યોજાતા ઉત્સવોમાં ભગવાનના વાઘા જમાલપુર જગન્નાથ મંદિર આવી પહોંચ્યા છે. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વાઘા મંદિરમાં લાવવામાં આવ્યા હતા.
જગન્નાથ મંદિર તરફથી મળતી માહિતી પ્રમાણે રથયાત્રામાં 18 શણગારેલા હાથીઓ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા 101 ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા રહેશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2000 જેટલા સાધુસંતો પણ રથયાત્રામાં ભાગ લેવા આવશે.પ્રસાદ તરીકે 3 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી, 2 લાખ ઉપર્ણ વહેંચવામાં આવશે. સાથે ભગવાન નગરચાર્ય નીકળે તે પહેલા ખીચડીનો પ્રસાદ પણ ધરવામાં આવશે.

જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી રથયાત્રાનું અને એ પહેલાના બે દિવસનું શિડ્યુલ પણ આપવામાં આવ્યું છે.
29 જૂનનું શિડ્યુલ:
સવારે 8.00 કલાકે ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બળદેવનો ગર્ભ ગૃહમાં પ્રવેશ તથા નેત્રોત્સવ પૂજા વિધિ થશે. વૈદિક મંત્રોચ્ચારથી ભગવાનના આંખે પાટા બાંધવામા આવશે.
સવારે 9.30 કલાકે ધ્વજારોહણ વિધિ, જેમાં સીઆર પાટીલની હાજરી રહેશે
સવારે 11.00 કલાકે સંતોનુ સન્માન થશે, જેમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહેશે.
30 જૂનનુ શિડ્યુલ
સવારે 10.30 કલાકે સોનાવેષના દર્શન અને ગજરાજ પૂજન
બપોરે 3.00 કલાકે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ
સાંજે 4.00 કલાકે શહેર શાંતિ સમિતિની મુલાકાત
સાંજે 6.00 કલાકે મુખ્યપ્રધાન દ્વારા પૂજા અને આરતી
1લી જુલાઈ રથયાત્રાનો રૂટ:
સવારે 4 કલાકે મંગળા આરતી થશે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૃહપ્રધાન અમિત શાહ ભાગ લેશે.
સવારે 4.30 કલાકે ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવાશે
સવારે 5.45 કલાકે ભગવાનને રથમાં પ્રસ્થાપિત કરાશે
સવારે 7.05 કલાકે મુખ્ય પ્રધાનના હસ્તે રથ ખેંચીને પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ થશે.
સવારે 9 કલાકે AMC
સવારે 9.45 કલાકે રાયપુર ચકલા
સવારે 10.30 કલાકે ખાડિયા
બપોરે 11.15 કલાકે કાલુપુર સર્કલ
બપોરે 12 કલાકે સરસપુર
બપોરે 1 કલાકે સરસપુરથી પરત
બપોરે 2 કલાકે કાલુપુર સર્કલ
બપોરે 2.30 કલાકે પ્રેમ દરવાજા
બપોરે 3.15 કલાકે દિલ્હી ચકલા
બપોરે 3.45 કલાકે શાહપુર દરવાજા
બપોરે 4.30 કલાકે આર.સી સ્કૂલ
સાંજે 5 કલાકે ઘી કાંટા
સાંજે 5.45 કલાકે પાનકોર નાકા
સાંજે 6.30 કલાકે માણેકચોક
રાત્રે 8.30 કલાકે નિજમદિર
એક અંદાજ મુજબ રથયાત્રામાં 10 લાખ લોકો ભાગ લેશે. સમગ્ર રથયાત્રામાં સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે. ત્રીનેત્ર કંટ્રોલ રૂમમાં સમગ્ર રાજ્યની રથયાત્રાના લાઈવ દ્રશ્યોનું નિરીક્ષણ કરવામાં આવશે.