અદાણી ગ્રૂપ વિશે ચાલી રહેલા સમાચારો વિદેશી-દેશી શેરબજારોથી લઈને સંસદ સુધી હલચલ મચાવી રહ્યા છે અને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અદાણી જૂથના સમર્થનમાં આવ્યું છે. સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરે અદાણી ગ્રુપ વિશે ડીકોડિંગ ધ હિટ જોબ બાય હિંડનબર્ગ નામનો લેખ પ્રકાશિત કર્યો છે અને તેમાં અદાણી ગ્રુપમાં ચાલી રહેલી હલચલ પાછળ કોનો હાથ છે તે વિશે જણાવ્યું છે. ઓર્ગેનાઈઝરમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપ પર હુમલો 25મી જાન્યુઆરી, 2023થી શરૂ થયો નથી. આ જૂથને લક્ષ્ય બનાવવાની સ્ક્રિપ્ટ ઓસ્ટ્રેલિયામાં 2016-17માં તૈયાર કરવામાં આવી હતી
ઓર્ગેનાઈઝરે એમ પણ લખ્યું છે કે અદાણી ગ્રુપ પરનો આ હુમલો ઓસ્ટ્રેલિયાથી વર્ષ 2016-17માં શરૂ થયો છે અને ઓસ્ટ્રેલિયન NGOએ ગૌતમ અદાણીની ઈમેજને બદનામ કરવા માટે એક વેબસાઈટ ચલાવી છે. અદાણી ગ્રુપ અંગે હિંડનબર્ગનો રિપોર્ટ સંપૂર્ણ આયોજન હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં બનાવવામાં આવેલી વેબસાઈટનો હેતુ આ જૂથને બદનામ કરવાનો અને ગૌતમ અદાણીને નિશાન બનાવવાનો છે. Adaniwatch.org નામની આ વેબસાઈટના માધ્યમથી તેનો હેતુ પૂરો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી વિશેના અહેવાલને કારણે તેઓ વૈશ્વિક અમીરોની યાદીમાં નીચે ઉતરી ગયા છે. તેમની નેટવર્થમાં ભયંકર ધોવાણ થઇ ગયું છે. જોકે, અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે, પરંતુ આ પછી પણ અદાણી ગ્રુપના શેર અને ગૌતમ અદાણીની નેટવર્થ બંનેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તે જ સમયે, વિશ્વની સૌથી મોટી રેટિંગ એજન્સી S&P એટલે કે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે અદાણી જૂથની બે કંપનીઓ અદાણી પોર્ટ્સ અને અદાણી ઈલેક્ટ્રીસિટીનું આઉટલૂક સ્થિરથી ઘટાડીને નેગેટિવ કરી દીધું છે. આ સમાચારની અસર સોમવારે અદાણી ગ્રુપના શેરના ભાવ પર પડી શકે છે.
અદાણી જૂથની કંપનીઓમાં હિન્ડેનબર્ગ રિપોર્ટ પાછળના કથિત ગુનાહિત કાવતરાની તપાસ કરવા કેન્દ્ર અને સેબીને નિર્દેશ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રિપોર્ટના કારણે અદાણી જૂથની કંપનીઓના શેર ક્રેશ થયા અને રોકાણકારોને મોટું નુકસાન થયું. એડવોકેટ મનોહરલાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે હિંડનબર્ગ રિસર્ચના યુએસ નિવાસી નેટ એન્ડરસન અને તેની ભારતીય સંસ્થાઓએ ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને ત્યારબાદ 25 જાન્યુઆરી, 2023ના રોજ સંશોધન અહેવાલના રૂપમાં બનાવટી સમાચાર બહાર પાડ્યા હતા, જે અદાણી જૂથની કંપનીઓ માટે હાનિકારક હતા. પિટિશનમાં એવી દલીલ કરવામાં આવી છે કે આ રિપોર્ટ આવ્યા બાદ જ્યારે શેરબજારમાં ઘટાડો થયો ત્યારે હિન્ડેનબર્ગે સૌથી નીચા દરે પોતાની શોર્ટ સેલ પોઝિશન સુધારી હતી.