જજોની નિમણૂકના મુદ્દે કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે સતત ખેંચતાણ ચાલી રહી છે. એક તરફ સરકાર કોલેજિયમની મોટાભાગની ભલામણોને ફગાવી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે તેના પર ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન હવે કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કોલેજિયમ સિસ્ટમને લઈને મોટું નિવેદન આપ્યું છે. કિરેન રિજિજુએ રાજ્યસભામાં કહ્યું કે જ્યાં સુધી ન્યાયાધીશોની નિમણૂક માટે નવી સિસ્ટમ બનાવવામાં ન આવે ત્યાં સુધી આ મુદ્દાનો ઉકેલ નહિ આવે. તેમણે ન્યાયાધીશોના ખાલી પદો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લા દ્વારા સરકારને પૂછવામાં આવ્યું કે કોલેજિયમ સિસ્ટમને લઈને કેમ લડાઈ ચાલી રહી છે? શુક્લાએ કહ્યું કે, હાલમાં લગભગ 5 કરોડ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, તેના માટે જવાબદાર કોણ? કોર્ટનું કહેવું છે કે સરકાર નિમણૂંકો નથી કરી રહી, તમામ જગ્યાઓ ખાલી પડી છે. સરકારનું કહેવું છે કે કોલેજિયમ સિસ્ટમ NJACની જૂની દરખાસ્ત જેવી હોવી જોઈએ. જેમાં તમામ લોકો સાથે પરામર્શ કરીને જજની નિમણૂક કરવામાં આવે છે. પેન્ડિંગ કેસો ક્લિયર કરવા સરકાર શું કરવા માંગે છે?
આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા પ્રધાને કહ્યું કે, ગૃહ અને સમગ્ર દેશે આ અંગે ચિંતા કરવાની જરૂર છે. મને ચિંતા થાય છે કે આપણા દેશમાં પેન્ડિંગ કેસની સંખ્યા 5 કરોડના આંકડાને સ્પર્શી જવાની છે. સામાન્ય લોકો પર આની કેટલી અસર થશે તે તમે સમજી શકો છો. તેનું મુખ્ય કારણ જજોની નિમણૂંક અને ખાલી પડેલી જગ્યા છે.
કોલેજિયમ સિસ્ટમમાં ફેરફાર અંગે કાયદા પ્રધાને કહ્યું કે, વર્ષ 2015માં લોકસભા અને રાજ્યસભાએ સર્વસંમતિથી નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન પસાર કર્યું હતું. આ સાથે બહુમતી રાજ્યો પણ એના પર સહમત થયા હતા. આ સમયે સરકાર પાસે સીમિત સત્તા છે, કોલેજિયમના નક્કી કર્યા પછી નામ મોકલે છે, તેના પર જ સરકારે નિર્ણય લેવાનો હોય છે. અમને ન્યાયાધીશોની નિમણૂક માટે નવા નામ આપવાનો અધિકાર નથી. ક્યાંક મને લાગે છે કે આપણા ગૃહ અને દેશની જનતાની ભાવના પ્રમાણે કામ નથી થઈ રહ્યું.
ન્યાયાધીશોની નિમણૂક અંગે સંસદમાં કિરેન રિજિજુનો જવાબ, કહ્યું- ‘દેશની ભાવના વિરુદ્ધ કામ થઈ રહ્યું છે’
RELATED ARTICLES