ગદ્દાર, ખોખા સિવાય તમારી પાસે બોલવા માટે કશું નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોંકણના ખેડમાં રવિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સભા થઈ હતી. આ સભામાં તેઓ ઉદ્ધવ ઠાકરેની પાંચમી તારીખે થયેલી સભાના જવાબો આપશે એવું વાતાવરણ તૈયાર થયું હતું તેને કારણે એકનાથ શિંદેએ કહ્યું હતું કે હું અહીં તેમને જવાબ આપવા માટે આવ્યો નથી. જવાબ આરોપ અને ટીકાને આપવાનો હોય, પરંતુ અહીં તો સતત એ જ ટોણા, રડવાની વાતો અને ગાળાગાળી કરવામાં આવતી હોય તેનો શું જવાબ આપવાનો? ફક્ત જગ્યા બદલાઈ રહી છે. કેટલાક દિવસો પહેલાં આ મેદાનમાં આપટીબાર આવીને ગયો એવા શબ્દોમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની હાંસી કરી હતી.
હિંદુત્વનો વિચાર છોડીને કૉંગ્રેસ-એનસીપીને શિવસેના પક્ષ સોંપી દીધો. પોતાના જ નેતાઓની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો પ્રયાસ તેમણે કયોર્ર્. કોરોનાકાળમાં તમે (ઉદ્ધવ ઠાકરે) ઘરમાં ભરાઈને બેઠા હતા ત્યારે અમે (શિંદે જૂથના નેતા) પીપીઈ કિટ પહેરીને જનતાની સેવા કરી રહ્યા હતા. તમારે માટે આટલું કામ કરનારા લોકોની તમને કોઈ કદર નથી, એમ પણ તેમણે કહ્યું હતું.
સત્તા માટે હિંદુત્વ છોડે તેને માટે કશું જ બોલવાની આવશ્યકતા નથી. ગદ્દાર-ખોખા સિવાય તમારી પાસે બોલવા માટે શબ્દો નથી. વાસ્તવમાં ખરી ગદ્દારી તો ૨૦૧૯માં થઈ હતી. ભાજપની સાથે લડીને તમે મહાવિકાસ આઘાડી બનાવી. કૉંગ્રેસ-એનસીપીના સકંજામાંથી અમે ધનુષ્ય-બાણ મુક્ત કરાવ્યું. હું મુખ્ય પ્રધાન બનીશ એવી મને કલ્પના પણ નહોતી. બાળાસાહેબના વિચારો માટે મોદી-શાહે મને મુખ્ય પ્રધાન બનાવ્યો. હું ફરનારો મુખ્ય પ્રધાન છું, ઘરમાં બેસી રહેનારો નથી, એમ પણ તેમણે કહ્યું હતું.
મારા સંઘર્ષ વખતે ૫૦ વિધાનસભ્ય અને ૧૩ સંસદસભ્યે મને સાથ આપ્યો. તમારું વલણ ખોટું છે એવું કહેવા માટે પણ કેટલાક વિધાનસભ્યો તેમની પાસે સમજાવવા ગયા હતા ત્યારે તેમને એવો જવાબ આપવામાં આવ્યો હતો કે તમે પણ જતા રહો. આવી રીતે સંગઠન કેવી રીતે મોટું થશે? મારું તેમને કહેવું છે કે દરવાજા ખુલ્લા જ રાખો. બધા જ જતા રહેશે પછી તમે હમ દો, હમારે દો રહી જશો. ત્યારે તમારું કુટુંબ અને તમારી જવાબદારી એટલું જ કામ રહેશે, એવા ટોણા પણ એકનાથ શિંદેએ લગાવ્યા હતા.