દેશમા અને વિશ્વમાં હજારો બાળકોનો રોજ જન્મ થાય છે, પણ સ્વાભાવિક છે કે બધાના જન્મના વધામણાં કઈ આપણે દેવાના હોતા નથી, પરંતુ જૂનાગઢમાં જે સાત સગર્ભા છે તેમના નવજાતના જન્મનો આનંદ તમને ચોક્કસ થશે. વાત છે સાત સિંહણની. જુનાગઢના સક્કરબાગ ઝૂમાં સાત સિંહણ સગર્ભા છે અને આવનારા 15 દિવસમાં અનેક સિંહબાળની કીકીયારીઓ અહીં ગૂંજવાની છે.
જૂનાગઢનું નવાબીકાળનું સક્કરબાગ ઝૂ એકમાત્ર એશિયાટીક બ્રિડિંગ સેન્ટર છે. અહીં હાલમા સાત સિંહ-સિંહણની જોડી છે અને સિંહણોને સારા દિવસો ચાલી રહ્યા છે. આવનારા 15 દિવસમાં તેઓ સિંહબાળને જન્મ આપે તેવી સંભાવના અહીંના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
વર્ષ 2023માં હજુ એક પણ સિંહબાળનો જન્મ થયો નથી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં અહીં 81 સિંહબાળ જન્મ્યા છે. 2020માં 26, 2021માં 37 અને 2022માં 18 સિંહબાળ અહીં જન્મ્યા છે.
આ માટે અહીં જીનપુલ કાર્યરત છે, જે સમગ્ર ગીર વિસ્તારના સિંહોના જીન કલેક્શન કરે છે.
હાલમાં ઝૂમાં સો જેટલા સિંહ છે. ખૂબ જ જૂનું સક્કરબાગ ઝૂ જુનાગઢની મુલાકાત લેતા લોકો માટે આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં સફારી પણ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં સિંહ ઉપરાંત ઘણા પ્રાણીઓ લોકો જોઈ શકે છે.
પણ હાલમાં તો અહીં સિંહબાળના જન્મની રાહ જોવાઈ રહી છે. એશિયાટીક સિંહો ભારતનું ગૌરવ છે અને ગુજરાતી અસ્મિતાનું અભિન્ન અંગ છે. ત્યારે આપણને ગૌરવ અપાવનારા આ સિંહ-સિંહણના ઘરે બાળક અવતરે તો મોઢું તો મીઠુ કરવું પડે ને? તો પછી પેંડા રાખો તૈયાર…
પેંડા તૈયાર રાખોઃ સાત સર્ગભા પંદર દિવસમાં આપશે સારા સમાચાર
RELATED ARTICLES