દેવભૂમિ ઉત્તરાખંડના જોશીમઠમાં ઠેરઠેર જમીનોમાં તિરાડો પડવાની સાથે ભૂસ્ખલનને કારણે અનેક ઘરોનું સ્થળાંતરણ કરવામાં આવ્યા પછી પણ અહીંનું સંકટ હજુ સુધી ટળ્યું નથી. તાજેતરમાં જમીનોમાં ઊંડા ખાડા પડવા લાગ્યા છે. અગાઉ ભૂસ્ખલનને કારણે મારવાડી પુલ નજીક રસ્તો ધસી પડવાની સાથે અલકનંદા નદી નજીક ભૂસ્ખલનને કારણે લોકોની ઊંધ હરામ થઈ ગઈ છે. તેની સાથે હવે રવિગ્રામ વોર્ડમાં ઉંડા ખાડા પડવાને કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
રવિગ્રામમાં એક જગ્યાએ એટલો મોટો ખાડો પડ્યો છે, તેની ઊંડાઈનું અનુમાન લગાવવાનું મુશ્કેલ છે. કહેવાય છે કે અત્યાર સુધીમાં જોશીમઠમાં તિરાડ પડનારા મકાનોની સંખ્યા 863 છે, જેમાં 181 બિલ્ડિંગ સંવેદનશીલ વિસ્તારોમાં આવેલી છે. જેપી પરિસર જોશીમઠમાં પાણીનું લીકેજ અત્યારે 540 એલએમપીથી ઘટીને 170 એલએમપી થઈ ગયું છે. જોશીમઠમાં પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટનું ઈન્સ્પેક્શન ભવન તોડી નાખવામાં આવ્યું છે, જ્યારે મલારી ઈન એન્ડ માઉન્ટ વ્યૂનું ડિમોલિશનનું કામકાજ પણ અંતિમ તબક્કામાં છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યં હતું કે અત્યાર સુધીમાં 248 પરિવારના 900 સભ્યને સુરક્ષિત જગ્યાએ હંગામી ધોરણે વિસ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે 41 પરિવારના 71 સભ્યને પોતાના સંબંધીને અથવા ભાડાના ઘરમાં રહેવા જતા રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે જોશીમઠ વિસ્તાર હેઠળ 91 સ્થળે 661 રુમને રહેવા યોગ્ય હંગામી રાહત શિબિરો તરીકે ઓળખી કાઢ્યા છે.