તાજેતરમાં જ સુરત એરપોર્ટ ખાતે બર્ડની હીટ ઘટના ઘટી હતી અને જેને લઈને ફ્લાઈટ ડાયવર્ટ કરવાની ફરજ પાયલટને પડી હતી. અહીં એરપોર્ટ વિસ્તારમાં પક્ષીઓ આવવાનું એક કારણ આસપાસના વિસ્તારોમાં બનતા જીંગા તળાવ છે, તેમ સુરત એક્શન કમિટીનું માનવાનું છે અને તેમણે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત સંબંધિત અધિકારીઓને ધ્યાન આપવા આવેદન પત્ર આપ્યું છે.
તેમના પત્રમાં જણાવ્યા અનુસાર સુરત એરપોર્ટને અડીને સરકારી અને ખાનગી જમીનમાં ગેર કાયદેસર રીતે બનાવવામાં આવેલ જીંગા તળાવના કારણે પક્ષીઓની અવર જવર વધી ગઈ છે, જે સુરત એરપોર્ટપરથી ટેક ઓફ અને લેન્ડીંગ કરી રહેલ વિમાનો સાથે અથડાઈ છે. આખા દેશમાં સૌથી વધારે બર્ડ હીટ થતા એરપોર્ટસમાં સુરતનું ઍરપોર્ટ પાંચમા ક્રમે છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત મળેલ એક માહિતી મુજબ સુરત એરપોર્ટ પર વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૪ વાર ,વર્ષ ૨૦૨૦-૨૧ માં ૮ વાર અને વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૦ વાર ,વર્ષ ૨૦૨૨-૨૩ માં બે વાર બર્ડ હીટ થયા છે.
સુરત શહેરમાં એર કનેક્ટિવિટી વધારવામાટે ભૂતકાળમાં શહેરના રહીશીઓ દ્વારા કરવામાં આવેલ વારંવાર રજુઆતો પછી આંદોલનના માર્ગે માંગણીઓ કરી અને ગુજરાત ઉચ્ચ ન્યાયાલય સુધી જાહેર હિતની યાચિકા દાખલ કરવામાં આવી ત્યારે સુરત એરપોર્ટપર જરૂરી સુવિધાઓ અને એરલાઇન્સ વધવાની શરૂવાત થયેલ હતી . ગત વર્ષોમાં દિવસ દરમિયાન ૫૪ જેટલી ઉડાનો અને ૪૫૦૦ જેટલા યાત્રીઓ સુરત એરપોર્ટનો લાભ લઇ રહ્યા છે. હાલ માં ચાલી રહેલ ટર્મીનલ કોમ્પલેક્સના કામો અને અન્ય સુવિધાઓના અભાવે પ્રતિ દિન ઉડાન અને યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયેલ છે.
એક્શન કમિટીના અધ્યક્ષ સંજય ઈઝાવાએ જણાવ્યું હતું કે તેમણે આ અંગ અગાઉ પણ ઓથોરિટીનું ધ્યાન દોર્યું છે ત્યારે સવાલ એ છે કે આવડા મોટા તળાવો ગેરકાયદેસર ઊભા થતા હોય ત્યારે ઓથોરિટીને ધ્યાનમાં આવતા નહીં હોય.