Homeધર્મતેજઅંધકારને દૂર કરવાને બદલે બહેતર છે કે એક દીપ પ્રગટાવીએ

અંધકારને દૂર કરવાને બદલે બહેતર છે કે એક દીપ પ્રગટાવીએ

માનસ મંથન -મોરારિબાપુ

सखा समुझि अस परिहरि मोहू ।
सिय रघुबीर चरन रत होहु ॥
कहत राम गुन भा भिनुसारा ।
जागे जग मंगल सुखदारा ॥
શ્રી ગંગાજીના તટ પર શૃંગવેરપુરની બહાર એક ઝાડ નીચે જ્યાં વનવાસ દરમ્યાન પ્રભુ શ્રી રામ રાત્રિ વિતાવતા હતા, એ એક ભક્ત દ્વારા કહેવાયેલી પાંચ અધ્યાયની આ ગીતા કહી શકાય. લક્ષ્મણજી ભગવાનના ચરણ દબાવતાં હતા અને તેમણે જોયું કે ભગવાન સુઈ ગયા છે. ત્યાંથી ઉઠી લક્ષ્મણજી થોડે દૂર ગયા છે. ગુહ, નિષાદરાજણે થાય છે કે હવે અહીં કંઇક સત્સંગ થશે, મહાપુરુષ પાસે બેસવાથી કંઇક તો મળશે. અહીંથી નિષાદના વિષાદયોગનો પ્રારંભ થાય છે. ભગવાનને ઘાંસની પથારી પર સુતેલા જોઈ તેને દુ:ખ થાય છે. ગુહની મમતા હરિમાં છે. અતિ પ્રેમને કારણે તેને વિષાદ થાય છે જે આપણા જીવનનો પ્રસાદ બની ગયો છે.
બાપ! આપણા વિષાદ અને દુ:ખનું કારણ મમતા છે. જ્યાં મમતા નથી હોતી ત્યાં માણસને જરા ચોટ લાગે છે, પણ હૃદયમાં વિષાદ નથી થતો. દુ:ખનું કારણ જીવની મમતા છે, મોહ છે. ગુહની મમતા સ્વજનોમાં નથી, પ્રભુમાં છે. પ્રભુની શૈયા જોઈ તેનું મન વિષાદથી ભરાઈ જાય છે. મોહ હૃદયની દુર્બળતા છે અને પ્રેમ હૃદયની પ્રબળતા છે. આ સૂત્રથી આજે આ પ્રસંગમાં પ્રવેશ કરીએ. મોહ હૃદયને સદૈવ દુર્બળ બનાવે છે, પ્રેમ હૃદયને સબળ, મજબૂત બનાવે છે. મોહ ભીરુ છે, પ્રેમ શૂરવીર છે. મોહ કાયર છે, પ્રેમ વીર છે. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં અર્જુનને જે પ્રારંભમાં કહે છે એ લક્ષ્મણજી, ગુહરાજને અંતમાં કહે છે. આ તારા ક્ષુદ્ર હૃદયની જે દુર્બળતા છે એને છોડ. લખનજી અંતમાં કહે છે, सखा समुझि अस परिहरि मोहू । सिय रघुबीर चरन रत होहु હૃદયની દુર્બળતા છોડ, સીતારામના ચરણમાં પ્રીતિ જોડ. મોહ વ્યાધિનું મૂળ છે, પ્રેમ સમાધિનું મૂળ છે. ફર્ક ધીમે ધીમે સમજજો. ગોસ્વામીજીએ મોહને વ્યાધિનું મૂળ બતાવ્યું છે.
પ્રેમ સમાધિનું મૂળ છે. પ્રેમમાં જે ડૂબ્યો છે એને સહજ સમાધિ મળી છે, એનું પ્રસિદ્ધ ઉદાહરણ વ્રજાંગનાઓ છે. કાયરતા છોડવી જોઈએ, શૌર્યને ધારણ કરવું જોઈએ. ગંદકી છોડવી જોઈએ, સારી વસ્તુ લેવી જોઈએ. મોહ છોડવો જોઈએ એમ અંતમાં કહે છે. શું આપણો મોહ નથી છૂટતો? બધાનો અનુભવ શું છે? વસ્તુનો ભોગ કર્યા પછી એ જ ઉપકરણથી મોહ છૂટી જાય છે. જે થાળીમાં મિષ્ટ ભોજન આવ્યું એ ભોજનને ભોગવ્યા પછી એ જ થાળી જૂઠી લાગે છે, રસોઈઘરમાં લઈ જવા જેવી નથી લાગતી. ચોકડીમાં લઈ જાવા જેવી લાગે છે. જૂઠી થઇ ગઈ, વિરક્તભાવ પેદા થઈ ગયો. દિવસમાં કેટલીય વાર માણસનો મોહ હટે છે, તોય આપણે વારેવારે મોહમાં ફસાઈએ છીએ. અધ્યાત્મ જગત તમારો મોહ મટાડશે એવી વાત નથી. તમારું ભૌતિક જગત પણ વારેવારે મોહ મીટાવે છે, છતાં આપણે મોહથી મુક્ત કેમ નથી થતા ? મોહ મટી જાય એકવાર તો કાયમ માટે એ મટી જતો નથી, પણ રામ ચરણમાં પ્રીતિ ઊપજવાથી મોહ મટે છે. જ્યારે મોહ મટ્યો એથી કામ પૂરું નથી થઇ જતું, જ્યાં સુધી રામચરણમાં પ્રીત નથી થતી તો મોહ વારેવારે ફસાવે છે. તેથી આ અર્ધી ચોપાઈ બહુજ સૂત્રાત્મક છે.
મોહ છોડ એ પહેલાં નથી કહેતાં લખનજી, કારણ મોહ આખરે નાશવંત છે, મટે છે-બને છે. તમે દૂધપાક પી લીધો, એના તરફનો મોહ કેટલાક વખત માટે ગયો, પણ તે કાયમ નથી હટતો. ફરી પાછો મોહ થાય છે, મોહ હટે છે ભગવદ્ ચરણમાં પ્રીતિ પેદા થાય તો, ભગવદ્ ચરણમાં દૃઢ અનુરાગ. લખનજીને શંકા છે કે મોટા મોટાનો મોહ પણ વારેવારે આવે છે ને જાય છે. નિષાદના વિષાદનું શું ઠેકાણું? એ પણ એને વારેવારે પકડશે, તેથી બહુ મોટો મંત્ર આપે છે કે सिय रघुबीर चरन रत होहु તેથી કહે છે, ‘ઉઠી જા ચીપકી જા’. રામચરણોમાં લાગી જા. એ જ તારો મોહ મટાડશે. કૃષ્ણ શું અહંકારી ઘોષણા કરે છે! मामेकं शरणं व्रज ।
કૃષ્ણ આ અહંકારી ઘોષણા કરે છે કે सर्व धर्मान परित्यज्य, मामेक, शरणं व्रज । અહંકાર બે રીતે મટે, એક તો તમારી જાતને તમે શૂન્ય બનાવી દો, અથવા તો તમારી જાતને એટલી મોટી બનાવી દો કે તમારી બહાર કોઈ ન રહે. બધું તમારી અંદર આવી જાય તો અહંકાર જાય. મેરા મુજમેં કુછ નહીં, પોતાની જાતને સમેટવાની છે. કાચબાના અંગોની માફક પોતાની જાતને શૂન્ય બનવવાની છે. અથવા તો તમે શૂન્યને જ એટલું મોટું બનાવી દો કે એ શૂન્યમાં આખો સંસાર સમાઈ જાય, એનાથી બહાર કંઈ ન બચે.
મારા કહેવાનું તાત્પર્ય એ છે કે શરણ, ચરણરત થયા વિના મોહ નષ્ટ ઠીક રીતે નથી થઈ શકતો. આપણો મોહ વારંવાર મટે છે, બને છે. સંસારના ભોગ ભોગવો, પછી નીરસતા નથી આવતી? એ જ ઉપકરણ ફિક્કું નથી લાગતું! એ જ સાધનમાં બદબૂ નથી આવતી? પણ પાછો મોહ એનો કબજો કરી લે છે- તો આ સૂત્ર યાદ રાખો કે, ભગવદ્ ચરણમાં રત થયા વગર મોહનું સોએ સો ટકા મટવું અસંભવ છે.
જીવનમાં બેઠેલા રામ સૂઈ ગયા છે, એ રામને જગાડવા માટે એના ગુણોથી, એની કથાથી, ચરિત્રોથી, એના ચરણોમાં રત થઈ જવાથી જીવનો મોહ મટી શકે છે. જીવ મોહથી મુક્ત થઈ શકે છે. ગુહના જીવનમાં કેટલા રૂપથી વિષાદ આવ્યો અને એને નિર્મૂલન કરવા લક્ષ્મણજી વિચારે છે. અને આ પૂરો પ્રસંગ આપણા જીવનનું સત્ય છે. મેં બહુવાર કહ્યું છે કે ‘રામચરિતમાનસ’ની કથા પ્રાચીન છે. પણ અર્વાચીન સમસ્યાનો જવાબ છે અને ભવિષ્યના વિશ્ર્વદર્શનનું માર્ગદર્શન છે. સાર્વભોમ શાસ્ત્ર છે, રામાયણને ધાર્મિક ગ્રંથ કહેવાનું બંધ કરો. એને સદગ્રંથ કહો. ધાર્મિક ગ્રંથ કહેવાથી સંકુચિતતા આવી જાય કે કોઈ એક ધર્મનું શાસ્ત્ર છે. રામચરિતમાનસ એ ધર્મગ્રંથ નથી, ‘માનસ’એ વિશ્ર્વનું સંવિધાન છે. જીવનના સત્યને ખોલે છે. તેથી પ્રસંગ ઘૂંટી ઘૂંટીને પીવો.
બે સિદ્ધાંતનો ફર્ક છે. કૃષ્ણ કહે છે મોહ જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી તમારું અખંડ સ્મરણ નહિ થાય. મોહ બાધા નાખશે, વચ્ચે વચ્ચે તમને રોકશે. તૈલવત તમારી સ્થિતિ નહિ રહે. મોહ પહેલાં જવો જોઈએ. રામાનુજ કહે છે કે અંધારું પૂરેપૂરું હટાવવાની ચેષ્ટા ન કરો, એનાથી સારું છે કે દીવો પ્રગટાવો. સ્મૃતિ બની જાય પછી મોહ જાય. તમારું સુમિરન ઠીક બને. ગીતામાં અને માનસમાં અંતર છે. નિર્મમ કેવી રીતે થવાય? જયારે આપણી મમતા હરિમાં લાગી જાય.
(સંકલન : જયદેવ માંકડ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -