ગુવાહાટીઃ અહીંના બરસાપારાસ્થિત સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ 373 રન કર્યા હતા, પરંતુ પડકારજનક સ્કોરને પહોંચી નહીં વળતા શ્રીલંકાનો ભારત સામે 67 રનથી પરાજય થયો હતો. ત્રણ વનડેની સિરીઝમાં ભારતનો શ્રીલંકા સામે વિજય થવાથી એક ઝીરોની સિરીઝથી આગળ રહ્યું હતું. આઠ વિકેટે શ્રીલંકા ફક્ત 306 રન બનાવી શકયું હતું, જેમાં કેપ્ટને નોંધપાત્ર રન કર્યાં હતા.
મંગળવારની મેચમાં વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો,જ્યારે ભારતવતીથી સૌથી વિકેટ ઉમરાન મલિકે ત્રણ વિકેટ ઝડપી હતી.મલિક પછી મહોમ્મદ સીરાઝે બે વિકેટ લીધી હતી, જ્યારે હાર્દિક પંડ્યા, મહોમ્મદ સામી અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી હતી. શ્રીલંકા વતીથી બેટિંગમાં છેલ્લે સુધી ક્રીઝ પર રહીને કેપ્ટન દાસુન શનાકા નોટ આઉટ રહીને 108 રન કર્યા હતા, જ્યારે પથુન નિશંકાએ 72 રન કર્યા હતા. જોકે, ભારત સામે શ્રીલંકાના બેટસમેને શરુઆતમાં પ્રભુત્વ ગુમાવ્યું હતું, જેમાં 19 રનના સ્કોરે શ્રીલંકાની પહેલી વિકેટ પડી હતી, ત્યાર બાદ તબક્કાવાર વિકેટ પડી હતી. 23 રને કુશલ મેંડિસની વિકેટ પડી હતી. જોકે, મહોમ્મદ શામીએ ધનંજય ડિસિલ્વા (ચોથી વિકેટ)ને આઉટ કર્યો હતો, જ્યારે 64 રને ચરિથ અસાલંકાની વિકેટ પડી હતી. યુઝવેન્દ્ર ચહલે શ્રીલંકાની છઠ્ઠી વિકેટ ઝડપી હતી, જેમાં વાનિંદુ હસરંગાએ શ્રેયસ અય્યરના હાથે આઉટ કરાવ્યો હતો, જ્યારે સાતમી વિકેટ ઉમરાન મલિકે દુનિથ વેલાલ્ગેને આઉટ કર્યો હતો. 206 રનના સ્કોરે શ્રીલંકાની આઠમી વિકેટ ચમિકા કરુણારત્નેની પડી હતી, જેમાં હાર્દિક પંડ્યાએ રોહિતના હાથે કેચ કરાવ્યો હતો. કરુણારત્નેએ 21 બોલમાં 14 રન બનાવ્યા હતા.અહીંની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી, જેમાં સાત વિકેટે ભારતે 373 રન કર્યા હતા. ભારતવતીથી સૌથી વધારે રન વિરાટ કોહલી, રોહિત શર્માએ કર્યા હતા.