વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે પાકિસ્તાનના વિદેશ પ્રધાનની વિવાદાસ્પદ ટિપ્પણીને ભારત સરકારે વખોડી નાખી હતી. પાકિસ્તાનના વિદેશ પ્રધાનના નિવેદનને ભારતે ‘અસભ્ય’ ગણાવીને ટીકા કરી હતી. યુએનએસસીમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનની ઝાટકણી કાઢ્યા પછી ગુસ્સે થયેલા પાક.ના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો જરદારીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ઝેર ઓક્યું હતું અને મોદીને ગુજરાતના કસાઈ ગણાવ્યા હતા અને આ મુદ્દે શુક્રવારે બપોરના ભારત સરકારવતીથી સત્તાવાર નિવેદનમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મીડિયાને આપેલા જવાબમાં કહ્યું હતું કે આ ટિપ્પણી પાકિસ્તાનના લેવલને જાહેર કરે છે કે તે ભારતની વિરુદ્ધ કેટલી હદે જઈને ઝેર ઓકી શકે છે. અલબત્ત, પાકિસ્તાન માટે આ પણ હલકી કક્ષાનું નિવેદન છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન 1971ને ભૂલી ગયા છે કે જ્યારે પાકિસ્તાન સરકારે બંગાળીઓ અને હિંદુઓનો નરસંહાર કર્યો હતો. કમનસીબની બાબત એ છે કે આજે પણ પાકિસ્તાન લઘુમતીઓની સાથેના વલણને બદલ્યું નથી અને આજે એ ભારત પર આરોપ કરી રહ્યું છે.
ભુટ્ટોનું નિવેદન શરમજનકઃ અનુરાગ ઠાકુર
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે પાકિસ્તાનના વિદેશ પ્રધાનના નિવેદનને શરમજનક ગણાવ્યું હતું. ઠાકુરે કહ્યું હતું કે 1971માં આજના દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડી હતી અને એના દુઃખની પીડા આજ સુધી રહી છે ત્યાર બાદ પાકિસ્તાન ફક્ત આતંકવાદીઓને પેદા કરવાની સાથે આતંકવાદીઓને પ્રોત્સાહન આપતું રહ્યું છે. પાકિસ્તાનની હરકતો અને તેમના મનસુબા દુનિયાથી છુપા રહ્યા નથી. આતંકવાદ વિરુદ્ધ સખત કડક કાર્યવાહી કરી હોય તો મોદી સરકારે જ કરી છે. આવું નિવેદન કોઈ વિદેશ પ્રધાનને શોભા આપતું નથી. આવું પહેલી વખત થયું નથી. અગાઉ પણ પાકિસ્તાને પીઠમાં ખંજર મારવાની હરકત કરી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકાએ ઓસામા બિન લાદેનને ઘરમાં ઘૂસીને માર્યો હતો.