જૈનોનો વિરોધ: પાલિતાણા, સંમેત શિખરનાં જૈન મંદિરોની સુરક્ષાની માગણીને લઈને સુરતમાં મંગળવારે જૈનોની નીકળેલી રેલીને ફ્લાયઑવર પરથી નિહાળતા જૈન મુનિઓ. (પીટીઆઈ)
—
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: પાલીતાણા ખાતે આવેલા જૈન મંદિર હુમલાની ઘટના સામે જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનોને પગલે રાજ્ય સરકારે આખરે પાલિતાણાની આ ઘટના માટે ટાસ્ક ફોર્સ રચવાનું નક્કી કર્યું છે. તેમજ પાલિતાણા ડુંગર પર પોલીસ ચોકી ઊભી કરીને અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવાની તૈયારી પણ કરી છે.
જૈન મહાતીર્થ શેત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળા ગામમાં જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાંને મલિન તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવ્યા હતા. અને સાથે સાથે મંદિર પર લગાવેલા સીસીટીવી કેમેરા તથા થાંભલાઓ તોડી પાડવામાં આવ્યા હતા. મંગળવારે સુરતમાં પણ સમાજની રેલી યોજાઇ હતી. જૈન સમાજના રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન બાદ મંગળવારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શત્રુંજય ગિરિરાજની તળેટીમાં નીચે એક પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પોલીસ ચોકી માટે પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓનો સ્ટાફ પણ મૂકવામાં આવ્યો છે. જે મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં કોઇ પણ કાયદાકીય પ્રવૃત્તિ અને ગુનાઓને ડામવા માટે તૈયાર રહેશે.
ગૃહ રાજ્ય પ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, શેત્રુંજય પર્વતની આસ્થા ક્યારેય ઓછી ન થાય અને હંમેશાં તે આસ્થા બની રહે તે માટે ગુજરાત સરકાર વર્ષોથી કામ કરી રહી છે અને આ સાથે જ ત્યાં સરકાર દ્વારા કડકમાં કડક વ્યવસ્થાઓ ગોઠવી આપવામાં આવશે. સાથે જ ત્યાં એક ટાસ્ક ફોર્સ ચિંતન કરીને ઝડપી પગલાઓ ભરશે.