તસવીરની આરપાર-ભાટી એન.
શિયાળો એટલે શરીર સૌષ્ઠવતા બનાવાની ઋતુ. એવું ઘણાના મુખેથી સાંભળ્યું હશે…! એટલે જ શિયાળાની ઋતુ દરમ્યાન પૌષ્ટિક આહાર તરફ લોકો વધુ લક્ષ આપતા હોય છે. હાલની સીઝનમાં બજારમાં ખજૂરનું ધૂમ વેચાણ થાય છે. ખજૂર પૌષ્ટિક ખાધ સામગ્રી છે જે આરોગ્યપ્રદ તો હોય છે જ સાથે ફળફળાદિ-શાકભાજીના ભાવની સાથે તુલના કરવામાં આવે તો અતૂલ્ય શક્તિપ્રદ તાત્કાલિક એનર્જી આપતી શક્તિ ભરપૂર છે. જે ‘મીડલ ક્લાસ’ના પણ બજેટને અનુરૂપ દામને કારણે ‘ખજૂર’નો મીઠો-મધૂરો સ્વાદ હાલ માણી શકે છે. હજુ હોળીના પર્વ સુધી ‘ખજૂર’ મળતો રહે છે. હોળી-ધુળેટીના પ્રસંગે તેનું ધાર્મિક મૂલ્ય છે. હોળીના પર્વે હિન્દુ લોકો ખજૂર, ધાણી, દાળીયાની ખરીદી કરે છે. સંધ્યાકાળે હોળી પ્રગટે તે વેળા આ ત્રણે ખજૂર, ધાણી, દાળીયાને હોળીમાં હવનરૂપી નાખે છે અને ધુળેટીના દિવસે પ્રહ્લાદનો વિજય થયો અને હોલીકાનું દહન થતા દિગ્વિજય ખુશીના માનમાં ‘ખજૂર’ મીઠાસભર હોવાથી મોં મીઠા કરાવે છે અને રંગ ગુલાલથી મનભરીને આનંદોલ્લાસ અને હર્ષોલ્લાસ સમષ્ટિગત મનાવે છે. વસંતઋતુના વધામણામાં પ્રેમસભર મીઠાસ ‘ખજૂર’ લાગણીથી ખવડાવે છે. ઠંડીના સમયમાં એકસ્ટ્રા ઓર્ડિનરી એનર્જી ખજૂર આપે છે.
ગળપણયુક્ત ખજૂર હોળી-ધુળેટીએ ધાણી, દાળીયા, સૂકુ નાળીયર સંગાથે ખાવાની મજા અપરંપાર છે એટલે આ તહેવારમાં વિપુલ પ્રમાણમાં રસમધુરી પોંચી… પોંચી… ચોકલેટી ખજૂરીયો ખાવાની મજા તન-મનને પ્રફુલ્લિત કરે છે. અંગ્રેજીમાં ખજૂરને ‘ડેટ’ કહે છે. તેનો બીજો અર્થ દિવસ પણ થાય છે….!
ખજૂરની તાસીર: પ્રકૃતિએ ખજૂર ઠંડી રસમાં તથા પાકમાં મધુર, સ્નિગ્ધ, રુચિ ઉત્પન્ન કરનાર હૃદયને હિતકારી પાચનમાં થોડી ભારે પુષ્ટિ કરનાર, ઝાડાને રોકનાર, વિર્યને વધારનાર અને બળ આપનાર છે. વળી તે ક્ષય, રક્તપિત, કોઠાનો વાયુ, ઊલટી, કફ, તાવ, અતિસાર, ભૂખ, તરસ, ઉધરસ, શ્ર્વાસ, દમ, મૂર્ચ્છા, વાત-પિત્ત અને દારૂથી થયેલો રોગોને મટાડનાર છે. ખજૂરના ઔષધિય ગુણો: ખજૂર રેચક પણ છે. રાત્રે પલાળી રાખીને સવારે બરાબર ચોળી-મસળીને તેને પીવાથી ઝાડો-દસ્ત સાફ આવે છે. ખજૂર ખાવાથી કફવાળી શરદી, કેડનો દુ:ખાવો અને સંધિવામાં ફાયદો થાય છે. દરરોજ થોડી ખજૂર ખાધા બાદ ઉપર ચાર પાંચ ઘૂંટડા નવસેકા ગરમ પાણી પીવાથી કફ પાતળો બની નીકળી જાય છે. ફેફસા સાફ બની જાય છે. સળેખમ, શરદી, ખાંસી અને દમ માટે સારો પુરવાર સાબિત થાય છે. તેમજ લોહીની શુદ્ધિ થાય છે. નિયમિત ‘ખજૂર’ ખાવાથી દાહ, મૂર્ચ્છા, રક્તપિત અને થાકની ફરિયાદ દૂર થાય છે. હૃદયરોગીઓ માટે ‘ખજૂર’ હિતકારી છે એમ આરોગ્ય નિષ્ણાતનુંં કહેવું છે.