Homeદેશ વિદેશલાલુ પરિવારની જંગી બિનહિસાબી સંપત્તિ પકડાઇ

લાલુ પરિવારની જંગી બિનહિસાબી સંપત્તિ પકડાઇ

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે શનિવારે જણાવ્યું હતું કે આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવના પરિવાર પર નોકરીને બદલે જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં દરોડા પાડ્યા પછી તેમણે એક કરોડની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી છે અને ₹.૬૦૦ કરોડના ગુનાની માહિતી શોધી કાઢી છે.
લાલુ પ્રસાદના પરિવાર અને તેમના સહયોગીઓ દ્વારા રિયલ એસ્ટેટ સહિત વિવિધ ક્ષેત્રોમાં વિવિધ સ્થળોએ કરવામાં આવેલા વધુ રોકાણો શોધવા માટે પણ તપાસ ચાલી રહી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ શુક્રવારે નોકરી માટે જમીન કૌભાંડના કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવની ત્રણ પુત્રીઓ અને આરજેડીના નેતાઓના પરિસર સહિત બિહારના અનેક શહેરો અને અન્ય સ્થળોએ દરોડા પાડયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે લાલુ પ્રસાદની પુત્રીઓ રાગિણી યાદવ, ચંદા યાદવ અને હેમા યાદવ અને પટના, ફુલવારી શરીફ, દિલ્હી-એનસીઆર, રાંચી અને મુંબઈમાં આરજેડીના ભૂતપૂર્વ ધારાસભ્ય અબુ દોજાના સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
કેન્દ્રીય સુરક્ષા દળોના એસ્કોર્ટ સાથે લગભગ બે ડઝન સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
દક્ષિણ દિલ્હીમાં લાલુનાં પુત્ર અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવના ઘરને પણ દરોડામાં આવરી લેવામાં આવ્યું હતું.
જો કે તેજસ્વી યાદવ ત્યાં હાજર હતા કે કેમ તે સ્પષ્ટ થયું નહોતું.
દરમિયાન, સીબીઆઈએ બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવને શનિવારે કથિત નોકરી માટે જમીન કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું.
યાદવને અગાઉ ૪ માર્ચે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો પરંતુ તે સીબીઆઈના અધિકારીઓ સમક્ષ હાજર થયો ન હતો, જેના પગલે શનિવારે નવી તારીખ આપવામાં આવી હતી.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ તાજેતરમાં દિલ્હી અને પટનામાં લાલુ પ્રસાદ અને તેમની પત્ની રાબડી દેવીની પૂછપરછ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મામલો યાદવ પરિવાર અને તેના સહયોગીઓને સસ્તા દરે ગિફ્ટ અથવા વેચવામાં આવેલી જમીનના બદલામાં રેલવેમાં કથિત રીતે નોકરી અપાવવાના કૌભાંડનો છે.
સીબીઆઈએ આ કેસમાં લાલુ, તેની પત્ની રાબડી દેવી અને અન્ય ૧૪ જણ સામે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ચાર્જશિટ દાખલ કરી છે અને તમામ આરોપીઓને ૧૫ માર્ચે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે.
સીબીઆઇની ચાર્જશિટમાં એવો આરોપ કરાયો છે કે લાલુનાં ૨૦૦૪થી ૨૦૦૯ સુધીના રેલવે પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન, ભારતીય રેલવેના નિયમો અને ભરતી માટેની પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને મધ્ય રેલવેમાં બાર ઉમેદવારોની નિમણૂંકો કરવામાં આવી હતી.
નિમણૂક માટે કોઈ જાહેરાત અથવા જાહેર સૂચના જારી કરવામાં આવી ન હતી, પરંતુ પટનાના કેટલાક રહેવાસીઓને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાઝીપુર ખાતે વિવિધ ઝોનલ રેલવેમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ ઉમેદવારોએ, સીધા અથવા તેમના નજીકના પરિવારના સભ્યો દ્વારા, કથિત રીતે લાલુનાં પરિવારના સભ્યોને નોકરીના બદલામાં પ્રવર્તમાન બજાર ભાવના એક ચતુર્થાંશથી એક પંચમાશ કે સાવ નજીવા ભાવે પોતાની જમીન વેચી હતી.
એકંદરે, લાલુ યાદવ અને તેમના પરિવારના સભ્યોએ પટનામાં આવેલી ૧,૦૫,૨૯૨ ચોરસ ફૂટ જમીન સાત ડીડ (પાંચ વેચાણ ડીડ અને બે ગિફ્ટ ડીડ) દ્વારા બાર ખાનગી વ્યક્તિ પાસેથી મામૂલી કિંમતે હસ્તગત કરી હતી અને એમને રેલવેમાં ગ્રૂપ ડીની નોકરીઓ આપવામા આવી હતી.
લાલુએ કથિત રીતે તેમને લાંચ તરીકે મેળવેલ જમીનના સાત ટૂકડા માટે ₹. ૩ લાખથી ₹.૧૩ લાખ સુધીની રકમ ચૂકવી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ સમગ્ર જમીનની વર્તમાન કિંમત ₹.૪.૩૯ કરોડ જેટલી છે.
એજન્સીએ ઑક્ટોબર ૨૦૨૨માં લાલુ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતી સહિત ૧૬ જણ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.
તાજેતરમાં આ કેસમાં લાલુ પ્રસાદ અને રાબડી દેવી બંનેની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
તેજસ્વી યાદવે તાજેતરમાં સીબીઆઈ દ્વારા તેના માતા-પિતાની પૂછપરછ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તત્કાલીન રેલવે પ્રધાન લાલુ પાસે તરફેણના બદલામાં નોકરી આપવાની કોઈ સત્તા નહોતી.
સીબીઆઈની ફરિયાદ પરથી ઇડીએ પણ પીએમએલ એક્ટની ફોજદારી કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
આરજેડીના નેતા મનોજ ઝાએ એવો આક્ષેપ કર્યો હતો કે સીબીઆઈ અને ઈડી વિપક્ષી નેતાઓને કોઇના ઇશારે હેરાન કરી રહ્યા છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular