શપથ ગ્રહણ કાર્યના થોડા દિવસો બાદ જ હિમાચલ પ્રદેશના નવા મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુ કોરોનાગ્રસ્ત થયા છે. રવિવારે સાંજે આવેલા રીપોર્ટમાં સીએમ સુખુ કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. સીએમ સુખુ દિલ્હીમાં છે અને આજે તેઓ શિમલા પાછા ફરવાના છે પરંતુ તેમને ત્રણ દિવસ હિમાચલ સદનમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. જેના પગલે હિમાચલ પ્રદેશના કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થઈ શકે છે.
સુખવિંદર સિંહ સુખુ આજે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મિટિંગ કરવાના હતા. ગઈકાલે 18 ડિસેમ્બરે કોવીડ ટેસ્ટ માટે તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોડી સાંજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે તેઓ પીએમ મોદીને મળી શકશે નહીં. ચિંતાજનક વાત એ છે કે આ પહેલા 16 ડિસેમ્બરે સુખવિંદર સિંહ સુખુ કોંગ્રેસના 40 ધારાસભ્યો સાથે ભારત જોડો યાત્રામાં પણ સામેલ થયા હતા.
બીજી તરફ સીએમ સુખુના કોરોના પોઝિટિવ થવાને લઈને હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે સોમવારે દિલ્હીમાં મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ થયા છે. સીએમ સુખુનો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો કાર્યક્રમ હતો, જે મોકૂફ રાખવામાં આવ્યો છે. સીએમમાં કોવીડના લક્ષણો દેખાતા નથી. સાવચેતીના ભાગરૂપે તેમણે પોતાને ક્વોરેન્ટાઈન કરાયા છે અને તેમના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવે છે.