હરિયાણાના ભિવાની જિલ્લાના લોહારુમાં ગુરુવારે બોલેરોમાં બે માનવ હાડપિંજર મળી આવતા હોબાળો મચી ગયો હતો. લોકોએ આ અંગે પોલીસને જાણ કરી, પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસમાં શરુ કરી હતી. શરૂઆતમાં પોલીસને આશંકા હતી કે બોલેરોમાં આગ લાગવાથી બંને વ્યક્તિઓના મોત થયા છે. મૃતકના સંબંધીઓએ બજરંગ દળના લોકોએ હત્યા કરી હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા.
ભિવાની જિલ્લાના લોહારુના જંગલમાંથી બે વ્યક્તિના મૃતદેહ મળ્યા બાદ પોલીસે વાહનના નંબરના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આ બોલેરો કાર ફિરોઝપુર ઝિરકાના મહુ ગામના હસીનના નામે રજીસ્ટર્ડ છે. બોલેરોમાં જે બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમાંથી એક નાસીર હસીન પાસેથી કાર લઇ ગયો હતો. મૃતક જુનૈદ અને નાસીર રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઘાટમીકાના ગામના રહેવાસી છે.
પોલીસે પરિવારને આ અંગે જાણ કરી હતી. આ મામલાની માહિતી મળતાં જ મૃતકના પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે જુનૈદ અને નાસિરને બજરંગ દળ અને ગૌરક્ષક દળ દ્વારા અપહરણ કરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
મૃતક જુનેદના ભાઈ જાફરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે જુનૈદ નાસીર સાથે બોલરોમાં ભરતપુર ગામમાં પીરુકા જોથરી ગયો હતો. જ્યાં રસ્તામાં બજરંગ દળ અને ગોરક્ષક દળ તેનું અપહરણ કરી જંગલમાં લઈ ગયા હતા. ત્યાં બંનેને ખૂબ માર મારવામાં આવ્યો, ત્યારબાદ તેઓ બંનેને બેભાન અવસ્થામાં હરિયાણાના લોહારુ લઈ ગયા અને બોલરોની અંદર જીવતા સળગાવી દીધા.
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.