જગજીત સિંહ… બોલીવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક કોઈ વધારાના પરિચયના મોહતાજ નથી. 8મી ફેબ્રુઆરી, 1941ના રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં જન્મેલા જગજીતજી અવાજના જાદુગર હતા. આજે ભલે તેમના નામનો ડંકો વાગે છે પણ એક સમય એવો પણ હતો કે તેમને બી ગ્રેડ ગાયકનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં જ્યારે તેઓ પ્રથમ વખત પરફોર્મ કરવા જઈ રહ્યા હતા ત્યારે લોકો તેમના પર હસ્યા હતા. તેમ છતાં તેમણે હિંમત હાર્યા વગર પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા અને સફળતા મેળવી જ… બાળપણથી જ તેમને સંગીત તરફ વિશેષ લગાવ હતો. તેમણે ઉસ્તાદ જમાલ ખાન અને પંડિત ચગનલાલ શર્મા પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. પ્રારંભિક શિક્ષણ પછી, જગજીત ભણવા માટે જલંધર ગયા. અહીં તેમણે ડીએવી કોલેજમાંથી સ્નાતક થયા અને પછી કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.
જગજીતજી ગાયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે 1965માં મુંબઇ આવ્યા હતા. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે પ્રખ્યાત દિગ્દર્શક સુભાષ ઘાઈ અને જગજીત કોલેજના સમયથી સારા મિત્રો હતા. એક વખત તેઓ તેમની યુનિવર્સિટીવતી યુવા મહોત્સવમાં ભાગ લેવા બેંગ્લોર ગયા હતા. રાત્રે 11 વાગ્યે જગજીત સિંહનો નંબર આવ્યો. જ્યારે માઈક પર જાહેરાત કરવામાં આવી હતી કે પંજાબ યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી શાસ્ત્રીય સંગીત ગાશે, ત્યારે ત્યાં હાજર છોકરાઓ જોરથી હસી પડ્યા હતા. તેમની નજરમાં પંજાબ ભાંગડા માટે જાણીતું હતું. સુભાષે વિચાર્યું કે જગજીત ખરાબ રીતે ફ્લોપ થઈ જશે. પરંતુ જગજીતજી સ્ટેજ પર આવ્યા અને લોકોના હૂરિયા સામે આંખ આડા કાન કરીને ગાવાનું શરું કર્યું. ત્યાં પ્રેક્ષકો શાસ્ત્રીય સંગીતને સમજતા હતા. ટૂંક સમયમાં તેઓ વખાણ કરવાનું શરૂ કર્યું. જ્યારે તેમણે પોતાનું ગીત પૂરું કર્યું, ત્યારે એટલી જોરદાર તાળીઓ પડી કે સુભાષ ઘાઈની આંખોમાં આંસુ આવી ગયા. જગજીતને ત્યાં પ્રથમ ઇનામ મળ્યું હતું.
જ્યારે જગજીત સિંહ 1965 માં બોમ્બે આવ્યા, ત્યારે તેમણે રેસ્ટોરન્ટમાં ગાવાનું શરૂ કર્યું. પછી તેઓ લોકોના ખાનગી મહેફિલોમાં ગાવાનું શરૂ કર્યું. આ રીતે તેમને ક્યાંકથી પૈસા મળતા, ક્યાંકથી ફ્રીમાં ખાવાનું તો ક્યાંકથી ફ્રીમા દારૂ મળી જતી હતી.
જ્યારે જગજીત પોતાની કારકિર્દી બનાવી રહ્યા હતા, ત્યારે મહેંદી હસન અને બેગમ અખ્તર ગઝલ ગાયન ક્ષેત્રે સારું નામ કમાવી ચૂક્યા હતા. પરંતુ તેમના ગાયને એવી છાપ ઉભી કરી હતી કે ગઝલ કદાચ સામાન્ય માણસ માટે નથી. તેઓ મહાન કવિઓના કલામ ગાતા હતા જે ઘણીવાર સામાન્ય માણસને સમજાતા નહીં. આ પ્રથાને બદલીને જગજીતજીએ સરળ ભાષાના કલામ ગાવાનું શરૂ કર્યું. તેમણે એ વાતની ચોકસાઈ રાખી કે તેમના ગીત ગઝલનો એક શબ્દ પ્રેક્ષકો સમજી શકે.
આ વિશે એક ઇન્ટરવ્યૂમાં જગજીત સિંહે કહ્યું હતું કે, મેં ક્યારેય કોઈ કવિ કે ગીતકારનું નામ જોયું નથી, મેં તેમનું કામ જોયું છે. મેં ક્યારેય એ પણ નથી જોયું કે તેઓ કેટલા મોટા કે પ્રખ્યાત છે. હું હમેશાં એક જ વાત સમજતો હતો કે શું આ રચનાએ મારા દિલના તાર ઝણઝણાવ્યા છે? જો જવાબ હામાં હોય એ જ મારા પ્રેક્ષકો સામે રજૂ કરતો. આ સિવાય મેં એક બીજો પ્રયોગ પણ કર્યો. મેં દરેક ઓડિયો કેસેટ સાથે બધી ગઝલો હિન્દીમાં છાપવાનું શરૂ કર્યું અને તેને કવરની અંદર મૂક્યું. પરિણામે, લોકો લેખિત ગઝલો વાંચવાનું શરૂ કર્યું અને તેમને યાદ કરવા લાગ્યા…
ગુલઝારે જગજીત સિંહ પર એક કવિતા લખી હતી. આવો એમના જન્મદિવસે જોઇએ એ કવિતા-
एक बौछार सा था
वो शख़्स
बिना बरसे किसी अब्र की
सहमी सी नमी से जो भिगो देता था
एक बौछार ही था, जो किसी धूप की अफ़शाँ भर के
दूर तक सुनते हुए चेहरों पर छिड़क देता था
सिर हिलाता था कभी घूम के टहनी की तरह
लगता था झोंका हवा का कोई छेड़ गया
गुनगुनाता था खुले हुए बादल की तरह
मुस्कराहट में कई तरबों की झंकार छिपी थी
गली क़ासिम की तरह चली ग़ज़ल की एक झंकार था वो
एक आवाज़ की बौछार था वो..
Happy birthday જગજીત સિંહ:ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કૌનસે દેસ તુમ ચલે ગયે હો…
RELATED ARTICLES