ગુજરાતમાં જોવાલાયક અને પ્રવાસન માટેનાં અનેક સ્થળો છે. જોકે, ભાવનગરમાં ઘોઘા પાસે આવેલા પીરમ બેટની ચર્ચા ઘણી ઓછી થાય છે. દરિયાથી ઘેરાયેલી આ સુંદર જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માંગ જોર પકડી રહી છે. ગુજરાતનાં દરિયાકાંઠે આવેલા વ્યુહાત્મક રીતે અગત્યનાં ટાપુઓમાંથી એક છે ભાવનગરનાં ઘોઘાથી 14 કિલોમીટર દૂર દરિયામાં આવલો પીરમ બેટ. જ્યાં કુદરતે મન મૂકીને સુંદરતા વરસાવી છે. આ જ કારણ છે કે આ ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માગ થઈ રહી છે. અંગ્રેજોના સમયમાં આ ટાપુને પીરમબેટ નામ આપવામાં આવ્યું હતું. જે બદલીને તત્કાલિન શાસક વીર મોખડાજીનું નામ આપવાની રજૂઆત કરવામાં આવી છે. પીરમબેટમાંથી અનેક પુરાતન અવશેષો મળ્યા છે. અહીં દીવાદાંડી જેવા આકર્ષણો પર આવેલા છે. ટાપુની આજુબાજુમાં અનેક વિશિષ્ટ પ્રકારના જળચર જીવો અને પક્ષીઓ પણ જોવા મળે છે. તેથી આ ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માંગ છે.
આ ટાપુ સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર હોવાથી ટાપુ સુધી આવવા માટે પણ મંજૂરી લેવી પડે છે. અહીં પહોંચવા માટે દરિયામાં ભરતી-ઓટના ચોક્કસ સમયનું ધ્યાન રાખવું જરૂરી છે. મોટર બોટની એકાદ કલાકની રોમાંચક મુસાફરી કરીને ટાપુ પર પહોંચી શકાય છે. ટાપુની આસપાસ 50થી વધુ પ્રકારના જળચર જીવો અને વિવિધ જાતિના પક્ષીઓ જોવા મળે છે. ટાપુ પર જૂની મૂર્તિઓ અને નાશ પામેલી પ્રજાતિના અવશેષો પણ મળેલા છે. મૂર્તિઓ સાથેની દેરીઓ, દરગાહ અને તોપ પુરાતત્વીય વૈભવની સાક્ષી પૂરે છે. નાના કદનાં અને ચોક્કસ આકારનાં પથ્થર ટાપુનાં કાંઠાની સુંદરતા વધારે છે. ટાપુ પરની ભેખડો જોતાં જણાય છે કે એક સમયે અહીં દરિયા કે આંતરિક જળ વહેતા હશે..પક્ષી પ્રેમીઓ અહીં કેમ્પ પણ કરતાં હોય છે. ટાપુ પર લાઈટ હાઉસના સ્ટાફ પૂરતું જ બાંધકામ છે.
અંગ્રેજોએ આ ટાપુ પર 24 મીટર ઊંચી દીવાદાંડી બનાવી હતી, જે આજે પણ જોઈ શકાય છે. એક સમયે આ ટાપુ પર મીઠા પાણીનું તળાવ અને કૂવા હતા. લોકો અહીં વસવાટ કરતા હતા. ખેતી પણ થતી હતી. જોકે, કાળક્રમે તળાવ સૂકાઇ જતા અહીંથી માનવ વસવાટ પણ ગાયબ થઈ ગયો. અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન આ ટાપુને પીરમબેટ ટાપુ નામ આપવામાં આવ્યું હતું.
ખંભાતના અખાતમાં આવેલો પીરમ બેટ પ્રવાસીઓને આકર્ષે છે. જોકે, અહીં આવવા માટે મંજૂરી લેવી પડે છે. પીરમબેટ પર પ્રાથમિક સવલતો ઉભી કરી તેને હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાની માગ થઈ રહી છે. આ અંગે સરકારના સર્વે ચાલુ છે. જો પીરમ બેટને પ્રવાસન સ્થળ તરીકે મંજૂરી મળી જશે તો ગુજરાતીઓને ફરવા માટે વધુ એક જગ્યા ચોક્કસ મળી જશે.
તો… ગુજરાતીઓને ફરવા માટે વધુ એક જગ્યા મળી જશે…
RELATED ARTICLES