બુલેટ ટ્રેન હવે અમદાવાદથી પુણે ત્રણ કલાકમાં અને હૈદરાબાદ છ કલાકમાં પહોંચાડશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ બજેટમાં કરાયેલી હાઈ સ્પીડ રેલ કોરિડોર અંગેની જાહેરાતથી અમદાવાદ અને પુણે અને હૈદરાબાદ વચ્ચેની કનેક્ટિવિટી વધશે અને સાથે થકવી નાખતી કલાકોની મુસાફરીને બદલે ગણતરીની કલાકોમાં પ્રવાસીઓ આ બે શહેરો સાથે જોડાશે.
સરકારે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ફેસ-વનના એક્સટેન્શનનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે અનુસાર અમદાવાદથી પુણે ત્રણ કલાકમાં અને અમદાવાદથી હૈદરાબાદ છ કલાકમાં પહોંચી શકાશે.
કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મુંબઈ અને પુણે વચ્ચેની મુસાફરી ઘટીને માત્ર 48 મિનિટ થશે, જ્યારે પુણે-હૈદરાબાદ લગભગ 1 કલાક અને 55 મિનિટનો સમય લાગશે, જેનાથી એક જ દિવસે ઇન્ટરસિટી મુસાફરી બિઝનેસ ટ્રાવેલર્સ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને વિકલ્પ મળશે.
આ પણ વાચો : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 4 વર્ષના વિલંબ, ખર્ચમાં 83 ટકાનો વધારો
વીડિયો કોન્ફરન્સ દ્વારા મીડિયાને સંબોધતા, વૈષ્ણવે જણાવ્યું હતું કે નિર્માણાધીન અમદાવાદ-મુંબઈ હાઇ-સ્પીડ રેલ કોરિડોરને પુણે અને હૈદરાબાદ સુધી લંબાવવામાં આવશે, જેમાં બેંગલુરુ અને ચેન્નાઈ સાથેની કનેક્ટિવિટીની પણ યોજના છે.
આ અનુસાર અમદાવાદના મુસાફરો અન્ય ચાર શહેર સાથે સીધી રીતે જોડાઈ જશે.
કેન્દ્રીય બજેટમાં 4000 કિમી બુલેટ ટ્રેનના રૂટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.



