પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જોકે સરકાર ભાવ વધારા સામે રાહતો પણ આપી રહી છે, ત્યારે પેટ્રોલ -ડીઝલ વાહનો ભવિષ્યમાં આર્થિક બજેટ બગાડે નહીં તે માટે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા લાગ્યા છે. દેશમાં ઈ-વ્હીકલ અંગે કોઈ પોલિસી તો બની નથી, પરંતુ સુરત મનપાએ આ દિશામાં જરૂરથી શરૂઆત કરી છે અને તેનો ફાયદો પણ મળી રહ્યો છે. દેશભરની સ્માર્ટ સિટીમાં અગ્રેસર રહેનાર સુરત હવે ઈ-વ્હીકલ ખરીદવામાં પણ આગળ છે. એટલુ જ નહિ, પણ રાજ્યમાં ઈ-વ્હીકલ પર સરકારી સબસિડીનો સૌથી વધુ લાભ પણ સુરતીઓએ લીધો છે.
RTOમાં રજીસ્ટર્ડ ઈ-વ્હીકલનો હિસાબ માંડીએ તો અત્યાર સુધીમાં સૌથી વધુ ઈ-વ્હીકલ સુરત RTOમાં રજીસ્ટર્ડ થયાં છે. 1 જુલાઈ 2021થી 31 માર્ચ 2022 સુધીમાં સુરત RTOમાં 6226 ઈ-વ્હીકલ રજિસ્ટર્ડ થયા છે, જે અમદાવાદમાં રજીસ્ટર્ડ થયેલા 4623 ઈ-વ્હીકલના આંકડા કરતા પણ વધુ છે.
સરકારી પોલિસીના પગલે લોકોમાં ઈ-વ્હીકલ ખરીદવા જાગૃતિ દેખાઇ રહી છે. હાલ શહેરમાં 30 થી વધુ ડીલરો ઈ-વ્હીકલ વેચી રહ્યા છે. આ અંગે મનપાના ઇલેક્ટ્રિક અને મશીનરી વિભાગના એડિશનલ સીટી એન્જીનીયરએ જણાવ્યું હતું કે, મનપાએ ઇ-વાહનોની પોલિસી અમલમાં મૂકી છે, જેમાં પ્રથમ વર્ષમાં 100 ટકા, બીજા વર્ષે 75 ટકા અને ત્રીજા વર્ષમાં 50 ટકા તેમજ ચોથા વર્ષે પોલિસીની અંતિમ તારીખ સુધી રોડ ટેક્સ માફી આપવાનું નક્કી કરાયું છે. લોકો સરળતાથી વાહન ચાર્જ કરી શકે તે માટે 500 જેટલા ચાજિંગ સ્ટેશન બનાવવાનું પણ આયોજન કરાયું છે.