ગુજરાતનો જલિયાંવાલા કાંડ- પ્રફુલ શાહ
(૧૭)
અત્યારેે મોતીલાલ તેજાવતની જીવનયાત્રા કે સંઘર્ષ થશે જાણતા, કે વાંચતા એમની સામેના પડકારોનો બધાને ક્યાસ નહીં આવી શકે. આજે ટીવી, ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના જમલામાં એકલપંડ, નિ:શસ્ત્ર અને માત્ર લોકોના કલ્યાણ અને ન્યાય અપાવવા માટે નિ:સ્વાર્થ ભાવે લડવા વિશે આપણે વાસ્તવિક કલ્પના ન કરી શકીએ. આ બધું થઇ શક્યું તેજાવતના લોખંડી મનોબળ, નિર્મલ વ્યક્તિત્વ અને પ્રજા કલ્યાણની ૨૪ કેરેટની શુદ્ધ ભાવનાથી.
મોતીલાલ તેજાવતનો જીવ જોખમમાં હોવાની હવે માત્ર શક્યતા નહોતી રહી. છતાં સશક્ત શત્રુઓ વચ્ચે તેઓ આગળ વધતા રહ્યા. જાણે પોતાના જીવનું કંઇ મહત્ત્વ ન હોય એવું અદ્ભુત ખમીર હતું. આ માણસમાં એ સમયે પણ એમની હિંમત, સફળતા અને નેતૃત્વની સુવાસ કર્ણોપકર્ણ ફેલાઇ રહી હતી. તેજાવત જે વિસ્તારમાં પહોંચે એ અગાઉ તેમની ખ્યાતિ હાજર થઇ ચૂકી હતી.
મોતીલાલ હવે માત્ર મેવાડના લોકનાયક નહોતા રહ્યા. દાંતા, પ્રતાપગઢ, વિજયનગર, સિરોહી, પાલનપુર અને ઇડર સહિતના સ્થળે એકી આંદોલનનો ભારે અને સકારાત્મક પ્રભાવ ઊભો કર્યો હતો. અહીંના ભીલ એક સ્થળેથી બીજા સ્થળે કામકાજ કે સામાજિક કારણસર જાય ત્યારે તેજાવતના વખાણ કરે ને કરે જ. સદીઓથી શોષિત વર્ગને એક ઉદ્ધારકની પ્રતીક્ષા પૂરી થતી દેખાઇ. નજરોનજર જોયા, કાનોકાન સાંભળ્યા કે વ્યક્તિત્વ રીતે મળ્યા વગર પણ તેજાવતનો કરિશ્મા અનેક દિલમાં વસી રહ્યો હતો.
અને મોતીલાલ તેજાવતના પોતાના આગમન બાદ આદિવાસીઓ-ભીલોને અપેક્ષાથી વધુ દેખાતું-મળતું હતું. પોતિકીઓમાંનો એક ન હોવા છતાં કોઇ આટલો મોટો ભોગ આપે, જીવનને જોખમમાં મૂકે અને થાકયા-કંટાળ્યા-ડર્યાં વગર સતત પ્રયત્નશીલ રહે એ ભોળા આદિવાસીઓ માટે દેવતા સમાન જ ગણાવા માંડ્યા.
મોતીલાલ તેજાવત અને સાથીઓ જે જે ગામમાંથી પસાર થાય, ત્યાં ‘એકી’ આંદોલન સૌને શોષણ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું પ્રેરક બળ પૂરું પાડતું હતું. લગભગ બધા ગામમાં સભાનું આયોજન થાય. જેમાં તેજાવત પોતાના ધ્યેય, સફર, સંઘર્ષ અને સફળતા બયાન કરે, સાથોસાથ આ બધુ આપ જેવા આમ આદમીના સાથ સહકાર અને વિશ્ર્વાસને પ્રતાપે જ શકય બન્યાની વાત વારંવાર દોહરાવે.
માહોલ એવો રચાવા માંડ્યો કે અત્યાર સુધી માત્ર મેવાડના રજવાડા માટે આફતરૂપ બનેલા તેજાવત હવે આસપાસમાં અન્ય રજવાડાના રાજવીઓ અને અમલદારોને આંખમાં કણાની જેમ ખૂંચવા માંડ્યા. આ સૌ ખુન્નસમાં હતા કે તેજાવતને લીધે અમારા વિસ્તારના આદિવાસીઓ પણ લડાયક મિજાજમાં આવી ગયા છે. આથી શોષણખોર, શાસકો અને ભ્રષ્ટ અમલદારો રાત-દિવસ તેજાવતને હાનિ પહોંચાડવા અને મુશ્કેલીમાં મૂકવા માટે દિવા અને દિલ બાળતા હતા.
આ તો થઇ અંદરોઅંદરની રાજરમત, પરંતુ અમુક રજવાડાઓેએ તો મેવાડને સત્તાવાર રીતે અપીલ કરી કે તમારા પ્રાંતના મોતીલાલ તેજાવતને તરત પાછા બોલાવી લો અને અમારી અમન પ્રિય જનતાને ઉશ્કેરણી કરતા રોકો. કહેવાય છે કે અમુક રજવાડાએ તો તેજાવતને જીવતા કે મરેલા હાજર કરનાર ઇનામ આપવાની ઘોષણા કરી હતી, તો ક્યાંક તેજાવતને ફાંસીએ લટકાવી દેવાની જાહેરાત સુધ્ધાં થઇ હતી. મેવાડના રજવાડામાંથી પણ તેજાવતની તાત્કાલિક ધરપકડ માટે વૉરંટ બહાર પડાયું હતું.
ટૂંકમાં બધા રજવાડા તેજાવતને નાથવા, પછાડવા ભૂંરાયા થયા હતા. આ માણસના હાથ-પગમાં બેડીથી લઇને ગળામાં ગાળિયો નાખવા સુધીની ચેષ્ટા જોર પકડી રહી હતી. જયાં જે રીતે શક્ય બને ત્યાં તેજાવતને મારવા, પકડવા, કે શક્ય એટલી વધુ હાનિ પહોંચાડવા માટે કાવતરાં રચાવા માંડ્યા હતા.
એક તરફ તેજાવતની હિંમત, નિષ્ઠા, ધ્યેય-પ્રીતિ અને નિસ્વાર્થ સેવાનો પાર નહોતો. તો સામે પક્ષે ય તેમને મારવા, હરાવવા, નાથવા અને પકડવા માટેના પ્રયાસો અનેક ઠેકાણે વિચારાતા હતા, પરંતુ શત્રુઓ માટે તેજાવત સુધી પહોંચવાનું જરાય આસાન નહોતુ. મોતીલાલની આસપાસ તેજાવત સેનાએ અભેદ્ય કહી શકાય એવું કુંડળ રચી દીધું હતું. દુર્ગમ પર્વતમાળા હોય કે ગાઢ જંગલ, ભોળા આદિવાસીઓ પોતાના નેતાને બચાવવા કંઇ પણ કરી છૂટવા ચોવીસે ય કલાક સજાગ-સતર્ક રહેતા હતા.
તેજાવતના વધતા જતા સમર્થકોને હતોત્સાહ કરવાના કારસા ય રચાવા માંડ્યા હતા. આમાં નિર્દોષો ય હોમાઇ જતા હતા. ઇનામની લાલચમાં બે મોટા માણસોના જીવ પણ લઇ લેવાયા. ભળતી જ વ્યક્તિનું માથું કલમ કરીને પ્રચાર પડઘમ શરૂ થઇ ગયા કે તેજાવત માર્યા ગયા છે. આ અફવાને આદિવાસીઓએ ખોટી સાબિત કરી દીધી. ત્યારબાદ મોતીલાલ નામના માણસની હત્યા કરીને ‘મહાભારત’ના યુદ્ધમાં ‘અશ્ર્વત્થામા માર્યો ગયો છે’ જેમ ‘તેજાવત માર્યા ગયા છે’ નો દેકારો મચાવી દેવાયો હતો, પરંતુ એકેય પ્રયાસમાં સફળતા મળતી નહોતી ને વિરોધીઓનો ગુસ્સો-આક્રોશ હતાશા વધતા જતા હતા, જેની તેજાવતના સમર્થકોને પૂરેપૂરી જાણ નહોતી.(ક્રમશ). ઉ