ગુજરાતમાંથી અમેરિકા અને અન્ય દેશોમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનનું ચલણ વધતું જાય છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવા જતા અકસ્માતે મૃત્યુ થયાની ઘટનાઓ પણ સામે આવી છે. ગુજરતમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન કરી આપતા એજન્ટોએ જાળ ફેલાવેલી છે. ત્યારે ગુજરાત સરકાર પંજાબ પ્રિવેન્શન ઓફ હ્યુમન સ્મગલિંગ એક્ટ, 2012 ની તર્જ પર હ્યુમન સ્મગલિંગ રોકવા માટે કાયદો લાવવાની વિચારણા કરી રહી છે.
ગાંધીનગરના ડીંગુચા ગામનાના પટેલ પરિવારના ચાર સભ્યો ગયા વર્ષે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાના પ્રયાસમાં કેનેડા બોર્ડર પાસે ઠંડીમાં થીજીને મોતને ભેટ્યા હતા. તાજેતરમાં જ કલોલના એક પરિવારના સભ્યો મેક્સિકોમાંથી યુએસમાં ઘુસવા જતા ઉંચી દીવાલ પરથી નીચે પટકાયા હતા. આવા દુર્ભાગ્યપૂર્ણ કિસ્સાઓ અટકાવવા કાયદો બનાવવામાં આવી રહ્યો છે એવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
રાજ્યના ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે કાયદાકીય નિષ્ણાતો અને રાજ્ય CIDની એક ટીમ સાથે કાયદાના ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. સરકાર ટૂંક સમયમાં રાજ્યની વિધાનસભામાં બિલ રજૂ કરશે. આવતા મહિને શરૂ થતા બજેટ સત્રમાં આ બીલ ગૃહ સમક્ષ લાવવામાં આવે તેવી શક્યતા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આ કાયદા હેઠળ ટ્રાવેલ એજન્ટોની નોંધણી કરીને તેમની પર નજર રાખવાની સિસ્ટમ બનાવવામાં આવશે અને જો કોઈ અનિયમિતતા જોવા મળશે, તો તે એજન્ટને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ટ્રાવેલ એજન્ટોને લાયસન્સ આપવામાં આવશે જેથી ઇમિગ્રન્ટ્સ માત્ર કાયદેસર અને વિશ્વસનીય એજન્ટોની જ મદદ લે.
સૂચિત કાયદામાં નોંધણી અને લાયસન્સ વગર કામ કરતા ઈમિગ્રેશન એજન્ટો માટે કડક સજાની જોગવાઈઓ હશે. એજન્ટને લાઇસન્સ આપવામાં આવે તે પહેલાં તેનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવશે. જો કોઈ એજન્ટ વારંવાર ગેરકાયદેસર ઈમિગ્રેશનમાં સંડોવાયેલો જણાશે, તો તેના પર કાયદાની કલમો હેઠળ માનવ તસ્કરીનો કેસ કરવામાં આવશે.
ગુજરાત સરકાર ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા માટે કાયદો લાવશે
RELATED ARTICLES