ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં નાણાપ્રધાન કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટની માફક આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
નાણા પ્રધાને જણાવ્યું હતું કે ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ.8589 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ગ્રીન હાઈડ્રોજન, થ્રસ્ટ સેકટરમાં ગ્રીન એમોનિયા, ફયુઅલ સેલ, બેટરી સ્ટોરેજ, ઈલેક્ટ્રિક વ્હીકલ, ઇલેકટ્રોનિકસ, અવકાશ અને ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણ ઈકો સિસ્ટમ ઊભી કરવામાં આવશે.
છેલ્લાં 8 વર્ષમાં દેશમાં થયેલ આશરે 32 લાખ કરોડના વિદેશી મૂડી રોકાણ પૈકી 57% એટલે કે 18 લાખ કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં થયેલ છે. દેશની કુલ નિકાસમાં 33% હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
• ટેક્સટાઇલ નીતિ અંતર્ગત કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 1580 કરોડની જોગવાઇ.
• MSME ઉદ્યોગોને પ્રોત્સાહન માટે જુદા જુદા પ્રકારની સહાય માટે 1500 કરોડની જોગવાઈ.
• મોટા ઔદ્યોગિક એકમોને રાજ્યમાં મૂડીરોકાણ માટે પ્રોત્સાહિત કરવા 880 કરોડની જોગવાઈ.
• આદિજાતિ વિસ્તારોમાં આઠ, એગ્રો પ્રોસેસીંગ માટે બે અને સી-ફૂડ પ્રોસેસીંગ માટે બે જી.આઇ.ડી.સી. વસાહતો સ્થાપવાનો નિર્ણય, આ ઔદ્યોગિક વસાહતોના વિકાસ માટે રાજ્ય સરકારની સહાય પેટે 23 કરોડની જોગવાઇ.
• ઔદ્યોગિક વસાહતોમાં માળખાકિય સગવડોનો વિકાસ કરવા અને ટ્રિટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા માટે ડીપ-સી પાઇપલાઇનો નાખવા માટે રૂ.470 કરોડની જોગવાઇ.
• ઉદ્યોગોની લોજીસ્ટીક કોસ્ટ ઘટાડવા, લાસ્ટ માઇલ રેલ કનેક્ટિવીટી પૂરી પાડવા તેમજ લોજીસ્ટીક ફેસીલીટી વિકસાવવા રફાળેશ્વર અને બેડી પોર્ટ પાસે ટર્મિનલ બનાવવા 237 કરોડની જોગવાઇ.
• રાજ્યમાં આવેલ ત્રણ સ્પે SIR: ધોલેરા, માંડલ-બેચરાજી અને પી.સી.પી.આઇ.આર. દહેજમાં ઉદ્યોગો માટે વૈશ્વિક કક્ષાની આંતરમાળખાકિય સુવિધાઓ ઊભી કરવા 188 કરોડની જોગવાઇ.
• કેન્દ્ર સરકાર દ્વારા 1 હજાર કરોડની સહાયથી જંબુસર ખાતે સ્થાપવામાં આવી રહેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ માટે 100 કરોડની જોગવાઇ.
• માઇક્રો અને સ્મોલ એન્ટોરપ્રાઇઝના વિલંબિત ચૂકવણાના કેસોના નિર્ણય ઝડપી અને અસરકારક બનાવવા પાંચ વધારાની કાઉન્સિલની રચના કરવા માટે 1 કરોડની જોગવાઈ.
એકતાનગર ખાતે દેશના વિવિધ રાજયોના ઉત્પાદનો અને હસ્તકલા ઉત્પાદનોના પ્રમોશન તથા વેચાણ માટે યુનિટીમોલ સ્થાપવામાં આવેલ છે. આજ પેટર્ન પર ગાંધીનગર ખાતે પણ યુનિટીમોલ સ્થાપવામાં આવશે.
• શ્રી વાજપાઇ બેન્કેઆબલ યોજના અન્વયે 37 હજાર લાભાર્થીઓ માટે 237 કરોડની જોગવાઇ.
• માનવ કલ્યાણ યોજના અન્વયે 27 ટ્રેડ માટે અંદાજે 35 હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.
Gujarat Budget 2023-24: ઉદ્યોગો માટે ગુજરાત સરકારની મહત્વની જાહેરાત
RELATED ARTICLES