તમામ રાજ્ય સરકારોને તકેદારી રાખવાનું સૂચન
ચીન સહિત પાંચ રાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભારત સરકાર પણ અત્યારે ‘એલર્ટ’ મોડમાં આવી ગઈ છે અને તમામ રાજ્ય સરકારોને કોરોના પોઝિટિવ કેસના સેમ્પલના જીનોમ સિકવન્સિંગ રિપોર્ટ કરવાનો અનુરોધ કર્યો છે. અલબત્ત, નવા વેરિયન્ટની જાણકારી મળવાનું જરુરી છે, એવું સરકારે જણાવ્યું છે. હાલના તબક્કે દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધારે નથી, જ્યારે મૃત્યુ પામનારાની સંખ્યા પણ ઘટી ગઈ છે, પરંતુ ફરીથી દુનિયામાં ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે, તેથી કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવી શકાય નહીં, એવું સરકારે જણાવ્યું હતું.
ચીન, કોરિયા, જાપાન અને અમેરિકામાં કોરોનાના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારત સરકારના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એનસીડીસી (National Centre for Disease Control) અને આઈસીએમઆર (Indian Council of Medical Research)ને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે તમામ રાજ્યોને કોરોનાના પોઝિટિવ રિપોર્ટના જીનોમ સિકવન્સિંગ માટે સેમ્પલ મોકલે. એના સિવાય આવતીકાલે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા એક રિવ્યૂ મીટિંગ પણ કરવામાં આવશે. જોકે, હાલના તબક્કે ભારત સરકારે તમામ રાજ્યોને સાવધાન રહેવા જણાવ્યું છે અને બીજી બાજુ પેનિક ઊભો થાય નહીં તેની પણ સલાહ આપી છે.
દરમિયાન મંગળવારે એન્ટિ ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્ય કોવિડ રસીકરણ ઝુંબેશના પ્રમુખ ડો. એન કે અરોરાએ કહ્યું હતું કે ભારતે ચીનની સ્થિતિથી ચિંતા કરવાનું જરુરી નથી. એટલું જ નહીં, અમને જાણવા મળ્યું છે કે ચીનમાં ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે, પરંતુ ભારતમાં મોટા પાયે રસીકરણ થયું છે. એડલ્ટ પોપ્યુલેશનમાં મોટા ભાગના લોકોને રસી આપવામાં આવી છે.