ગોરખપુરના ગોરખનાથ મંદિર પર હુમલો કરનાર મુર્તઝા અબ્બાસ વિરૂદ્ધ NIA કોર્ટે સજાની જાહેરાત કરી છે. કોર્ટે મુર્તઝાને ફાંસીની સજા સંભળાવી છે. મુર્તઝા પર UAPA અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેને આતંકી ગણવામાં આવ્યો હતો.
સોમવારે સુનાવણી માટે આતંકી મુર્તઝા અબ્બાસને કડક સુરક્ષામાં લખનઉમાં NIA/ATSની કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. મુર્તઝાએ એપ્રિલ 2022માં ગોરખનાથ મંદિર પર હુમલો કર્યો હતો. આ કેસના 10 મહિના બાદ આજે એટલે કે સોમવારે લખનૌની કોર્ટમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. અહેમદ મુર્તઝા અબ્બાસીએ ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તૈનાત પીએસી જવાનો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને તેમના હથિયારો છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
તપાસમાં સામે આવ્યું હતું કે ગોરખપુરના ગોરખનાથ મંદિર પાસે સૈનિકો પર હુમલો કરનાર મુર્તઝા નેપાળ પણ ગયો હતો. પોલીસને તેની પાસેથી ઘણા શંકાસ્પદ દસ્તાવેજો પણ મળ્યા હતા. અહેમદ મુર્તઝા અબ્બાસે ગોરખનાથ મંદિર પરિસરમાં હથિયાર લહેરાવ્યું હતું, જેનાથી હંગામો મચી ગયો હતો. તેણે પોલીસકર્મીઓ પર હુમલો કરી તેમને ઘાયલ કર્યા હતા. મંદિર પાસે તિક્ષ્ણ હથિયાર વડે તેણે લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી મુર્તઝાના પિતાએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર માનસિક રીતે બીમાર છે. તે સ્થિર નથી અને એકલો રહી શકતો નથી. મુર્તઝાના પિતાએ કહ્યું હતું કે તે નાનપણથી જ બીમાર હતો, જેને તેઓ સમજી શક્યા નહીં, પરંતુ 2018 સુધીમાં તેની આ બીમારીએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નોકરી દરમિયાન પણ તે 2 મહિના સુધી કોઇને કંઇપણ જણાવ્યા વિના રૂમમાં સૂઈ રહેતો હતો અને કામ પર જતો ન હતો. પરિવારે જામનગર અમદાવાદમાં પણ તેની સારવાર પણ કરાવી હતી.