સુપ્રિમ કોર્ટે વર્ષ 2002માં થયેલા ગોધરા ટ્રેન કાંડ કેસના એક દોષિત ફારૂકને જામીન આપી દીધા છે. ફારૂકને સાબરમતી એક્સપ્રેસના સળગતા ડબ્બામાંથી લોકોને બહાર આવવાથી રોકવા માટે પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. દોષીતે 17 વર્ષની કેદ કાપી લીધી હોવાના આધારે કોર્ટે જામીન આપ્યા હતા.
આ કેસના તમામ દોષિતોની જામીન અરજી 4 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. બાકીના દોષિતોની જામીન અને મુખ્ય અપીલની સુનાવણી પછીથી થશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેન્ચે દોષિતોમાંથી એક ફારુક માટે હાજર રહેલા વકીલની દલીલ માન્યમાં લીધી હતી અને દોષીતે જેલમાં વિતાવેલ સમયગાળાને ધ્યાનમાં રાખીને જામીન આપ્યા હતા.
ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ સૌથી જઘન્ય અપરાધ હતો જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. પથ્થરમારો સામાન્ય રીતે ગૌણ પ્રકૃતિનો ગુનો છે. જો કે, આ કિસ્સામાં ટ્રેનના કોચને સળગાવવામાં આવ્યો હતો અને મુસાફરો બહાર ન આવી શકે તે માટે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફાયર ટેન્ડરો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.