ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં આપણે ભગવાનની કરુણાનાં દર્શન કર્યાં. આ અંકમાં અર્જુન ભગવાનના વચનની સત્યતા સમજવાનો પ્રયત્ન કરે છે તેને સમજીએ.
ગીતાના સંવાદો ચાલી રહ્યો છે. ભગવાન બોધ આપે છે અને અર્જુન સાંભળે છે. તેમાં દશમ અધ્યાયમાં ભગવાનનાં વચનો સાંભળીને અર્જુન બોલી ઊઠે છે –
“सर्वमेतदतं मन्ये यन्मां वदसि केशव । न हि ते भगवन्व्यक्ति बिदुर्देवा न दानवाः”
“હે કેશવ, આપ જે કંઈ મને કહી રહ્યા છો, તે સર્વે હું સત્ય માનું છું. હે ભગવાન, દેવો અને દૈત્યો આપનું સ્વરૂપ જાણી શક્યા નથી.
ભગવાન શ્રીકૃષ્ણના શબ્દોમાં રહેલું સત્ય અર્જુનને ભગવાનનાં વચન માનવા પ્રેરિત કરે છે અને એ સત્ય અર્જુનને ભગવાન પ્રત્યે અજોડ વિશ્ર્વાસ ઉત્પન્ન કરી શરણાગતિ સ્વીકારવા પણ પ્રેરે છે. આમ સત્યનિષ્ઠ વાણીનો પ્રભાવ અદ્ભુત છે.
આપણી આજુ-બાજુ સતત અસંખ્ય શબ્દો બોલાતા હોય છે, પરંતુ સત્યનો રણકાર અનુભવાય એવા શબ્દો કેટલા? સામાન્ય માનવી દ્વારા બોલાયેલા શબ્દો અસત્ય અથવા સત્ય-અસત્યનું મિશ્રણ એટલે કે પ્રાય: આંશિક સત્ય હોય છે, કારણ કે માનવમાત્રનાં વિચારો, વાણી અને ક્રિયામાં સ્વાર્થ ભળેલો હોય છે, પરંતુ ભગવાન અને સંત તો પરમાર્થી છે. તેઓ પૂર્ણકામ અને પરમ આનંદથી યુક્ત છે અને તેથી જ તેમનાં મન, વચન અને ક્રિયામાં અસત્યનો લેશમાત્ર અંશ હોતો નથી. તેમની વાણીમાંથી નિર્ભેળ સત્ય જ નીતરતું હોય છે.
ભગવાન અને ભગવાનને ધારણ કરેલા સંતનું અસ્તિત્વ આ ધરતી પરનું એક નક્કર સંપૂર્ણ સત્ય હોય છે અને એટલે જ તેમની વાણી સત્ય સ્વરૂપ છે. મહાભારતના શાંતિ પર્વમાં પણ કહ્યું છે કે “જે બિનશરતી રીતે તમામ જીવોનું ભલું કરે છે તે પરમ સત્ય છે. સાચા સંત કોઈ જાતના ભેદભાવ કે શરત વગર બીજાનું ભલું કરવામાં પોતાનું સમગ્ર જીવન વિતાવતા હોય છે. પ્રમુખસ્વામી મહારાજને જ્યારે તેમને સતત રહેતા વિચાર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “મને કોઈનું અહિત કરવાનો વિચાર ક્યારેય નથી આવ્યો.
વાણીમાં સત્ય હોવાની ઓળખાણ કઈ? નિ:સ્વાર્થ, નિર્દમ્ભ, શુદ્ધ-પ્રેમ અને પવિત્રતાથી સભર વાણી. લોસ એન્જલસના કાર્લોસ વેગા એક વખત પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કરવા આવ્યા. તેમણે સ્વામીશ્રીને જણાવ્યું કે મારી પાસે બંગલો છે, મોટર છે, પૈસા છે, કીર્તિ છે, બધું જ છે, પરંતુ શાંતિ નથી. ત્યારે ફક્ત ભગવાનને પોતાની મૂડી તરીકે રાખતા સ્વામીશ્રીના શબ્દો- “નો મની, આઈ હેવ ગોડમાં રહેલા સત્યનો રણકાર એ ધનાઢ્ય જનને સ્વામીશ્રીમાં રહેલા પરમતત્ત્વની પ્રતીતિ કરાવી ગયો. અટલું જ નહિ, સ્વામીશ્રી ક્યારેય આશ્ર્વાસન માટે પણ જૂઠ ઉચ્ચારતા નહિ. તેઓ જે બોલ્યા હોય તે ઠાલાં વચનો આપવા કે કોઈને સારું લગાડવા નહિ, પણ તે સાચા ભાવથી બોલતા. વિરમગામ પાસેના કાંકરાવાડી ગામના ૧૫ વર્ષના ભાવિક કિશોર ગણેશની તેના ગામમાં સ્વામીશ્રીને પધરાવવાની તીવ્ર ઈચ્છા હતી. એના ગામમાં કોઈને સત્સંગ હતો નહિ. વળી સ્વામીશ્રીને તો મહિનાઓ સુધીના ચુસ્ત કાર્યક્રમો પણ ગોઠવાઈ ગયા હતા, પરંતુ આ કિશોરનો ભાવ જોઈને સ્વામીશ્રીએ તેને તેના ગામમાં આવવાનું વચન આપ્યું અને એક દિવસ સ્વામીશ્રીએ પોતાના અતિ વ્યસ્ત કાર્યક્રમમાં ફેરફાર કરીને, ધૂળિયા ગામનો ખાડા-ટેકરાવાળો રસ્તો ખૂંદીને, ગણેશના કાચી માટીના ઘરમાં પધારી તેને રાજી કર્યો. એક નાના બાળકને આપેલું, એક સામાન્ય વચન પણ સ્વામીશ્રી માટે ખૂબ અગત્યનું હતું અને સાચા હૃદયથી અપાયેલું એ વચન હતું. તે વચનને સત્યમાં રૂપાંતરિત થતાં જોઈને તે કિશોર આનંદથી ભાવવિભોર બની ગયો. આમ સ્વામીશ્રીના વચનની સત્યતામાં ક્યારેય ભરતી કે ઓટ આવતાં નહિ. તેને કોઈ નાત-જાત, બાળક-વૃદ્ધ કે ગરીબ-તવંગરના ભેદભાવ ઝાંખા પાડી શક્યા નથી. એટલે જ લાખો લોકો તેમના એક વચને સમર્પિત થઈ જતા.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં સાધક માટે સંતના વચનનું શું મૂલ્ય છે તે સમજાવતાં કહે છે-
ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં અને સંત કહે જે, ‘તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને દેહાદિક સર્વે અસત્ય છે,’ એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મારૂપે વર્તે પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં.
આવી રીતે જો મુમુક્ષુ ભગવાન અને સંતના વચનમાં વિશ્ર્વાસ રાખે તો તેની આધ્યાત્મિક સાધનાની પૂર્ણતા થાય. ઉ