ભારતીય રેલવેમાં ફરજ બજાવતા એક કર્મચારીએ યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાના ચર્ચાસ્પદ બનાવમાં ગાંધીધામની નામદાર અદાલતે આરોપી કર્મચારીને તક્સીરવાન ઠેરવી ૧૦ વર્ષની કેદની સજા તથા ૫૫ હજારનો દંડ ફટકાર્યો છે.
સાડા ચાર વર્ષ જુના ચકચારી કેસની વિગત એવી છે કે, ગાંધીધામની રેલવે કોલોનીમાં રહેતા મનોજકુમાર મહાવિરસિંગ સ્વામીએ ભોગ બનનારી યુવતીને પોતાના રૂમમાં બોલાવી તેની સહમતી વગર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને કોઈને જાણ કરશે તો તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગત ૧૬મી ઓગસ્ટ, ૨૦૧૮ના એ-ડિવિઝન પોલીસે બળાત્કાર, એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો દર્જ કરી આરોપીની અટક કરી લીધી હતી. અદાલતમાં ચાર્જશીટ રજૂ કરાતાં આ કેસ ચાલી ગયો હતો. જેમાં ફરિયાદ પક્ષ તરફથી ૧૭ સાહેદો તપાસવામાં આવ્યા હતા તેમજ ૩૦ દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ કું. હિતેષી પી. ગઢવીની દલીલો સાંભળી એડિ. ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ (પોક્સો સ્પે.કોર્ટ) ગાંધીધામ દ્વારા આરોપીને તક્સીરવાન ઠેરવવામાં આવ્યો હતો અને ૧૦ વર્ષની સખત કેદની સજા તેમજ જુદીજુદી કલમમાં કુલ્લે રૂપિયા ૫૫ હજારનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ ૧૮ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે રૂા. ૫૦ હજાર ચૂકવી આપવા આદેશ કર્યો હતો.